ગુજરાત

gujarat

ગુજરાત હાઇકોર્ટનો મોટો નિર્ણય- લવ જેહાદના કાયદામાં કલમ 5 પરનો સ્ટે યથાવત

By

Published : Aug 26, 2021, 1:36 PM IST

ગુજરાત ધર્મ સ્વતંત્રતા સુધારણા બિલ મામલે અગાઉ ગુજરાત હાઈકોર્ટે વચગાળાનો નિર્ણય આપી કાયદાની કલમ 3,4,5 અને, 6 ઉપર સ્ટે આપ્યો હતો. આજે બુધવારે એડવોકેટ જનરલ કમલ ત્રિવેદીએ કાયદાની કલમ 5 ઉપર મનાઈ હુકમ હટાવવા હાઈકોર્ટમાં રજૂઆત કરી હતી. ત્યારે આજે ગુરૂવારે આ મુદ્દે સુનાવણી હાથ ધરાતા સ્ટે યથાવત રાખવાનો નિર્ણય કરાયો છે.

લવ જેહાદના કાયદામાં કલમ 5 પરનો સ્ટે યથાવત
લવ જેહાદના કાયદામાં કલમ 5 પરનો સ્ટે યથાવત

  • ગુજરાતના ધર્મ સ્વતંત્રતા સુધારા બિલને લઇ કલમ 5 પર સ્ટે હટાવવા મામલે રાજ્ય સરકારે કરેલી અરજીનો મામલો
  • અરજદારના વકીલે એડવોકેટ જનરલે કરેલી માંગ સામે કર્યો વિરોધ
  • હાઇકોર્ટે કલમ 5 ઉપરનો સ્ટે યથાવત રાખ્યો

ન્યૂઝ ડેસ્ક- આજે હાઇકોર્ટમાં સરકાર તરફથી એડવોકેટ જનરલે કલમ 5 પરનો સ્ટે હટાવવા કોર્ટમાં રજૂઆત કરી હતી. આ સંદર્ભે ગુજરાત હાઇકોર્ટે એડવોકેટ જનરલની રજૂઆત ફગાવી દીધી છે. જેના કારણે લવ જેહાદના કાયદામાં કલમ 5 પરનો સ્ટે યથાવત રહેશે. કાયદેસરના લગ્નથી ધર્માતરણ માટે કલેક્ટરની પરવાનગી જરૂરી હોવાની જોગવાઇ પર હાઇકોર્ટનો મનાઇ હૂકમ યથાવત રહેશે.

માત્ર લગ્નના આધાર પર FIR નહી

ઉલ્લેખનીય છે કે, લવ જેહાદના કાયદાની અમુક જોગવાઇઓની અમલવારી ઉપર હાઈકોર્ટે મનાઈ હુકમ ફરમાવ્યો છે. ગુજરાત ધર્મ સ્વતંત્રતા સુધારા કાયદાની કલમ 3,4,5 અને, 6 માં લગ્નની બાબતમાં થયેલા સુધારાની અમલવારી ઉપર હાઈકોર્ટે મનાઈ હુકમ ફરમાવ્યો છે. આંતરધર્મીય લગ્નના કિસ્સાઓમાં માત્ર લગ્નના આધાર પર FIR થઈ શકે નહીં, તેવું હાઈકોર્ટનું અવલોકન હતું. હાઇકોર્ટે આદેશ કહ્યું હતું કે, બળજબરી દબાણ કે લોભ લાલચથી લગ્ન થયા છે તેવું સાબિત કર્યા બાદ જ FIR થઈ શકશે.

ગુજરાત વિધાનસભામાં લવ જેહાદ કાયદો ભારે હોબાળા વચ્ચે પાસ થયો

ઉલ્લેખનીય છે કે, રાજ્યમાં 15 જૂનથી ગુજરાત ધર્મ સ્વાતંત્ર્ય (સુધારા) બિલ-2021, જેને લવ જેહાદ વિરોધી કાયદો ગણવામાં આવે છે, તેનો અમલ શરૂ થઇ ગયો હતો, પરંતું તેના પર કોર્ટમાં અરજી કરાઇ હતી. લવજેહાદના આ કાયદાને રાજ્યમાં લાગૂ કરવા પાછળ સરકારનો હેતું એ હતો કે, કોઇ પણ લાલચ, બળજબરી કે કોઇ પણ પ્રકારની હિંસા કરીને કોઇનું ધર્મ પરિવર્તન ના કરાવી શકે. ગુજરાત વિધાનસભામાં લવ જેહાદ કાયદો ભારે હોબાળા વચ્ચે પાસ થયો હતો.

લવ જેહાદ વિરોધી કાયદો

ગુજરાત સરકારે આ કાયદો પાસ કરીને જો કોઇ વ્યક્તિ આ કાયદાનું ઉલ્લંઘન કરે તો 5 વર્ષ સુધી સજા અને રૂપિયા 2 લાખ સુધીના દંડની જોગવાઇ છે. સગીર સાથેના ગુનામાં 7 વર્ષ સુધી સજા અને રૂપિયા 3 લાખ દંડ લેવાશે. અનુસૂચિત જાતિ, જનજાતિની સ્ત્રી સાથેના ગુનામાં 7 વર્ષની સજા કરાશે. આ કાયદા હેઠળ કરાયેલા ગેરકાયદેસર ધર્માન્તરણ સક્ષમ કોર્ટ દ્વારા રદ કરી શકાશે. કાયદા મુજબ મદદગાર સામે પણ કાર્યવાહી થશે. લોહીના સગપણવાળી કોઇ પણ વ્યક્તિ ફરિયાદ નોંધાવી શકશે.

ABOUT THE AUTHOR

...view details