ETV Bharat / state

Bhuj Iconic Bus Port: આતુરતાનો અંત; ભુજના આઇકોનિક બસ પોર્ટનું કાર્ય પૂર્ણ, CM ભૂપેન્દ્ર પટેલ કરશે લોકાર્પણ

author img

By ETV Bharat Gujarati Team

Published : Dec 22, 2023, 5:07 PM IST

Updated : Dec 22, 2023, 5:14 PM IST

ભુજમાં હંગામી બસ સ્ટેશનની હાલત અત્યંત ખખડધજ થઈ ગઈ હતી. 34 કરોડના ખર્ચે પી.પી.પી. ધોરણે તૈયાર થયેલા ST બસ પોર્ટના ઉદ્ઘાટન માટે લાંબા સમયથી રાહ જોવાતી હતી. ત્યારે આગામી 26મી ડિસેમ્બરે રાજ્યના મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ દ્વારા આ નવા બસ પોર્ટનું લોકાર્પણ કરવામાં આવશે.

ભુજના આઇકોનિક બસ પોર્ટ
ભુજના આઇકોનિક બસ પોર્ટ

ભુજનું આઇકોનિક બસ પોર્ટ

ભુજ: જિલ્લા મથક ભુજમાં એસટી બસ સ્ટેશનની મૂળ જગ્યાએ વર્ષ 2017માં અદ્યતન બસ પોર્ટ બનાવવા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વર્ચ્યુઅલી ભૂમિ પૂજન કર્યું હતું. અંદાજિત 34 કરોડની રકમથી બસ પોર્ટનું કામ પૂર્ણ થઈ ગયું છે. 250 જેટલી નાની - મોટી શોપિંગ દુકાનો સાથેનું કચ્છીયતની થીમ પર આ બસ સ્ટેશન નિર્માણ પામ્યું છે. લોકો આતુરતાથી જેની રાહ જોઈ રહ્યા હતા તેવા બસ પોર્ટનું હવે 26મી ડિસેમ્બરના રોજ લોકાર્પણ કરવામાં આવશે.

ભુજનું આઇકોનિક બસ પોર્ટ
ભુજનું આઇકોનિક બસ પોર્ટ

PM મોદીએ કર્યો હતો શિલાન્યાસ: ભુજમાં અંદાજિત 34 કરોડના ખર્ચે આઇકોનીક બસ પોર્ટ નિર્માણ પામ્યું છે. 22 મે 2017ના રોજ ભુજના આઈકોનિક બસ પોર્ટનું વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભચાઉથી ઈ-શિલાન્યાસ કર્યું હતું. 6 વર્ષ બાદ હવે 2023માં આ આઇકોનિક બસ પોર્ટનું કાર્ય પૂર્ણ થયું છે અને હવે તેનું લોકાર્પણ રાજ્યના મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ દ્વારા કરવામાં આવશે. આ બસ પોર્ટ પર દરરોજની 1000 જેટલી બસની અવરજવર રહેશે અને 20000થી 25000 જેટલા મુસાફરોની આવનજાવન રહેશે.

ભુજના આઇકોનિક બસ પોર્ટ
ભુજના આઇકોનિક બસ પોર્ટ

કચ્છીયત થીમ પર બસ પોર્ટ: ભુજના આઇકોનિક બસપોર્ટમાં ખાસ કરીને કચ્છના જે મહત્વના પ્રવાસન સ્થળો છે જેવા કે માતાના મઢ, માંડવીના વિજય વિલાસ, ભુજના આઇના મહલ, શ્યામજી કૃષ્ણવર્મા ક્રાંતિતીર્થ,પ્રાગ મહલ, સ્મૃતિ વન, રીજનલ સાયન્સ સેન્ટર વગેરે જેવા પ્રવાસન સ્થળોની થીમની પ્રદર્શની પણ રાખવામાં આવી છે. તો કચ્છી ભાતીગળ સંસ્કૃતિ અને હસ્તકળાની ઝાંખી માટે પોર્ટ પર જુદી જુદી જગ્યાએ કચ્છી મડવર્ક કરવામાં આવ્યું છે અને કચ્છીયત થીમ પણ ઊભી કરવામાં આવી છે.

