ETV Bharat / state

Gujarat Budget 2023: ગુજરાતમાં ગેસ સસ્તો, PNG અને CNG ગેસના વેટમાં ઘટાડો કરાયો

author img

By

Published : Feb 24, 2023, 11:46 AM IST

Updated : Feb 24, 2023, 5:04 PM IST

ગુજરાતમાં ભૂપેન્દ્ર પટેલ સરકારે પોતાની બીજી ટર્મનું બજેટ રજૂ કરી દીધું છે. જેમાં કોઈ પ્રકારનો નવો ટેક્સ લાગું કરાયો નથી. જ્યારે ઘણી નવી યોજનાઓ શરૂ કરવા માટેનું એલાન કરવમાં આવ્યું છે. સૌથી મોટી વાત એ છે કે, સીએનજી અને પીએનજી ગેસમાં વેટ ઓછો કરી દેવામાં આવ્યો છે.

Etv BharatGujarat Budget: બજેટમાં આદિવાસીઓ માટે નવી યોજનાઓની જાહેરાત
Etv BharatGujarat Budget: બજેટમાં આદિવાસીઓ માટે નવી યોજનાઓની જાહેરાત

ગાંધીનગરઃ સરકારે 916 કરોડ રૂપિયા સરપ્લસ બજેટ રજૂ કર્યું છે. જેમાં 2,07,709.88 કરોડ રૂપિયા રેવન્યૂ તરીકે પ્રાપ્ત થશે, જ્યારે 1,98,67.58 કરોડનો ખર્ચો થશે. કનુ દેસાઈએ સતત બીજી વખત બજેટ રજૂ કર્યું છે. રાજ્ય સરકારને કેપિટલ ઈન્કમ રૂપિયા 85,630.89 કરોડ રૂપિયાની સામે અનુમાનિક ખર્ચો 97.902.6 કરોડ રૂપિયા થવાનો અંદાજો છે. આ કુલ મુડી ખાધ 1,227.72 કરોડ રૂપિયા થવાનો અંદાજો છે. જ્યારે કુલ બજેટ 3.01 લાખ કરોડનું છે. ગુજરાત સરકારના બજેટમાં પ્રજા માટે શું ખાસ છે એ જાણીએ.

મફત અને રાહતઃ સરકારે વિકલાંગોને એસટી બસમાં મફત પ્રવાસ આપીને મોટી રાહત આપી છે. આ માટે 52 કરોડની જોગવાઈ કરી છે. બીજી તરફ સરકારે પીએનજી અને સીએનજી ગેસના ભાવમાં ઘટાડો કર્યો છે. જેનો સીધો ફાયદો પરિવહન અને ગૃહિણીઓને થવાને છે. ગેસને કારણે જે બજેટ ખોરવાતું હતું એ હવે આ બજેટમાં સમતોલ કરી દેવામાં આવ્યું છે. કારણ કે, ગેસ પર લાગુ થતો ટેક્સ 15 ટકાથી ઘટાડી 5 ટકા કરી દેવામાં આવ્યો છે. વર્ષમાં બે વખત ફ્રીમાં ગેસ સિલિન્ડર ભરાવી શકાશે.

