રાજકોટ: સૌરાષ્ટ્રમાં યુવાનોમાં હાર્ટ એટેકને કારણે મોતના બનાવો સતત વધી રહ્યા છે. ત્યારે આવી જ એક વધુ ઘટના રાજકોટના જેતપુરમાં બની છે. જેમાં એક 18 વર્ષીય વિદ્યાર્થિનીનું હાર્ટ એટેકના કારણે મોત થયું હોવાનું સામે આવતા પરિવાર પર આભ ફાટી પડ્યું છે. જેતપુરના સરદાર પટેલ કન્યા કેળવણી મંડળમાં અભ્યાસ કરતી વિદ્યાર્થિનીનું હોસ્ટેલમાં હાર્ટ એટેક આવતા અચાનક મોત નીપજ્યું છે. વિદ્યાર્થિનીના મૃતદેહને પોસ્મોટમ માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે.
યુવતી અચાનક ઢળી પડી: આ અંગે મળતી માહિતી મુજબ જેતપુરમાં સરદાર પટેલ કન્યા કેળવણી મંડળમાં BCAનો અભ્યાસ કરતી 18 વર્ષીય વિદ્યાર્થીની કશીશ સતિષભાઈ પીપળવા હોસ્ટેલમાં ઢળી પડી હતી. આ વિદ્યાર્થિનીને સારવાર માટે ખાનગી હોસ્પિટલ ખસેડવામાં આવી હતી, જ્યાં ડોક્ટરે તેને મૃત જાહેર કરી હતી. વિદ્યાર્થિનીના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે જેતપુર સરકારી હોસ્પિટલ મોકલવામાં આવ્યો હતો. જ્યાં ડોક્ટર વિદ્યાર્થિનીનું હાર્ટ એટેકને કારણે મોત થયું હોવાનું જણાવ્યું હતું.
યુવાઓ અને કિશોરોને હાર્ટ એટેક: સરદાર પટેલ કન્યા કેળવણી મંડળમાં BCAનો અભ્યાસ કરતી હતી. તે મૃતક વિદ્યાર્થિની કશીશ સતિષભાઈ પીપળવા જામકંડોરણા તાલુકાના જામદાદર ગામની રહેવાસી હતી. આ વિદ્યાર્થિનીને બે વર્ષથી હૃદયના વાલ્વ સંબંધી બીમારી હોવાનું પણ જાણવા મળ્યું છે. જેતપુરમાં નવરાત્રી પહેલાં એક બાદ એક હાર્ટ એટેકના બનાવો બનતા પરિવારો તેમજ લોકો ચિંતિત બન્યા છે. હાર્ટ એટેકથી મોતનો સિલસિલો અટકવાનું નામ નથી લઈ રહ્યો. ચિંતાની વાત તો એ છે કે, યુવાઓ અને કિશોર વયનાઓને હાર્ટ એટેક આવી રહ્યો છે.
ડોક્ટરે મૃત જાહેર કરી: જામનગરમાં કિશોરનું હાર્ટ એટેકથી મોત થયા બાદ હવે સૌરાષ્ટ્રમાં એકનું હાર્ટ એટેકને વિદ્યાર્થિનીનું મોત થયું હોવાની ઘટના સામે આવી છે. મહત્ત્વનું છે કે, મૃતક વિદ્યાર્થિની રાજકોટ જિલ્લાના જેતપુરની સરદાર પટેલ કન્યા કેળવણી મંડળમાં હોસ્ટેલમાં રહીને અભ્યાસ કરતી હતી. તેને અચાનક હાર્ટ એટેક આવતાં તે ઢળી પડી હતી. આ પછી તેને હોસ્પિટલ લઈ જતા ડોક્ટર મૃત જાહેર કરી હતી.