Ram Ajay Ban: અમદાવાદમાં રામનું અજય બાણ તૈયાર, અયોધ્યામાં અર્પણ કરાશે
Published : Dec 30, 2023, 12:06 PM IST
અમદાવાદ: રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠાને લઈને સવર્ત્ર જાણે તહેવારનો માહોલ છે. 22 જાન્યુઆરીને લઈને ભક્તોમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ત્યારે અમદાવાદમાં જય ભોલે ગ્રુપ દ્વારા 'અજય બાણ' નું નિર્માણ કરવામાં આવ્યું છે. આ બાણ પાંચ ફૂટ લાંબુ અને 11.5 કિલોગ્રામ વજન ધરાવે છે. આ બાણ સોનુ, ચાંદી, પિત્તળ, તાંબુ, લોખંડ જેવી પાંચ ધાતુમાંથી બનાવવામાં આવ્યું છે. અયોધ્યાના નવનિર્મિત રામ લલ્લા મંદિરમાં આ અજય બાણને અર્પણ કરાશે.
અજય બાણ પાછળશની લોકવાયકા: શાસ્ત્રો મુજબ કહેવાય છે કે રામ અને લક્ષ્મણ શૃંગી આશ્રમ ખાતે ગયા હતા. ત્યારે ઋષિ શૃંગીએ રાવણ સાથેના યુદ્ધમાં ભગવાન રામની જીત માટે જગદંબાની આરાધના કરવા જણાવ્યું હતું. ત્યારબાદ રામે જંગલમાં મા જગદંબાની પૂજા કરી. પરિણામે સ્વયમ જગદંબા પ્રસન્ન થયા અને રામને એક બાણ આપી વિજયી ભવના આશિર્વાદ આપ્યા હતા. આ જ બાણથી રામે રાવણનો વધ કર્યો હતો.