ETV Bharat / state

ગુજરાત પ્રવેશતાનો લોકોના કોરોના રિપોર્ટ અંગેનું રિયાલીટી ચેક, જાણો શું છે ગાઇડલાઇન?

author img

By

Published : Apr 16, 2021, 8:49 PM IST

Updated : Apr 19, 2021, 10:12 PM IST

હાલ સમગ્ર દેશમાં કોરોના સંક્રમણ ભયાનક રીતે વધી રહ્યું છે. જે કારણે 1 એપ્રિલથી અન્ય રાજ્યોમાંથી ગુજરાતમાં પ્રવેશતા લોકો માટે RT PCR રિપોર્ટ ફરજિયાત કર્યો હતો. આ રિપોર્ટ 72 કલાકની અંદર કઢાવેલો હોવો જોઇએ. આ અંગે ETV BHARATની ટીમે વિવિધ ચેક પોસ્ટ પર રિયાલીટી ચેક કર્યું હતું.

રિયાલીટી ચેક
રિયાલીટી ચેક

  • ગુજરાત મહારાષ્ટ્ર બોર્ડર ઉપર એન્ટીજન રેપિડ ટેસ્ટ કરવામાં આવી રહ્યો છે
  • આરોગ્ય વિભાગ દ્વારા વિશેષ ટીમ તૈનાત કરવામાં આવી
  • મહારાષ્ટ્રમાં વધી રહેલા કોરોનાના કેસને લઈને તકેદારીના ભાગરૂપે વિશેષ વ્યવસ્થા ઊભી કરાઈ
  • સરકારે 1 એપ્રિલથી અન્ય રાજ્યમાંથી આવતા લોકોનો RT-PCR રિપોર્ટ ફરજિયાત કર્યો હતો

ન્યૂઝ ડેસ્ક : 1 એપ્રિલથી ગુજરાતમાં આવતા અન્ય રાજ્યના લોકોએ ફરજિયાત નેગેટિવ RT-PCR રિપોર્ટ લઈને આવવાનો આદેશ સરકારે આપ્યો છે. જેને અંતર્ગત આંતરરાજ્ય બોર્ડર પર ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. RT PCR રિપોર્ટ વગર આવતા ખાનગી બસ ચાલકો અને પ્રવાસીઓને પરત મોકલવામાં આવી રહ્યા છે.

શું છે ગાઇડલાઇન?

રાજ્યમાં કોરોનાનું સંક્રમણ અટકે તે માટે રાજ્ય સરકાર દ્વારા મહારાષ્ટ્ર સહિત અન્ય રાજ્યોમાંથી ગુજરાતમાં આવતા તમામ નાગરિકોના RT-PCR ટેસ્ટ ફરજિયાત કરાવેલા હોવો જરૂરી છે અને જે નાગરિકોના ટેસ્ટ નેગેટિવ હશે તેને જ ગુજરાતમાં પ્રવેશ આપવામાં આવશે. જો કે આ પહેલા મહારાષ્ટ્રમાંથી આવતા લોકોનો જ ટેસ્ટ કરવામાં આવતો હતો, પરંતુ હેવ આ નિયમ અન્ય રાજ્યના નાગરિકોને 1 એપ્રિલથી લાગુ પડશે.

અન્ય હુકમ ન થાય ત્યાં સુધી અમલમાં રહેશે આ નિયમ

આગામી 1 એપ્રિલથી 2021થી લાગુ થનાર આ નિયમ અન્ય હુકમ ન થાય ત્યાં સુધી અમલમાં રહેશે. તેવું નાયબ મુખ્યપ્રધાને જણાવ્યું હતું. દેશના ઘણા રાજ્યોમાં વધી રહેલા કોરોના વાઈરસના સંક્રમણને ધ્યાને લેતા તેમજ ટ્રાવેલ હિસ્ટ્રી ધરાવતા વ્યક્તિઓમાં સંક્રમણનું પ્રમાણ વધારે જોવા મળતું હોઈ દેશના અન્ય રાજ્યોમાંથી આવતા મુસાફરોના RT-PCR ટેસ્ટ કરાવવાનું જરૂરી હોઈ ગુજરાત રાજ્ય દ્વારા આ નિર્ણય લેવાયો છે.

