ગુજરાત

gujarat

ફૂલોના વેચાણમાં કોરોના અને વાવાઝોડાનું ગ્રહણ, સિઝનમાં પણ ભાવમાં 50ટકાનો ઘટાડો

By

Published : May 26, 2021, 1:17 PM IST

કોરોના મહામારી (CORONA) અને તૌકતે વાવાઝોડા (Tauktae Cyclone)ની ફૂલોના વેપારીઓ પર માઠી અસર પડી છે. હાલ સિઝનમાં ફૂલોના વેચાણમાં 50ટકા જેટલો ઘટાડો નોંધાયો છે. ફૂલોના ભાવમાં પણ 50થી 60 ટકા જેટલો પણ ઘટાડો નોંધાયો છે. મંદિરો બંધ છે અને લગ્નની સિઝનમાં પણ વેચાણ થતું નથી. ત્યારે સૌથી વધારે અસર નાના વેપારીઓ પર જોવા મળી રહી છે.

ફૂલોના વેચાણમાં કોરોના અને વાવાઝોડાનું ગ્રહણ
ફૂલોના વેચાણમાં કોરોના અને વાવાઝોડાનું ગ્રહણ

  • ફૂલોના ભાવમાં 50થી 60 ટકાનો ઘટાડો
  • મંદિરો બંધ, અને લગ્ન પણ ટુકમાં થવાથી ફૂલનો વપરાશ બંધ
  • અંતિમ વિધિ અને રોજીંદા ગ્રાહકો જ કરી રહ્યા છે ખરીદી

અમદાવાદઃ રાજયમાં કોરોનાની મહામારીમાં મોટા ભાગના તમામ ઉદ્યોગોના બંધની મોટી અસર થઇ છે. તેવામાં ફૂલોના વેપારીઓ અને ખેડૂતો પર પણ મોટી અસર થઇ છે. કારણ કે કોરોનાની મહામારીમાં મીની લોકડાઉનમાં તમામ વસ્તુઓ બંધ છે. ઉત્સવો અને પ્રસંગો પણ બંધ છે. જેમની સાથે વાવાઝોડામાં પણ ફૂલોના બગીચાને મોટા પ્રમાણમાં નુક્સાન થતા માઠી અસર પડી છે.

ફૂલોના વેચાણમાં કોરોના અને વાવાઝોડાનું ગ્રહણ

આ પણ વાંચોઃતૌકતે વાવાઝોડાની અસર, આણંદમાં ફળોના ભાવ આસમાને

ફૂલોના વેચાણમાં હાલ અડધો અને તેનાથી વધારો ઘટાડો નોંધાયો છે

અમદાવાદ ફૂલ માર્કેટ એસોસિએશનના પ્રમુખ રિઝવાન અરબે કહ્યું હતું કે, "ફૂલોના વેચાણમાં હાલ અડધો અને તેનાથી વધારો ઘટાડો નોંધાયો છે. કારણ કે, રોજ મંદિરોમાં વધારે પ્રમાણમાં ફૂલ વાપરવામાં આવે છે. પરંતુ મંદિરો કોરોનાને લઇને બંધ હોવાથી માત્ર ગણતરીના ફૂલો જ પૂજામાં વપરાઇ રહ્યા છે.

લગ્નની સિઝન ચાલી રહી છે, પરંતુ લગ્નમાં પણ ગણતરીના જ લોકો હાજર રહે છે

વધુમાં રિઝવાન અરબે કહ્યું હતું કે, લગ્નની સિઝન ચાલી રહી છે. પરંતુ લગ્નમાં પણ ગણતરીના જ લોકો હાજર રહે છે. તેથી માત્ર 20થી 30 ટકા ફૂલો જ વપરાઇ રહ્યા છે. પહેલા સમગ્ર હોલ ફૂલોથી શણગારવામાં આવતા હતા. પરંતુ આજે તમામ પ્રકારની સજાવટ બંધ થઇ ગઇ છે. તેની મોટી અસર વેચાણ પર દેખાઇ છે."

