ETV Bharat / state

રાજકારણમાં પક્ષપલટા પર નારાજગી વ્યક્ત કરતા પૂર્વ આરોગ્યપ્રધાન હેમાબેન આચાર્ય

author img

By ETV Bharat Gujarati Team

Published : Dec 13, 2023, 4:10 PM IST

ચૂંટણી નજીક આવતા અને ચૂંટણીના પરિણામો બાદ રાજકારણમાં પક્ષપલટાની મોસમ શરૂ થતી હોય છે. સામ, દામ, દંડ અને ભેદ એમ દરેક પ્રકારે નેતા અને કાર્યકરોની ખેંચતાણ થતી હોય છે. ત્યારે આ અંગે પૂર્વ આરોગ્યપ્રધાન હેમાબેન આચાર્યએ પક્ષપલટાને રાજકારણના નૈતિક અધઃપતનનું કારણ જણાવતા ETV BHARAT ના માધ્યમથી નેતાઓની આકરા શબ્દોમાં ઝાટકણી કાઢી હતી.

રાજકારણમાં પક્ષપલટાની મોસમ
રાજકારણમાં પક્ષપલટાની મોસમ

પૂર્વ આરોગ્યપ્રધાન હેમાબેન આચાર્ય

જૂનાગઢ : રાજકારણમાં નેતાઓ અને પદાધિકારીઓ દ્વારા કરવામાં આવી રહેલ પક્ષપલટાને લઈને પૂર્વ આરોગ્યપ્રધાન હેમાબેન આચાર્યએ ખૂબ નારાજગી વ્યક્ત કરી છે. પોતાની અનુકૂળતા અને જરૂરિયાત મુજબ એક પક્ષમાંથી બીજા પક્ષમાં જઈ રહેલા નેતાઓની આકરા શબ્દોમાં ઝાટકણી કાઢતા હેમાબેન આચાર્યએ રાજકારણના નૈતિક અધઃપતન પાછળ પક્ષપલટાને જવાબદાર ગણાવ્યો છે.

પક્ષપલટો રાજકારણનું નૈતિક અધઃપતન : પક્ષપલટાને લઈને વર્તમાન સમયમાં રાજકારણ દૂષિત બની રહ્યું છે, આ શબ્દો છે પૂર્વ સ્વતંત્ર સેનાની અને બાબુભાઈ જશભાઈ પટેલ સરકારના આરોગ્યપ્રધાન હેમાબેન આચાર્ય. વર્તમાન સમયમાં રાજકારણમાં રાજકીય અધઃપતન થઈ રહ્યું છે. તેના મૂળમાં જે તે કાર્યકર કે પક્ષના નેતાઓ દ્વારા કરવામાં આવતા પક્ષપલટાને કારણભૂત માનવામાં આવે છે. વર્તમાન સમયના રાજકારણમાં નેતાઓ કે કાર્યકરો દ્વારા કરવામાં આવતા પક્ષપલટાને રાજકીય પક્ષોના પતન સાથે પણ હેમાબેન આચાર્ય સરખાવી રહ્યા છે.

નૈતિકતા મરી પરવારી ! કોઈ એક પક્ષના નેતા કે કાર્યકર તેનો માતૃપક્ષ છોડીને અન્ય પક્ષમાં આવે છે, આવા સંજોગમાં નવા આવેલા કાર્યકર કે નેતાને કારણે જે તે પક્ષના પાયાના કાર્યકરોની લાગણી ખૂબ દુભાય છે. હેમાબેને વધુમાં જણાવ્યું હતું કે, કોઈ પણ નેતા કે કાર્યકર તેના માતૃપક્ષનો ન થયો તે નવા પક્ષનો કઈ રીતે થશે ? આમ રાજકારણમાં નૈતિકતા અને વફાદારીને લઈને પણ તેમને ચિંતા વ્યક્ત કરી હતી.

કોઈ પણ નેતા કે કાર્યકર તેના માતૃપક્ષનો ન થયો તે નવા પક્ષનો કઈ રીતે થશે ? રાજકારણના નૈતિક અધઃપતન પાછળ પક્ષપલટો જવાબદાર છે. -- હેમાબેન આચાર્ય (પૂર્વ આરોગ્યપ્રધાન)

ઉદાહરણરૂપ કિસ્સો : ભારત આઝાદ થયા બાદ રાજકોટ સુધરાઇમાં સોનપાલ સહિત અન્ય બે નેતાઓએ જનસંઘમાંથી પક્ષપલટો કરીને સત્તાધારી પક્ષમાં સામેલ થયા હતા. જેને ખૂબ જ ગંભીર ગણીને ચીમનભાઈ શુક્લા અને સૂર્યકાંત આચાર્ય દ્વારા કાર્યકરોની આ પ્રકારની મનોવૃત્તિ અટકે તે માટે રાજકોટમાં આમરણાંત ઉપવાસ શરૂ કર્યા હતા. આ ઉપવાસને સમગ્ર દેશમાંથી ખૂબ મોટી સંખ્યામાં લોકોનો સહકાર પણ મળ્યો હતો. ત્યારે જે તે સમયના મુખ્યપ્રધાન બાબુભાઈ પટેલે 21 દિવસના આંદોલન બાદ ચીમનભાઈ શુક્લ અને તેની સાથે આંદોલન કરી રહેલા આંદોલનકારીઓને પારણા કરાવ્યા હતા.

પક્ષપલટાનો કાયદો : પક્ષપલટાની સામે જે રીતે રાજકોટમાં જન આંદોલન અને આમરણાંત ઉપવાસ શરૂ થયા તેના પડઘા કેન્દ્રની સરકારમાં પણ જોવા મળ્યા હતા. જે તે સમયે મોરારજી દેસાઈની આગેવાનીમાં ચાલી રહેલી કેન્દ્ર સરકારે સંસદમાં પક્ષપલટાનો કાયદો પસાર કર્યો હતો. પરંતુ તેમાં અનેક ક્ષતિઓ હોવાને કારણે આજે પણ બેધડક કાર્યકરો, નેતાઓ, ધારાસભ્યો કે સાંસદ સભ્યો પક્ષપલટો કરી રહ્યા છે. જેના કારણે મતદારોની સાથે જે તે રાજકીય પક્ષોનું અધઃપતન થઈ રહ્યું છે. પક્ષપલટાની આ મોસમ વર્તમાન રાજકીય સમયમાં જાણે કે ચરમસીમા પર હોય તેને લઈને પૂર્વ આરોગ્યપ્રધાન હેમાબેન આચાર્યએ નારાજગી વ્યક્ત કરી છે.

  1. વિસાવદરના AAPના MLA ભૂપત ભાયાણીએ પક્ષ અને ધારાસભ્ય પદેથી આપ્યું રાજીનામું
  2. સત્તાની લાલસામાં ભાજપા રાજનીતિનું કરી રહી છે ચીરહરણ, રેશમા પટેલે ભાજપા પર કર્યા પ્રહારો
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.