ગુજરાત

gujarat

Surat Conocarpus : સુરત શહેરમાં અધધ 2 લાખ વૃક્ષોનો થઈ રહ્યો છે સફાયો, જાણો શું છે કારણ...

By ETV Bharat Gujarati Team

Published : Nov 1, 2023, 9:36 PM IST

સુરત શહેરમાં ઠેરઠેર કોનો કાર્પસ ઝાડનું વાવેતર કરવામાં આવ્યું હતું. પરંતુ હાલમાં એક માહિતી અનુસાર આ ઝાડ માનવ અને પર્યાવરણ માટે હાનિકારક છે. ત્યારે સુરત મનપા દ્વારા સર્વે કરી તાત્કાલીક કામગીરી શરુ કરવામાં આવી હતી. સર્વેમાં સામે આવ્યું કે શહેરમાં 2 લાખથી વધુ આવા વૃક્ષો છે. જેને દૂર કરવાની કવાયત હાથ ધરવામાં આવી છે.

Surat Conocarpus
Surat Conocarpus

સુરત શહેરમાં અધધ 2 લાખ વૃક્ષોનો થઈ રહ્યો છે સફાયો, જાણો શું છે કારણ...

સુરત : માનવ અને પર્યાવરણ માટે હાનિકારક એવા કોનો કાર્પસના ઝાડને સુરત શહેરમાંથી દૂર કરવાની કવાયત શરૂ થઈ ગઈ છે. સુરત મનપા દ્વારા આ અંગે સર્વે કરવામાં આવતા શહેરમાં 2 લાખથી વધુ કોનો કાર્પસના ઝાડ હોવાનું સામે આવ્યું છે. જોકે ખાનગી મિલકતમાં ઉગેલા આ વૃક્ષોનો આંકડો હજી સામે આવ્યો નથી. આજે સવારથી જ મનપાની ટીમ દ્વારા આ વૃક્ષ દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે.

કોનો કાર્પસ દૂર કરવા કવાયત : સુરતમાં કોનો કાર્પસના ઝાડને લઈને સુરત મહાનગરપાલિકા એક્શન મોડમાં આવ્યું છે. સુરત મનપા દ્વારા શહેરમાં કઈ જગ્યાએ કેટલા વૃક્ષ લાગ્યા છે તેનો સર્વે કરવામાં આવ્યો હતો. મનપાના સર્વેમાં શહેરમાં 2 લાખથી વધુ કોનો કાર્પસના ઝાડ હોવાનો ઘટસ્ફોટ થયો છે, ત્યારે આજથી ગાર્ડન વિભાગ દ્વારા માનવ અને પર્યાવરણ માટે હાનિકારક એવા કોનો કાર્પસના ઝાડને સુરત શહેરમાંથી દૂર કરવાની કવાયત શરૂ કરી દેવામાં આવી છે. હાલમાં ઘોડદોડ રોડ અને પાર્લે પોઇન્ટ વિસ્તારમાં ગાર્ડન વિભાગ દ્વારા કોનો કાર્પસ દૂર કરવાની કામગીરી શરૂ કરવામાં આવી છે.

મનપાના સર્વેમાં ઘટસ્ફોટ : આ અંગે કોર્પોરેટર વ્રજેશ ઉનડકટે જણાવ્યું હતું કે, સુરત મહાનગરપાલિકામાં ડીવાઈડર લાગેલા છે તેમાં કોનો કાર્પસ વૃક્ષ કેટલા છે તેનો સર્વે કરવામાં આવ્યો છે. આ ઉપરાંત ખાનગી પ્રોપર્ટી સહિતના સ્થળ પર પણ સર્વે કરવામાં આવ્યો છે. સુરત સીટીની અંદર ખાનગી પ્રોપર્ટી સહીત 2 લાખ જેટલા કોનો કાર્પસના ઝાડ જોવા મળ્યા છે, હાલમાં ઘોડદોડ રોડ અને પાર્લે પોઇન્ટ વિસ્તારમાં ગાર્ડન વિભાગ દ્વારા કોનો કાર્પસ દૂર કરવાની કામગીરી શરૂ કરવામાં આવી છે.