રિયાલીટી ચેક
બોર્ડર પર ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાયો

72 કલાકમાં RT-PCR ટેસ્ટ કરાવેલો હોવો જોઇએ

નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલે ઉમેર્યુ કે, આરોગ્ય અને પરિવાર કલ્યાણ દ્વારા મહારાષ્ટ્ર રાજ્યમાંથી ગુજરાતમાં આવતા તમામ વ્યક્તિઓએ પ્રવેશના છેલ્લા 72 કલાકમાં RT-PCR ટેસ્ટ કરાવેલો હોવો જોઇએ અને રિપોર્ટ નેગેટિવ હોવો અનિવાર્ય છે. તો જ પ્રવેશ આપવામાં આવશે. રાજ્યોમાંથી કોવિડનાં કેસોનો વ્યાપ ન વધે તે માટે તકેદારીના ભાગ રૂપે એપિડેમિક ડિસિઝ એકટ અન્વયે મળેલ સત્તાની રૂએ અન્ય રાજ્યોમાંથી ગુજરાતમાં પ્રવેશ મેળવવા ઈચ્છતા તમામ વ્યક્તિઓએ છેલ્લા 72 કલાકમાં RT-PCR ટેસ્ટ કરાવેલો હોવો જોઈએ, અને તે નેગેટિવ હોવો જોઈએ.

બોર્ડર પર કોરોના અંગે ETV BHARATનું રિયાલીટી ચેક

કપરાડા-રાજબારી બોર્ડરની પરિસ્થિતિ

વલસાડ જિલ્લાના કપરાડા રાજ બારી થઈ નાસિક જતા માર્ગ પર હાલ આરોગ્ય વિભાગ દ્વારા વિશેષ ટીમ તૈનાત કરવામાં આવી છે. મહારાષ્ટ્રમાં વધી રહેલા કોરોનાના કેસને લઈને આ તકેદારીના ભાગરૂપે વિશેષ વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે. મહારાષ્ટ્રના નાસિકથી કોઈપણ વ્યક્તિ ગુજરાતમાં પ્રવેશ કરે, તો તેમનો કોરોના ટેસ્ટ ફરજિયાત કરવામાં આવે છે, ત્યારે આવા સમયે જો તેમને કોરોના ટેસ્ટ કરાવ્યો ન હોય, તો તે તમામ લોકોનો સ્થળ પર જ એન્ટીજન રેપિડ ટેસ્ટ કરવામાં આવી રહ્યો છે. જેથી સ્થળ પર જ પ્રવેશ લેનારા વ્યક્તિ કોરોના પોઝિટિવ છે કે, નહીં તેનું નિરાકરણ મળી જાય છે. મહત્વનું છે કે આ માર્ગ ગુજરાતી રોજિંદા નાસિક જતા અને શાકભાજી લઈને પરત આવતા લોકો માટે જીવાદોરી સમાન છે.

કપરાડા-રાજબારી બોર્ડરની પરિસ્થિતિ

ભિલાડ ચેકપોસ્ટની પરિસ્થિતિ

ભિલાડ બોર્ડર પર ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. RT PCR રિપોર્ટ વગર આવતા ખાનગી બસ ચાલકો અને પ્રવાસીઓને પરત મોકલવામાં આવી રહ્યા છે. આ અંગે વલસાડ જિલ્લા આરોગ્ય વિભાગના મેડિકલ ઓફિસર કેતન પટેલે ETV BHARATને ટેલિફોનિક વાતચીતમાં જણાવ્યું હતું કે, મહારાષ્ટ્રથી ગુજરાત થઈને રાજસ્થાન જતી ખાનગી બસોમાં ડ્રાઇવર, ક્લિનર અને તમામ પ્રવાસીઓનો નેગેટિવ RT PCR રિપોર્ટ હોય તો જ પ્રવેશ આપવામાં આવી રહ્યો છે. જેનો RT PCR રિપોર્ટ નથી, તેને પોલીસની મદદથી પરત મોકલવામાં આવે છે.

RT PCR રિપોર્ટ વગર 'નો એન્ટ્રી' : ભિલાડ ચેકપોસ્ટ ખાતેથી પ્રવાસીઓને પરત મોકલાયા

બોર્ડર પર ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાયો

ભિલાડ પોલીસ મથકના PSI ભગવતસિંહ રાઠોડે જણાવ્યું હતું કે, હાલ સરકારના આદેશ બાદ બોર્ડર પર ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. જેમાં મોટાભાગના ખાનગી લક્ઝરી બસના ડ્રાઇવર-ક્લીનર અને પ્રવાસીઓ પાસે RTPCR રિપોર્ટ હોતો નથી. એટલે એમને પરત મોકલવામાં આવે છે અને RTPCR રિપોર્ટ લઈને આવવાનું જણાવવામાં આવે છે. જેને લઈને અહીં લક્ઝરી બસનો જમાવડો થઈ રહ્યો છે. જે ટ્રાફિકમાં અડચણ ન થાય તે મુજબ ક્લિયર કરવામાં આવે છે.

