ETV Bharat / state

બેડી અને સિક્કા બંદરે આવતા વિદેશીઓનો કોરોના ટેસ્ટ કરાશે

author img

By

Published : Mar 5, 2020, 7:16 PM IST

કોરોના વાયસની વધતી જતી ગંભીરતાને ધ્યાનમાં લઇને ભારતમાં આવતા વિદેશી પ્રવાસીઓના ઇન્ટરનેશનલ એરપોર્ટ પર સતત સ્ક્રિનિંગ કરવામાં આવી રહ્યાં છે. આ તબક્કે જામનગર જિલ્લામાં પણ કલેક્ટર દ્વારા કોરોના વાયરસ સામે સાવચેતીના ભાગરૂપે પગલાં લેવામાં આવ્યા છે. એ વિશેની જાણકારી આપવામાં આવી હતી.

બેડી અને સિક્કા બંદરે આવતા વિદેશીઓનો કોરોના ટેસ્ટ કરાશે
બેડી અને સિક્કા બંદરે આવતા વિદેશીઓનો કોરોના ટેસ્ટ કરાશે

જામનગર: વર્તમાનમાં કોરોના વાયરસના કારણે વૈશ્વિક આરોગ્ય કટોકટી ઉભી થઈ છે. ભારતમાં પણ કોરોના વાયરસના 29 કેસ કન્ફર્મ થયા છે. ત્યારે કોરોના વાયરસથી લડવા માટે ગુજરાત આરોગ્ય તંત્ર પણ સજ્જ થયું છે. હાલમાં ગુજરાતમાં કોરોના વાયરસના એક પણ કેસ કન્ફર્મ નથી. પરંતુ વાયરસને ધ્યાનમાં રાખીને ભારતમાં આવતા વૈશ્વિક પ્રવાસીઓના એરપોર્ટ પર જ સ્ક્રિનિંગ કરવામાં આવી રહ્યાં છે. આ તબક્કે જામનગર જિલ્લામાં પણ કલેક્ટર દ્વારા કોરોના વાયરસ સામે લડત આપવા શું પગલાં લેવામાં આવ્યા છે તે વિશેની જાણકારી આપવામાં આવી હતી તેમજ જામનગર જિલ્લાના લોકોને જાહેર તેમજ વ્યક્તિગત સ્વચ્છતા જાળવવાની અપીલ પણ કરાઈ હતી.

બેડી અને સિક્કા બંદરે આવતા વિદેશીઓનો કોરોના ટેસ્ટ કરાશે
કોરોના વાયરસના જો કોઈ પણ કેસ જામનગર ખાતે નોંધાય તો જી.જી.હોસ્પિટલ ખાતે 28 બેડનો એક આઈસોલેશન વોર્ડ હાલમાં બનાવી દેવામાં આવ્યો છે. સાથે જ અન્ય બે વોર્ડની પણ તૈયારીઓ પૂર્ણ કરાઈ છે. ગુજરાતમાં કાર્યરત કોરોના વાયરસના સેમ્પલ ચેકિંગ માટેની લેબ જે કાર્યરત છે તેમાં જી.જી.હોસ્પિટલનો પણ સમાવેશ કરાયો છે. જેથી આ રોગના સેમ્પલ જી.જી.હોસ્પિટલ ખાતે ચેક કરી તાત્કાલીક જ તેનું નિદાન કરી શકાશે. જિલ્લા વહીવટીતંત્ર દ્વારા ઘડવામાં આવેલ આ એકશન પ્લાન પ્રેકટિકલ સ્તરે કેટલો સક્ષમ છે તે જાણવા માટે તંત્ર દ્વારા મોકડ્રીલનું આયોજન કરવામાં આવશે. સંભવિત કોરોના વાયરસના ભયને પહોંચી વળવા 132 જેટલા એ.એન.એમ., 162 જેટલા આશાવર્કરો પ્રથમ રિસ્પોન્ડન્શ તરીકેની ભુમિકા ભજવશે. જામનગર જિલ્લાના બેડી પોર્ટ અને સિક્કા પોર્ટ જે ત્યાં વિદેશથી સીફટ તથા કાર્ગો જહાજ આવે છે તે સંક્રમિત દેશોના સંપર્કમાં આવી શકવાની શક્યતા હોય છે આ ક્રૂના મેમ્બરોના કારણે કોરોના વાયરસ જામનગરમાં ફેલાય નહી તે માટે આ બન્ને પોર્ટમાં આવેલ આ પ્રકારના શીપને જામનગરમાં આવવા દેવામાં આવશે નહી તેમજ આવનાર અને જનાર દરેકનુ થર્મલ સ્ક્રીનિંગ પણ કરવામાં આવશે. કોરોના વાઈરસથી બચવા માટે કલેકટરેએ જણાવ્યું હતું કે, લોકો જાહેર સ્વચ્છતા જાળવે તે માટે જાહેરમાં ગમે ત્યાં થૂંકે નહીં, દર ચાર કલાકે હાથ ધોવા, આ રોગ શ્વાસ અને સ્પર્શથી ફેલાતો હોય કોઈપણ વ્યક્તિને શરદી તાવ ઉધરસ જણાય અને જો તે કોઈ કોરોના વાઈરસના રોગી સાથે સંસર્ગમાં આવેલ હોય તો તાત્કાલિક જી.જી. હોસ્પિટલ ખાતે પોતાની તપાસ કરાવે. માસ્ક આ સમયે સામાન્ય લોકોએ પહેરવું હિતાવહ નથી તેમ જણાવતા જી.જી.હોસ્પિટલના કોરોના નોડલ ડોક્ટર ચેટરજીએ કહ્યું હતું કે માસ્કને પણ વારંવાર હાથથી અડકવાથી કે તેમાં પણ ચાર કલાકથી વધુ તેને પહેરી રાખવાથી વધુ ચેપ લાગવાનો ભય રહે છે તેથી સામાન્ય લોકોએ કોરોનાના ડરથી માસ્ક પહેરવાનું મુનાસિબ માનવું નહીં. આ રોગના વાઈરસ સપાટી પર પણ જીવિત રહે છે તેથી ઉધરસ ખાઇને કોઈ વસ્તુઓને પણ અડકવું નહીં અને પ્રથમ હાથ સ્વચ્છ કરવા જેનાથી પોતે, પોતાના પરિવારને અને અન્ય લોકોને પણ બચાવી શકાય.કોરોના વાઈરસથી બચવા માટેની માર્ગદર્શિકાઓ જણાવ્યા બાદ કલેક્ટરે અપીલ કરી હતી કે આ રોગ વિશે લોકોએ ગભરાવાની જરૂર નથી સાવચેતી અને સ્વચ્છ આદતોથી આ રોગથી મુક્ત રહી શકાય છે અને તેની સામે લડત પણ આપી શકાય છે. તેથી જામનગરના લોકોને અનુરોધ છે કે લોકો આ સાવચેતીના પગલાંઓને ધ્યાને લઇ સતર્ક બની કોરોના સામેની લડાઈમાં જોડાય.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.