ટ્રાન્સપોર્ટેશનની સુવિધાઓમાં પણ હાલાકી હોવાથી ફુલોનો પણ બગાડ વધી રહ્યો છે

"લગ્નનની અને ઉત્સવોની સિઝનમાં કોલકાતા, બિહાર, રાજસ્થાનથી ફૂલોના કારીગરો સિઝનમાં કામ કરવા માટે ગુજરાત આવતા હતા. પરંતુ આ સિઝનમાં કોરોનાને લઇને તમામ વસ્તુઓ બંધ હોવાથી એક પણ કારીગર અન્ય રાજયમાંથી આવ્યા નથી. અન્ય રાજયમાં પણ લોકડાઉનની પરિસ્થિતિ છે. જેને લઇને અન્ય રાજયમાંથી આવતા ફૂલોમાં પણ ઘટાડો નોંધાયો છે. ટ્રાન્સપોર્ટેશનની સુવિધાઓમાં પણ હાલાકી હોવાથી ફુલોનો પણ બગાડ વધી રહ્યો છે."તેમ રિઝવાન અરબે કહ્યું હતું.

કોરોનાની બીજી લહેરમાં ફૂલોના ખેડૂતોને મોટી નુકસાની ભોગવવાનો વારો આવ્યો છે

અમદાવાદ ફૂલ માર્કેટ એસોસિએશનના વેપારી નિમેશ મોદીએ કહ્યું હતું કે, "કોરોનાની મહામારીમાં સિઝન ન હોવાથી કેટલાક ખેડૂતો દ્વારા વાવાણી જ કરવામાં આવતી નથી. કારણ કે, કોરોનાની બીજી લહેરમાં ફૂલોના ખેડૂતોને મોટી નુકસાની ભોગવવાનો વારો આવ્યો છે. પહેલી વેવ પૂર્ણ થતા ખેડૂતો દ્વારા વાવણી કરવામાં આવી હતી.

હાલ કોરોનાની ત્રીજી વેવની આશંકા કરવામાં આવી રહી છે

બીજી વેવ શરૂ થતાની સાથે ફૂલોનો પાક આવ્યો, જેના લીધે મોટી નુક્સાની ભોગવવાનો વારો આવ્યો છે. હાલ કોરોનાની ત્રીજી વેવની આશંકા કરવામાં આવી રહી છે. ત્યારે ખેડૂતોને ડર છે કે, જો ત્રીજી વેવ આવશે તો, નુક્સાની પણ આવી શકે છે. એટલા માટે હાલ ખેડૂતો વાવણી પણ કરી રહ્યા નથી."

ડચ ગુલાબ અને પીળા ફૂલ હાલ મહારાષ્ટ્રમાંથી આવી રહ્યા છે

"મોગરાના ભાવ હાલમાં વધારો હોવાનું કારણ તેની ખેતીની સાયકલ પર આધાર રાખે છે. તેમના ભાવ દર 15 દિવસે વધ-ઘટ થયા કરે છે. વાવાઝોડાના કારણે ડમરાના ભાવમાં પણ વધારો થયો છે. જેના લીધે ભાવ વધુ છે. ડચ ગુલાબ અને પીળા ફૂલ હાલ મહારાષ્ટ્રમાંથી આવી રહ્યા છે. ગુજરાત કરતા મરાહાષ્ટ્રના ફૂલોનું આયુષ્ય વધારે વેપારીઓ મોટા ભાગે મહારાષ્ટ્રના ફૂલોનો પણ આગ્રહ રાખે છે. કારણ કે તેમાં બગાડ અટકાવી શકાય."તેમ નિમેશ મોદીએ કહ્યું હતું.

આ પણ વાંચોઃકોરોના સંક્રમણની વિપરીત અસરો હવે બજારો પર, સૂકા મસાલા અને મરચાના બજારમાં 50 ટકા ગ્રાહકો ઘટ્યા

ફૂલોના ભાવ પર શુ અસર

ફૂલ સિઝનમાં શુ ભાવ હોય છે હાલમાં કેટલો ભાવ છે
ગુલાબ રૂપિયા 180થી 200 રૂપિયા 100
પીળા ફૂલ રૂપિયા 90થી 100 રૂપિયા 70
મોગરો રૂપિયા 100થી 120 રૂપિયા 200
ડમરો રૂપિયા 5થી 10 રૂપિયા 30થી 40
ડચ ગુલાબ રૂપિયા 180થી 200 રૂપિયા 100
જરબેરા રૂપિયા 60થી 80 રૂપિયા 30
કમળ રૂપિયા 10થી 15 રૂપિયા 5

ABOUT THE AUTHOR

...view details