રિયાલીટી ચેક
રિયાલિટી ચેકમાં પ્રવાસીઓ તરફથી મિશ્ર પ્રતિસાદ જોવા મળી રહ્યો છે

અંબાજી નજીક આવેલી સરહદ છાપરી ચેક પોસ્ટની પરિસ્થિતિ

બનાસકાંઠા જિલ્લાના અંબાજી નજીક આંતરરાજ્ય બોર્ડર પર આજે રાજસ્થાનથી ગુજરાતમાં પ્રવેશતા પ્રવાસીઓને સરહદ છાપરી ચેક પોસ્ટ ઉપર અટકાવાયા હતા. જોકે આ પૂર્વે રિયાલિટી ચેકમાં પ્રવાસીઓ તરફથી મિશ્ર પ્રતિસાદ જોવા મળ્યો હતો. કોઈના રિપોર્ટ હોય કે ન હોય તેમને જવા દેવામાં આવે છે, પણ ETV BHARATની ટીમ બોર્ડર પર પહોંચતા જ પોલીસ અને આરોગ્ય ટીમ એક્શન મોડમાં આવી હતી.

રાજ્ય સરકાર આવી એક્શન મોડમાં, ગુજરાતમાં પ્રવેશતાની સાથે RTPCRનો નેગેટિવ રિપોર્ટ બતાવો પડશે

રિયાલિટી ચેકમાં પ્રવાસીઓ તરફથી મિશ્ર પ્રતિસાદ જોવા મળી રહ્યો છે

પ્રવાસીઓનાં વાહનોની લાંબી લાઈન ખડકી દીધી હતી. જ્યાં પ્રવાસીઓ પાસેથી RT-PCRના નેગેટિવ રિપોર્ટની માગ કરતા જોવા મળ્યા હતા. જેમની પાસે કોરોનાનો નેગેટિવ રિપોર્ટ ન હોય તેવા પ્રવાસીઓ સહિત વાહન ચાલકોને રાજસ્થાન તરફ પરત કરાયા હતા. જ્યારે કેટલાક પ્રવાસીઓ પાસે RT-PCRના નેગેટિવ રિપોર્ટની કોપી મોબાઈલમાં તેમજ કાગળ પર મળી આવતા તેમને ગુજરાતમાં પ્રવેશવા દેવામાં આવ્યા હતા. જો કે, આ સમગ્ર પ્રક્રિયામાં ફરજિયાત બનાવાયેલા RT-PCRનો રિપોર્ટ માગતા પ્રવાસીઓને પોલીસ કર્મચારીઓ અને આરોગ્ય કર્મચારીઓ વચ્ચે તુતુ મેમેના દ્રશ્યો પણ જોવા મળ્યા હતા. જો કે, સરકારની આ પ્રક્રિયાને મિશ્ર પ્રતિસાદ જોવા મળી રહ્યો છે.

ગુજરાત અને મહારાષ્ટ્રની બોર્ડર પર 100માંથી 30 વાહનચાલકો પાસે RT-PCR રિપોર્ટ નથી હોતો

નંદીગ્રામ ચેક પોસ્ટની પરિસ્થિતિ

વલસાડ જિલ્લાના નંદીગ્રામ ચેક પોસ્ટ ખાતે આરોગ્યની અને પોલીસની ટીમ તૈનાત કરવામાં આવી છે. જે કાર-રિક્ષાચાલકનો અને પ્રવાસીઓનો RT-PCR રિપોર્ટ નેગેટિવ હોય તેમને જ ગુજરાતમાં પ્રવેશ આપવામાં આવી રહ્યો છે.