આંતરમાળખાનો વિકાસ: ગુજરાત સરકારે મોરબી બ્રીજ દુર્ઘટનામાંથી બોઠપાઠ લઈને 550 કરોડ રૂપિયાનો ખર્ચ કરીને જૂના બ્રીજને વધારે મજબુત કરવા માટે ખર્ચો કરશે. પાંચ હાઈસ્પીડ કોરિડોર તૈયાર કરવામાં આવશે. જેનાથી મહાનગર સાથેની અને પ્રવાસન સ્થળ સાથેની ક્નેક્ટિવિટી વધશે. અમદાવાદમાં બીજા તબકકાના મેટ્રો રેલ પ્રોજેક્ટ માટે રૂપિયા 18000 કરોડની જાહેરાત કરવામાં આવી છે. ઘણા નગરોમાં એરબેઝ તૈયાર કરવામાં આવશે. અમદાવાદ-મુંબઈ બુલેટ ટ્રેન માટે રૂપિયા 200 કરોડનું બજેટ અપાયું છે. પીએમ ગતિ શક્તિ ફંડ અંતર્ગત તેને આવરી લેવાયું છે. આ સાથે પાંચ હાઈવે તૈયાર કરાશે. સરકાર અમદાવાદ મહેસાણા-પાલનપુર વચ્ચે સિક્સ લેન તૈયાર કરશે. જેના કારણે આ ત્રણેય જિલ્લાઓને ઝડપથી વિકાસ થઈ શકશે. ગ્રામ્ય વિસ્તારમાં વધારે રસ્તાઓ તૈયાર થશે. સરખેજ હાઈવેને સિક્સ લેન કરાશે. અમદાવાદ-બગોદરા હાઈવે પણ સિક્સ લેન થઈ જશે. રૂપિયા 5 લાખ કરોડ રૂપિાય પાંચ વર્ષમાં મેટ્રો બુલેટ ટ્રેનમાં ખર્ચાશે.

પોર્ટ: સરકાર તરફથી બંદર અને વાહન વ્યવહાર માટે 3514 કરોડ રૂપિયાનું બજેટ નક્કી કરવામાં આવ્યું છે. આ ફંડ અંતર્ગત સરકાર 2000 જેટલી નવી બસ ખરીદશે. જ્યારે ઈલેક્ટ્રિક વ્હીકલની પોલીસી હેઠળ વિકાસ માટે 217 કરોડ રૂપિયાનું બજેટ નક્કી કરવામાં આવ્યું છે. જામનગર પાસે આવેલું સચાણા શીપ બ્રેકિંગ યાર્ડ શરૂ કરવા માટે 24 કરોડ રૂપિયાનું બજેટ નક્કી કરવામાં આવ્યું છે. આરટીઓમાં સરળતા ઊભી કરવા માટે એમ ગવર્નન્સ શરૂ કરવામાં આવશે.

શહેરી વિકાસ: ગુજરાત સરકારે મહાનગર પાલિકા અને નગરપાલિકાની સુવિધાઓમાં વધારો કરવા માટે 8086 કરોડ ફાળવી દીધા છે. જ્યારે સ્થાનિક સ્વરાજની શહેરી સંસ્થા માટે 3041 કરોડની રકમ બજેટ પેટે નક્કી કરી છે. સ્માર્ટ સિટી મિશન અંતર્ગત 547 કરોડ રૂપિયાનું બજેટ નક્કી કરવામાં આવ્યું છે. જ્યારે સુરત પાસે આવેલી તાપીના શુદ્ધિકરણ પ્રોજેક્ટ માટે 250 કરોડ રૂપિયાનું બજેટ ફાળવી દેવાયું છે. મહાનગર પાલિકામાં આવતા વિસ્તારમાં આઈકોનિક બ્રિજ માટે 100 કરોડનું બજેટ નક્કી કરવામાં આવ્યું છે. જ્યારે નેચરલ પાર્ક તૈયાર કરવા માટે 80 કરોડ ફાળવી દેવામાં આવ્યા છે. જ્યારે ફાયર વિભાગમાં સાધનો હેતું 66 કરોડ રૂપિયાનું બજેટ આપવામાં આવ્યું છે. જ્યારે નવા સિવિક સેન્ટર તૈયાર કરવા માટે 33 કરોડ રૂપિયાનું બજેટ નક્કી કરવામાં આવ્યું છે. જેના કારણે લોકોને મુખ્ય કચેરીઓ સુધી ધક્કા હવે નહીં ખાવા પડે. ગિફ્ટ સિટીમાં રીસર્ચ પ્રોજેક્ટ માટે 76 કરોડ રૂપિયાનું બજેટ નક્કી કરવામાં આવ્યું છે. પુરાતત્વ તેમજ સંગ્રહાલય વિભાગ માટે 55 કરોડ રૂપિયાનું બજેટ નક્કી કરવામાં આવ્યું છે.

