વલસાડ: વલસાડ જિલ્લાના કપરાડા તાલુકામાં આવેલી 61 જેટલી શાળાઓના વિદ્યાર્થીઓ છેલ્લા કેટલાય સમયથી છતાં માટે વલખા મારી રહ્યા છે. તાલુકાના વર્ષો જૂના જર્જરીત બનેલા ઓરડાઓ તોડી પાડવા માટે મંજૂરી બાદ ઓરડા તોડી તો પાડવામાં આવ્યા છે પરંતુ નવા બન્યા નથી. જેના કારણે સ્કૂલમાં અભ્યાસ અર્થે આવતા વિદ્યાર્થીઓને વૃક્ષ નીચે ગ્રામ પંચાયતના મકાનમાં કે મંદિરના ઓટલા ઉપર કે પછી પતરાંના શેડ નીચે બેસીને છેલ્લા બે વર્ષથી શિક્ષણ લેવાની ફરજ પડી રહી છે.
સામાજિક અગ્રણીઓની રજૂઆત: જે અંગે કપરાડા તાલુકાના સમસ્ત આદિવાસી સમાજના અગ્રણી અને મનાલા ગામના સરપંચ દ્વારા જિલ્લા કલેકટરને લેખિત રજૂઆત કરી બાળકોના ભવિષ્યની ચિંતા કરી તાત્કાલિક ઓરડા બનાવવામાં આવે તેવી માંગ કરાય છે. કલેક્ટરને કેટલી શાળામાં વિદ્યાર્થીઓ વૈકલ્પિક રીતે બહાર બેસી અભ્યાસ કરે છે તે અંગે પણ આંકડો પણ ખબર ન હતી. તેમણે સ્પષ્ટ પણે ના પાડી દીધી હતી કે તેમને આ બાબતની કોઈ ખબર જ નથી.
આ પણ વાંચો ETV Bharat special report: 6 વર્ષે ધોરણ 1માં પ્રવેશ મેળવનાર બાળકને પડી શકે છે અનેક મુશ્કેલીઓ
શુક્લબારી ગામે બાળકો સાઈ મંદિરના શરણે અભ્યાસ કરે છે: કપરાડા તાલુકાની શુકલબારી પ્રાથમિક શાળામાં જર્જરિત ઓરડાઓ તોડી પાડ્યા બાદ અહીંના વિદ્યાર્થીઓને સાંઈબાબાના મંદિરમાં બેસીને ઓટલા ઉપર અભ્યાસ કરવાની ફરજ પડી રહી છે. આ બાબત છેલ્લા બે વર્ષથી સતત અવિરતપણે ચાલી રહી છે પરંતુ તેમ છતાં પણ શુકલબારી પ્રાથમિક શાળામાં ન તો કોઈ રાજકારણી, સાંસદ, ધારાસભ્ય કે અહીંના મંત્રીએ મુલાકાત લીધી છે કે ન તો આ સમસ્યાને દૂર કરવા માટે કોઈએ રસ દાખવ્યો છે. જેના કારણે અહીંના નાના ભૂલકાઓ મંદિરના ઓટલે બેસીને હવે શિક્ષણ મેળવી રહ્યા છે એટલે કે ગુજરાત સરકારે શિક્ષણ ઉપર મૂકવામાં આવેલા ભારને અહીંનું તંત્ર જાણે ઘોળીને પી ગયું હોય તેવું જણાઈ રહ્યું છે.
આ પણ વાંચો Vadodara News : ત્રણ બાળકોનો પક્ષી તીર્થ વઢવાણા ખાતે થનારી પક્ષી ગણતરીમાં ગણતરીકાર તરીકે સમાવેશ
શિક્ષકો અને વિદ્યાર્થીઓની હાલત કફોડી: લાખો રૂપિયાની ગ્રાન્ટ નવા ઓરડા બનાવવા માટે મંજૂર કરી દેવામાં આવી છે અને જિલ્લા પંચાયત સભ્ય અને તાલુકા પંચાયત સભ્યો દ્વારા તેમના વિસ્તારમાં આવતી વિવિધ શાળાઓમાં પહોંચીને શ્રીફળ વધેરી નવા ઓરડાનું ખાતમુહૂર્ત પણ કરવામાં આવ્યું છે. તે બાદ અહીં કોઈ ચકલું પણ ફરક નથી જેના કારણે જર્જરિત ઓરડાઓ તોડી પાડ્યા બાદ હાલ શિક્ષકો અને વિદ્યાર્થીઓની હાલત જાયે તો જાયે કહા જેવી થઈ છે.