આરોગ્યની 4 ટીમ અને પોલીસ જવાનોને તૈનાત કરવામાં આવ્યા

હાઈવે નંબર 48 પર નંદીગ્રામ ચેકપોસ્ટ ખાતે અત્યારે આરોગ્યની 4 ટીમ અને પોલીસ જવાનોને તહેનાત કરવામાં આવ્યા છે. આ અંગે મેડિકલ ઓફિસર ડૉ. નૈનેશ પટેલે જણાવ્યું હતું કે, અહીં તમામના RT-PCR રિપોર્ટ ચેક કરવામાં આવે છે. રજિસ્ટર્ડમાં નામ નોંધણી કરવામાં આવે છે. ત્યારબાદ તેમને પ્રવેશ આપવામાં આવે છે. જ્યારે જે વાહનચાલકો પાસે RT-PCR રિપોર્ટ નથી તેવા વાહનચાલકોને પોલીસની મદદથી પરત મોકલવામાં આવે છે.

100માંથી લગભગ 30 વાહનચાલકો પાસે RT-PCR રિપોર્ટ હોતો નથી

આરોગ્યની ટીમે આપેલી વિગતો મુજબ 100 વાહનચાલકોમાંથી લગભગ 30 જેટલા વાહનચાલકો પાસે RT-PCR રિપોર્ટ હોતો નથી. તેઓ કેટલાક જરૂરી કામ માટે નીકળ્યા હોય આરોગ્ય અને પોલીસ ટીમ સાથે ગેરવર્તણૂક અને ઉગ્ર સ્વભાવે કે આજીજી સ્વરૂપે રજૂઆત કરે છે, પરંતુ તેવા લોકોને શાંતિથી સમજાવી RT-PCR રિપોર્ટ લઈને આવવાનું જણાવવામાં આવે છે. જોકે, આ નિયમ માત્ર રિક્ષા, કારચાલકો માટે હોય ટ્રકચાલકોને કોઈ પણ પૂછપરછ વગર જવા દેવામાં આવે છે, જેને લઈને સરકારની આ બેવડી નીતિ સામે કેટલાંક વાહનચાલકો પોતાની નારાજગી દર્શાવી બોર્ડર પર અવર-જવર કરતા જોવા મળ્યા હતાં.

ખોટા RT-PCR રિપોર્ટ સાથે મહારાષ્ટ્રથી પ્રવેશ કરતા 14 શખ્સો ઝડપાયા

મહારાષ્ટ્રથી ગુજરાતમાં આવતા કેટલાક લોકો ખોટા RT-PCR રિપોર્ટ બનાવી ભિલાડ ચેક પોસ્ટથી પ્રવેશ મેળવવા કોશિશ કરતા હોય છે. જો કે, વલસાડ જિલ્લાની સતર્ક પોલીસ આવા લોકોના કારસ્તાન પકડી લેવામાં સફળતા મેળવી લે છે, ત્યારે ગુરુવારે મુંબઈથી ખોટા RT-PCR રિપોર્ટ બનાવી ગુજરાતમાં પ્રવેશતા 14 લોકોને ઝડપી લીધા હતા.

તમામ રિપોર્ટમાં નામ અને તારીખમાં ફેરફાર

આ અંગે જિલ્લા પોલીસ વડા ડૉ. રાજદીપસિંહ ઝાલાએ જણાવ્યું હતું કે, નકલી RT-PCR સાથે આવેલા લોકો સામે મુંબઈના ભાઇન્દરમાં ગુનો દાખલ કરવામાં આવ્યો છે. પકડાયેલા તમામ 14 શખ્સોના RT-PCRનો રિપોર્ટ ચેક કરતી વખતે ધ્યાનમાં આવ્યું હતું કે, તમામ રિપોર્ટમાં કોઈના નામ અલગ હતા, કોઈની લખેલી ઉંમરમાં તફાવત હતો, તારીખનો તફાવત હતો. તો એ સિવાય દરેક RT-PCR રિપોર્ટ પર જે તે લેબોરેટરીનો QR કોડ હોય તે કમ્પ્યુટર મારફતે એડિટિંગ કર્યું હોવાનું જાણવા મળ્યું હતું.

ખોટા રિપોર્ટ બનાવનારા એજન્ટ્સ સામે પણ કાર્યવાહી કરાશે

પકડાયેલા તમામ શખ્સો સામે પોલીસે ખોટા દસ્તાવેજ બનાવવાની IPC કલમ અને ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટ હેઠળ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે. જેમાં આ ખોટા રિપોર્ટ બનાવનારા એજન્ટ્સ સામે પણ કાર્યવાહી કરવામાં આવશે, તેવું જિલ્લા પોલીસ વડાએ જણાવ્યું હતું.

Last Updated : Apr 19, 2021, 10:12 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.