પોરબંદર: આજે પોરબંદરની લોર્ડ્સ હોટેલ ખાતે રાજ્યના મુખ્યપ્રધાન પધાર્યા હતા. ત્યાં પોરબંદર ખારવા સમાજના આગેવાન પવન શિયાળ, સેવ સી પોરબંદર સંસ્થાના ડો.નૂતનબેન ગોકાણી સહિતના અનેક સંસ્થાઓના આગેવાનો મુખ્યપ્રધાન સાથે રૂબરૂ મુલાકાત કરી હતી. જેતપુરના ગંદા પાણીની પાઇપલાઇન પ્રોજેક્ટ દ્વારા પોરબંદરના દરિયામાં ઠાલવવાનો પ્રોજેક્ટ રદ કરવા રજૂઆત કરી હતી. કારણ કે માછીમારોને તો નુકસાન થશે, પરંતુ તેની સાથે તમામ જનતાને નુકસાન થશે. પાણી દૂષિત થવાના કારણે ઘણી બધી સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે.
વિશ્વાસમાં લીધા વિના પ્રોજેકટ શરૂ: પોરબંદરના લોકો વતી સંસ્થાના આગેવાનોએ મુખ્યપ્રધાનને આ પ્રોજેક્ટ અંગે રજૂઆત કરી હતી. જેમાં ખારવા સમાજના પ્રમુખ પવન શિયાળે મીડિયાને જણાવ્યું હતું કે, "તેઓએ પોરબંદરના દરિયામાં જો જેતપુરનું ગંદુ પાણી ભળી જશે તો માછીમારો પાયમાલ થશે. મુખ્યપ્રધાનએ જણાવ્યું હતું કે પોરબંદર વાસીઓને વિશ્વાસમાં લીધા વિના પ્રોજેકટ શરૂ કરવામાં નહિ આવે. હવે આવનારા સમયમાં જોવાનું રહ્યું કે મુખ્યપ્રધાને જે ખાતરી આપી છે તે ઉપર અડગ રહે છે કે પછી આ ખાતરી બદલી જાય છે.
પોરબંદરવાસીઓને આપ્યો વિશ્વાસ: જ્યારે સેવ પોરબંદરની સંસ્થાના નૂતન ગોકાણીએ જણાવ્યું હતું કે મુખ્યપ્રધાને નવી ટેકનોલોજીના ઉપયોગથી પાણીનું બાષ્પીભવન કરવા જણાવ્યું હતું. જેના જવાબમાં મુખ્યપ્રધાને આ પ્રોજેક્ટ જ્યાં ચાલી રહ્યો છે. ત્યાં જવા જણાવ્યું હતું અને મુલાકાત બાદ જે ટેકનોલોજીનો ઉપયોગ થાય છે તે જુઓ તમે કહો છો એ ટેકનોલોજી સારી હશે તો એનો ઉપયોગ પણ કરી શકાય. પોરબંદરવાસીઓને વિશ્વાસમાં રાખ્યા બાદ જ આ પ્રોજેક્ટ શરૂ કરવામાં આવશે.