આ વૃક્ષ કેટલું નુકશાન કારક છે તે અંગે લોકોને માહિતગાર કરવામાં આવશે. તેની પરાગરજથી અસ્થમા જેવા રોગો થવાની પણ શક્યતા છે. ગાર્ડન વિભાગ દ્વારા કોનો કાર્પસ દૂર કરવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. -- વ્રજેશ ઉનડકટ (કોર્પોરેટર અને ગાર્ડન સમિતિ સભ્ય)

2 લાખથી વધુ ઝાડ કપાશે : વ્રજેશ ઉનડકટે જણાવ્યું હતું કે, લાખો વૃક્ષોની વાવણી કરવા માટેની શરૂઆત કરવામાં આવી હતી. ત્યારે આ વૃક્ષ ઓછા પાણીમાં મોટું થાય છે, આ કારણ છે કે તેને બીઆરટીએસ સહિત અન્ય જગ્યાઓ ઉપર લગાડવામાં આવ્યા હતા. ત્યારે ખબર નહોતી કે આ વૃક્ષ સ્વાસ્થ્ય માટે હાનિકારક છે. આ વૃક્ષ સસ્તું હોય છે અને ઝડપથી વધી જાય છે. આ કારણ છે કે પાલિકાએ અનેક જગ્યાએ લાખોની સંખ્યામાં આ ઝાડની રોપણી કરી હતી. ગુજરાત વન વિભાગ દ્વારા આ અંગે જાણકારી આપવામાં આવી કે, આ હાનિકારક છે ત્યારે સર્વપ્રથમ ગાર્ડન સમિતિના સભ્ય હોવાના કારણે પોતે અધિકારીઓએ જણાવ્યું હતું કે આ અંગે સર્વે કરી તાત્કાલિક દરેક જગ્યાએથી આ ઝાડ દૂર કરવામાં આવે.

આ વૃક્ષ હાનિકારક કેમ ? વ્રજેશ ઉનડકટે વધુમાં જણાવ્યું હતું કે, આ વૃક્ષ કેટલું નુકશાન કારક છે તે અંગે લોકોને માહિતગાર કરવામાં આવશે. કોનો કાર્પસ ભૂગર્ભ જળને સમાપ્ત કરી નાખે છે. જ્યારે આ વૃક્ષ મોટું થાય છે ત્યારે તેની પરાગરજથી અસ્થમા જેવા રોગો થવાની પણ શક્યતા છે. ઉપરાંત તેના મૂળિયા પાણીની અને ડ્રેનેજની લાઈનને પણ નુકસાન કરે છે. આ વૃક્ષ સસ્તામાં ઉપલબ્ધ થાય છે અને ઝડપથી વિકસિત થાય છે. લોકો વોલ તરીકે પણ આ વૃક્ષનો ઉપયોગ કરે છે.

સુરત મનપાની કામગીરી : વ્રજેશ ઉનડકટે વધુમાં ઉમેર્યું હતું કે, આ વૃક્ષથી થતા નુકશાન અંગે લોકોને જાગૃત પણ કરવામાં આવશે. વરાછા ઝોન બી અને અઠવા ઝોનમાં વૃક્ષ વધારે છે. ત્યાં નવા ડેવલોપીંગ એરિયા છે જ્યાં આ વૃક્ષ વધારે વાવવામાં આવ્યા છે. ગાર્ડન સમિતિની મીટીંગમાં પણ ગંભીર ચર્ચા થઈ હતી, હાલમાં ઘોડદોડ રોડ અને પાર્લે પોઇન્ટ બ્રિજ નીચેથી આ વૃક્ષ દૂર કરવામાં આવ્યા છે. આવનારા દિવસોમાં તમામ બ્રિજને ગ્રીન બ્રીજ તરીકે ડેવલોપ કરવામાં આવશે.

  1. Surat News : જાપાનના પ્રતિનિધિમંડળે અંત્રોલીમાં બુલેટ ટ્રેન પ્રોજેકટની મુલાકાત લઇ સમીક્ષા કરી
  2. Surat News: કર્મચારીઓનું સરકાર સાથે સમાધાન, સંઘવીએ કહ્યું કાળા બજારી કરનાર લોકો સામે પગલાં લેવાશે

ABOUT THE AUTHOR

...view details