ETV Bharat / state

નવસારી સિવિલ હોસ્પિટલના કોવિડ વિભાગમાં આગ લાગતા નાસભાગ, બે દર્દીઓને બચાવાયા

author img

By

Published : Dec 7, 2020, 11:36 AM IST

નવસારીની સિવિલ હોસ્પિટલના કોવિડ 19 વિભાગમાં રવિવારે અચાનક આગ લાગતા નાસભાગ મચી હતી. આગ લાગતા જ સ્ટાફ નર્સ તેમજ ડૉકટરોએ તાત્કલિક આગને ઓલવવાના પ્રયાસ કર્યો હતો. આ સાથે જ નવસારી ફાયર અને પોલીસને પણ ઘટનાની જાણ કરાતા તેઓ પણ ઘટનાસ્થળે પહોંચી વોર્ડમાં ફસાયેલા બે દર્દીઓને સુરક્ષિત બહાર કાઢી અન્ય હોસ્પિટલમાં ખસેડ્યા હતા.

Etv Bharat, Gujarati News, Navsari News
નવસારી સિવિલ હોસ્પિટલના કોવિડ વિભાગમાં આગ લાગતા નાસભાગ

  • નવસારી ફાયરના જવાનોએ તાત્કાલિક હોસ્પિટલ પહોંચી આગ પર કાબુ મેળવ્યો
  • રાજ્યમાં કોવિડ હોસ્પિટલોના આઇસીયુમાં આગ લાગવાની ઘટનાઓ બાદ સરકારી સતર્કતા
  • મોકડ્રિલ દ્વારા સિવિલ હોસ્પિટલના સ્ટાફ સહિત જિલ્લા તંત્રની સતર્કતા ચકાસાઇ

નવસારી: શહેરની સિવિલ હોસ્પિટલના કોવિડ 19 વિભાગમાં રવિવારે અચાનક આગ લાગતા નાસભાગ મચી હતી. આગ લાગતા જ સ્ટાફ નર્સ તેમજ ડૉકટરોએ તાત્કલિક આગને ઓલવવાના પ્રયાસ કર્યો હતો. આ સાથે જ નવસારી ફાયર અને પોલીસને પણ ઘટનાની જાણ કરાતા તેઓ પણ ઘટનાસ્થળે પહોંચી વોર્ડમાં ફસાયેલા બે દર્દીઓને સુરક્ષિત બહાર કાઢી અન્ય હોસ્પિટલમાં ખસેડ્યા હતા.

આગની ઘટનામાં બે દર્દીઓને બચાવી લેવાતા કોઇ જાનહાની નહીં

નવસારી જિલ્લામાં કોરોનાના કેસોમાં ફરી વધારો થઇ રહ્યો છે, પરંતુ જિલ્લામાં ખાનગી હોસ્પિટલને કોવિડ 19 હોસ્પિટલ તરીકેનો કોન્ટ્રાકટ પુરો થયા બાદ નવસારીની સિવિલ હોસ્પિટલના કોવિડ 19 વિભાગમાં કોરોનાના દર્દીઓને સારવાર અપાઇ છે. રવિવારે સિવિલ હોસ્પિટલના આઇસોલેશન વોર્ડમાં અચાનક આગ લાગતા નાસભાગ મચી હતી. આગ લાગતા જ સિવિલ તંત્રે નવસારી ફાયર વિભાગને જાણ કરતા નવસારી ફાયરના જવાનો ફાયર ફાઈટર સાથે તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચ્યા હતા.

નવસારી સિવિલ હોસ્પિટલના કોવિડ વિભાગમાં આગ લાગતા નાસભાગ

આ સાથે જ આગ લાગેલા વોર્ડમાં પહોંચી ફાયર ઇન્સ્ટીગ્યુસરથી આગને ઓલવી દર્દીઓને સુરક્ષિત ખસેડવા ફાયરના જવાનોએ હોસ્પિટલ સ્ટાફ સાથે તેમને ઉંચકીને નીચે ઉતાર્યા હતા. આગની ઘટનાને પગલે નવસારી પોલીસ પણ ઘટનાસ્થળે પહોંચી હતી. જયારે આગ લાગેલા વોર્ડમાંથી દર્દીઓને સુરક્ષિત નીચે ઉતારી, અન્ય હોસ્પિટલમાં ખસેડાયા હતા. જેમાં કોઇ જાનહાની ન થતા તંત્રએ રાહતનો શ્વાસ લીધો હતો. જોકે આગની ઘટના હકીકતમાં નહીં પણ મોકડ્રિલ હોવાનું જણાતા હોસ્પિટલના અન્ય દર્દીઓને પણ જીવમાં જીવ આવ્યો હતો.

રાજ્યની હોસ્પિટલોમાં આગની ઘટના બાદ જાગી સરકાર, તંત્રને મોકડ્રિલ થકી સતર્ક કરવાનો પ્રયાસ

કોરોના કાળમાં ગુજરાતના મુખ્ય શહેરોમાં સરકાર દ્વારા માન્યતા અપાયેલી કોવિડ 19 હોસ્પિટલોના આઇસીયુ વિભાગમાં આગ લાગતા ઘણા કોરોના દર્દીઓએ જીવ ગુમાવવો પડ્યો હતો. રાજકોટની કોવિડ 19 હોસ્પિટલમાં લાગેલી આગની ઘટના બાદ રાજ્ય સરકાર સફાળી જાગી છે. જેની સાથે જ રાજ્યના દરેક જિલ્લાઓમાં આવેલી કોવિડ 19 હોસ્પિટલોમાં મહિનાની છઠ્ઠી તારીખે મોકડ્રિલ થકી હોસ્પિટલ તંત્ર સાથે જિલ્લા તંત્રની સતર્કતાને ચકાસી તેનો રીવ્યુ કરવાનો આદેશ કર્યો છે. જેને કારણે હોસ્પિટલોમાં આગ લાગવાની ઘટનાને ટાળી શકાય અને જો કોઇ ઘટના બને, તો પણ તેને પહોંચી વળવા તંત્ર સક્ષમ બને.


સિવિલની બંધ પડેલી ફાયર હાઇડન સિસ્ટમને રીપેર કરવાની તજવીજ

ઉલ્લેખનીય છે કે, ગત્ત મહિનામાં જ નવસારી જિલ્લા પોલીસના સ્પેશ્યિલ ઓપરેશન ગ્રુપ દ્વારા પણ સિવિલ હોસ્પિટલના કોવિડ 19 વિભાગમાં આગ લાગે તો તેને પહોંચી વળવાના પ્રયાસ રૂપ મોકડ્રિલ યોજી હતી, પરંતુ એ સમયે બહુમાળી ઈમારતમાં જરૂરી એવી ફાયર હાઈડન સિસ્ટમ, જે સિવિલ હોસ્પિટલમાં પણ લગાવવામાં આવી છે. એમાં ક્ષતિ જણાઇ હતી. સિવિલ હોસ્પિટલની ક્ષતિગ્રસ્ત ફાયર હાઇડન સિસ્ટમને અવગણીને મોકડ્રિલ થઇ હતી, પરંતુ મીડિયા એહવાલો બાદ સિવિલ તંત્રએ ફાયર સિસ્ટમને રીપેર કરવાની તજવીજ હાથ ધરી છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.