પંચાયત: ગુજરાત રાજ્ય સરકારે ગ્રામ્ય વિસ્તારોના વિકાસ માટે ખાસ પંચાયતને બજેટ ફાળવ્યું છે. ઈગ્રામ યોજના માટે 160 કરોડની ફાળવણી કરવામાં આવી છે. જેથી નાના-મોટા કામ માટે નજીકના તાલુકા કે જિલ્લા સુધી લંબાવું નહી પડે. જ્યારે સિંચાઈ યોજના માટે 220 કરોડ રૂપિયાનું બજેટ નક્કી કરવામાં આવ્યું છે. ગ્રામ્ય વિસ્તારમાં બાયોગેસ અને સ્વચ્છ ભારત મિશન અંતર્ગત 200 કરોડ રૂપિયા નક્કી કરવામાં આવ્યા છે.

પ્રવાસનઃ દ્વારકામાં એરપોર્ટ તૈયાર થશે, દ્વારકા સિટીનું રી ડેવલપમેન્ટ કરવામાં આવશે. પ્રવાસન ક્ષેત્રને વેગ આપવા માટે તેમજ વિકાસ માટે ખાસ આયોજન કરાયું છે. પાંચ પ્રવાસન કેન્દ્ર તૈયાર કરવામાં આવશે. દ્વારકાનું કાશીની જેમ નવનિર્માણ થશે. આ ઉપરાંત કેશોદ એરપોર્ટનું નવનિર્માણ કરવામાં આવશે. જેનાથી સૌરાષ્ટ્રમાં પ્રવાસન ક્ષેત્રનો વિકાસ થશે અને વેગ મળી રહેશે. ખાસ કરીને કાશી જેવું દ્વારકા બનતા અનેક પ્રવાસીઓ સૌરાષ્ટ્ર તરફ આવશે. તીર્થધામ તરીકે વિકાસ થયા બાદ દ્વારકા નગર આખું ડેવલપ થશે. ધોળાવીરા, કડાણા ડેમ, ધરોઈ, નડા બેટ, શિવરાજપુર બેટમાં ટેન્ટ સિટી તૈયાર કરવામાં આવશે. જે માટે 20 કરોડ રૂપિયાનું બજેટ નક્કી કરાયું છે.

નવી યોજનાઃ સરકારે આદિવાસી ઉત્કર્ષ યોજના, જેમાં આદિવાસીઓનો વિકાસ થશે. શ્રમિક બસેરા યોજના, જ્યાં શ્રમિક કામ કર્યા બાદ રાતવાસો કરી શકશે. 150 નવા કેન્દ્ર ઊભા કરવામાં આવશે જ્યાં માત્ર 5 રૂપિયામાં શ્રમિકોને જમવાનું મળી રહેશે. જે માટે 100 કરોડ રૂપિયા ફાળવવામાં આવ્યા છે. મહિલાઓની પહેલી એસઆરપી બટાલિયન બનશે. સ્ટેટ રિઝર્વ પોલીસ મહિલા વિંગ તૈયાર થશે. શહેરમાં અંધારપટ દૂર કરવા માટે નગરનિગમના વીજબિલ ચૂકવશે. જ્યારે અમદાવાદમાં આવેલી ખારીકટ કેનાલને બોક્સમાં પેક કરવા માટે 300 કરોડનું બજેટ નક્કી કરવામાં આવ્યું છે.

