કચ્છઃ યોગ્ય શિક્ષણ મેળવવું એ દરેક વિદ્યાર્થીનો અધિકાર છે, પરંતુ આ શિક્ષણ મેળવવા માટે યોગ્ય લાયકાત ધરાવતા શિક્ષકની પણ જરૂર રહે છે. ગુજરાતમાં એવી 700 શાળાઓ છે, જ્યાં માત્ર એક જ શિક્ષક ફરજ બજાવે છે અને તેમાં પણ આ 700માંથી 100 શાળાઓ માત્ર કચ્છમાં છે. આ ઉપરાંત, કચ્છમાં આજના સમયે એવા 15 ગામો છે જ્યાં શાળા છે, ઓરડા છે, ભણવા માટે વિદ્યાર્થીઓ છે (No teachers in schools) પરંચુ ભણાવવા માટે શિક્ષકો જ નથી.
કચ્છ જિલ્લામાં 1436 શિક્ષકોની ઘટ - જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી જે.એમ.પ્રજાપતિ પાસેથી મળતી માહિતી મુજબ કચ્છમાં કુલ 1682 જેટલી શાળાઓ છે. જેમાં 9,532 શિક્ષકોનું મહેકમ છે. તો હાલની પરિસ્થિતિ મુજબ જિલ્લાની(Kutch Education) શાળામાં 8096 શિક્ષકો જ ફરજ બજાવે છે. જે મુજબ જિલ્લામાં 1436 શિક્ષકોની ઘટ છે. કચ્છની કુલ 1,682 શાળાઓમાંથી હાલ 102 શાળાઓ એવી છે જ્યાં 1 થી 5 ધોરણને માત્ર ભણાવવા માત્ર એક જ શિક્ષક છે. તો સાથે જ 15 અંતરિયાળ ગામોમાં એવી શાળાઓ પણ છે જ્યાં ભણાવવા માટે એક પણ શિક્ષક હાજર નથી.
ક્લસ્ટરની શાળાઓમાં એક શિક્ષક નથી - સરકારી માહિતી મુજબ સરહદીય લખપત તાલુકાના માતાના મઢ ક્લસ્ટરની કલરાવાંઢ પ્રાથમિક શાળા અને રામાણીયા પ્રાથમિક શાળા, પીપર ક્લસ્ટરની મોરી અને તહેરા પ્રાથમિક શાળામાં હાલ કોઈ શિક્ષક ફરજ પર મુકાયેલ નથી. ભચાઉ તાલુકાના ગઢડા ક્લસ્ટરની લાલાહીરાનીવાંઢ અને સાંગવરી નગર પ્રાથમિક શાળામાં શિક્ષકો નથી. ભુજ તાલુકાના ભિરંડિયારા ક્લસ્ટરની હમધાણીવાંઢ, જુણાની કકરવાંઢ, ખારીની દેઢિયા નાના, અને મોટા દિનારા ક્લસ્ટરની મોવર વાંઢ પ્રાથમિક શાળા શિક્ષકો વગરની છે. અબડાસા તાલુકાના બુટા ક્લસ્ટરની સધીરાવાંઢ અને વાંકુ ક્લસ્ટરની નાનીભેદી પ્રાથમિક શાળા, મુન્દ્રા તાલુકાની નાના કપાયા ખાતેની તાલુકા શાળાતો ગાંધીધામના સર્વોદય ક્લસ્ટરની રોટરી નગર અને સર્વોદય અંગ્રેજી પ્રાથમિક શાળા પણ એકેય શિક્ષક વગર ચાલી રહી છે.
![ભણાવવા શિક્ષકો નથી](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/15172405_kutch01_aspera.jpg)
બન્ની વિસ્તારના ગામોમાં પણ શિક્ષકની ઘટ - તો ઉપરોક્ત 15 શાળાઓમાંથી ભિરંડિયારા અને વાંકુ ક્લસ્ટરની શાળાઓમાં બાળકો પણ સરકારી નિયમ કરતા ઓછા હોતાં સરકારે શાળા બંધ કરી છે. જેને વિધિવત રીતે આવતા ઓગસ્ટ મહિનામાં યાદીમાંથી પણ કાઢી મૂકવામાં આવશે. ભુજ તાલુકાના છેવાડાના બન્ની વિસ્તારના ગામોમાં જુણા ક્લસ્ટરમાં કુલ આઠ શાળાઓ આવેલી છે, જેમાંથી 6 થી 8 ધોરણની પાંચ શાળાઓ તો 1 થી 5 ધોરણની ત્રણ શાળાઓ આવેલી છે, જેમાંથી એક શાળા માટે કોઈ શિક્ષક ફાળવેલા નથી.
પ્રાથમિક શાળા માટે શિક્ષક ફાળવેલ નથી - આ ક્લસ્ટરના રિસોર્સ કોર્ડીનેટર મયુરસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે જે પ્રાથમિક શાળા માટે શિક્ષક ફાળવેલ નથી તે માટે ધોરણ 6 થી 8ની જે શાળાઓમાં ત્રણ જેટલા શિક્ષકો હાજર છે તેવી હરેક શાળાઓમાંથી દર મહિને એક શિક્ષક પ્રાથમિક શાળામાં ભણાવવા જાય છે. ઉલ્લેખનીય છે કે આવી શાળાઓમાં ભણતા બાળકોનું ભણતર ન બગડે તે માટે શિક્ષણ વિભાગ દ્વારા ગમે તે રીતે શિક્ષક ઉપલબ્ધ કરાય છે. પણ આવી સુવિધાઓમાં મહેકમ વગરની જે તે શાળાના બાળકોનું તો શિક્ષણ બગડે જ છે, સાથે જે શાળામાંથી શિક્ષક અન્ય શાળામાં ભણાવવા જાય છે ત્યાંના વિદ્યાર્થીઓનું શિક્ષણ પણ જોખમાય છે.
ટુંક સમયમાં આ જગ્યા ભરવામાં આવશે - અંતરિયાળ ગામડાઓમાં લોકોને શિક્ષણ માટે પૂરતી જાગૃતતાના અભાવે વાલીઓ પણ આ મુદ્દે યોગ્ય રજૂઆત કરતા નથી. જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી જે.એમ.પ્રજાપતિએ જણાવ્યું હતું કે આ શાળાઓમાં શિક્ષકોની ભરતી કરી શાળાઓ ચલાવવામાં આવશે. ભરતી પ્રક્રિયા પણ શરૂ છે ટુંક સમયમાં આ જગ્યા ભરવામાં આવશે.