ભુજનું આઇકોનિક બસ પોર્ટ
ભુજનું આઇકોનિક બસ પોર્ટ

ભુજ બસ પોર્ટની વિશેષતાઓ: એસ.ટી.ના વિભાગીય કચેરી નિયામક વાય.કે.પટેલે નવા આઇકોનિક બસ પોર્ટ અંગે માહિતી આપતા જણાવ્યું હતું કે, ભુજમાં ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ દ્વારા આઇકોનિક બસ ટર્મિનલ ફેસેલિટીનું નિર્માણ કરવામાં આવ્યું છે. પીપીપી પ્રોજેક્ટ હેઠળ આઇકોનિક બસ પોર્ટ આકાર પામ્યું છે. આ આઇકોનિક બસ પોર્ટ બેઝમેન્ટ, ગ્રાઉન્ડ ફ્લોર પ્લસ ત્રણ માળની ઈમારત મળીને કુલ 20,760 સ્કેવરફૂટમાં નિર્માણ પામ્યું છે. આ પોર્ટમાં બસ માટે 15 પ્લેટફોર્મ, વેઈટીંગ રૂમ, ફૂડકોર્ટ અને વોલ્વો બસ વેઇટિંગ રૂમ, લેડીસ અને જેન્ટ્સ માટે અલગ અલગ વ્યવસ્થાઓ તેમજ આધુનિક તમામ સુવિધાઓ ઉભી કરવામાં આવી છે.

ભુજનું આઇકોનિક બસ પોર્ટ
ભુજના આઇકોનિક બસ પોર્ટ

34 કરોડ રૂપિયામાં નિર્માણ: ઉલ્લેખનીય છે કે ભુજનું આઇકોનિક બસ પોર્ટ બસ ટર્મિનલ ફેસેલિટીનું 10.34 કરોડ રૂપિયા અને કોમર્સિયલ વિભાગનું 23.66 કરોડ રૂપિયા સહિત કુલ 34 કરોડ રૂપિયામાં બાંધકામ થયું છે.તો અન્ડર ગ્રાઉન્ડ પે પાર્કિંગમાં 400 વાહનો પાર્ક થઈ શકે તેવી સુવિધા ઊભી કરવામાં આવી છે. ઉપરાંત કોઈપણ પ્રસંગની ઉજવણી માટે 250થી પણ વધુ લોકોને સમાવી શકાય એવો વિશાળ હોલ પણ ઊભો કરવામાં આવ્યો છે, જેમાં તમામ સુવિધાઓ ભાડેથી મળશે. આ આઇકોનિક બસ પોર્ટમાં રેસ્ટોરન્ટ પણ હશે તો સાથે જ 4 જેટલા મલ્ટીપ્લેક્સ સિનેમાઘર પણ હશે જેનું કામ હજુ ચાલી રહ્યું છે. તો મુલાકાતીઓ વિવિધ ખરીદી કરી શકે તે માટે અંદાજે 250 જેટલી નાની - મોટી દુકાનો સાથેનું શોપિંગ સેન્ટર પણ ઉભુ કરવામાં આવ્યું છે.

ભુજ પોર્ટનું 100 વર્ષનું આયુષ્ય: ભુજના આ આઈકોનિક બસ પોર્ટના આયુષ્યની વાત કરવામાં આવે તો ઓછામાં ઓછી 100 વર્ષ જેટલું તેનું આયુષ્ય છે.આ બસ પોર્ટની કોન્ટ્રાકટર દ્વારા 30 વર્ષ સુધી જાળવણી કરવામાં આવશે.જેમાં સાફ સફાઈથી લઈને હોસ્પિટાલિટીની જવાબદારી રહેશે. આ વિસ્તારમાં વરસાદી પાણી ભરાતા હોવાથી બસ પોર્ટમાં પાણી ભરાવવાની સમસ્યાનો ઉકેલ પણ શોધી લેવાયો છે અને સ્ટોર્મ વોટર ડ્રેનેજ સિસ્ટમથી જોડી જોડાણ કરવામાં આવ્યો છે જેથી આગામી ચોમાસામાં પાણી ભરાવાની પણ કોઈ સમસ્યા આ બસ પોર્ટમાં ઊભી નહીં થાય.

  1. અમદાવાદના સ્વાદ-રસિકો માટે આવ્યો મીઠો અવસર, સોલા ભાગવત વિદ્યાપીઠમાં સાત્વિક વાનગીનો મેળાવડો
  2. GETCO Exam Cancel: 'સરકારી નોકરી ઈચ્છુક યુવાનો સાથે ભાજપ સરકારની ક્રૂર મજાક' - શક્તિસિંહ ગોહિલ
Last Updated :Dec 22, 2023, 5:14 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.