વિજ્ઞાનલક્ષી શિક્ષણઃ રાજ્યના જિલ્લા સ્તરે વિજ્ઞાન કેન્દ્ર કાર્યરત કરવામાં આવશે. આ સાથે સાયન્સ સિટીમાં વધારો કરી આધુનિક સગવડો માટે યોજના તૈયાર કરાશે. આ ઉપરાંત 400 જ્ઞાન સેતુ સ્કૂલ ગુજરાતમાં ખોલવામાં આવશે. આ માટે 64 કરોડ રૂપિયાનું બજેટ છે. 20,000 નવી કોમ્પ્યુટર લેબ તૈયાર કરવામાં આવશે. 50,000 નવા ક્લાસરૂમ તૈયાર કરવામાં આવશે. 10 નવી રક્ષાશક્તિ સ્કૂલ ચાલું કરવામાં આવશે. RTEમાં અભ્યાસ કરેલા પ્રતિભાશાળી વિદ્યાર્થીઓને ધોરણ 8 બાદ ખાનગી શાળામાં અભ્યાસ માટે 50 કરોડ રૂપિયાનું બજેટ જાહેર કરવામાં આવ્યું છે. વિકસીત જાતિના વિદ્યાર્થીઓને 20 હજાર સુધીની શિષ્યવૃતિ આપવા માટે 562 કરોડ રૂપિયાનું બજેટ નક્કી કરાયું છે. એસસી અને વિકસીત જાતિના ધો.1-10માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે 376 કરોડ રૂપિયાની જોગવાઈ જાહેર કરવામાં આવી છે.

સિંચાઈઃ અમદાવાદમાં આવેલી સાબરમતી રીવરફ્રન્ટ માટે 150 કરોડની જોગવાઈ કરવામાં આવી છે. નર્મદા પ્રોજેક્ટ માટે સરકારે 5950 કરોડનું બજેટ જાહેર કર્યું છે. જેનાથી સિંચાઈ વ્યવસ્થા મજબુત બની રહેશે. કચ્છમાં નહેર બનાવવા માટે 1082 કરોડ રૂપિયા ખર્ચાશે. 157 કરોડ રૂપિયા નર્મદાની મેઈનકેનાલને વ્યવસ્થિત કરવા માટે ખર્ચ કરવામાં આવશે.

કૃષિઃ ખેડૂતોને સિંચાઈ માટે સરકાર ખાસ મદદ કરશે. જેના માટે અલગથી 1500 કરોડનું બજેટ રાખવામાં આવ્યું છે. ખેડૂતોને વીજ ક્નેક્શન રાહત દરે મળી રહે એ માટે 8278 કરોડ રૂપિયાની જાહેરાત કરવામાં આવી છે. ટ્રેક્ટર તથા કૃષિલક્ષી સાધનોની ખરીદી માટે 615 કરોડ રૂપિયાની જાહેરાત કરાઈ છે. જેનાથી કૃષિને વેગ મળશે અને નવા આધુનિક સાધનો થકી ખેડૂતોનું કામ આસાન થશે.

હેલ્થઃ ગુજરાત સરકારે પ્રધાનમંત્રી જનઆરોગ્ય સ્કિમ અંતર્ગત મળનારી વીમા રકમને વધારી 5 લાખથી વધારીને 10 લાખ દીધી છે. નવજાત શિશુઓ માટે સુવિધા માટે શિશુઓને તમામ જરૂરી આરોગ્ય સેવાઓ પૂરી પાડવા માટે કાર્યરત SNCU ની સંખ્યા વધારીને 50 કરવામાં આવશે. જેના માટે 24 કરોડ રૂપિયાની જોગવાઈ કરવામાં આવશે. 50 ગ્રામીણ જાહેર આરોગ્ય કેન્દ્રોમાં મહિલાઓ અને બાળકો માટે નિષ્ણાંત ડોકટરોની સેવાઓની જોગવાઈ માટે રૂ. 12 કરોડની જોગવાઈ કરવામાં આવી છે.

તબીબી સેવાઓ: તબીબી સેવાઓ માટે કુલ રૂ. 1,278 કરોડની જોગવાઈ. પ્રધાનમંત્રી આયુષ્માન ભારત હેલ્થ ઈન્ફ્રાસ્ટ્રક્ચર મિશન યોજના માટે 270 કરોડની જોગવાઈ જાહેર કરાઈ છે. જિલ્લા કક્ષાની અને પેટા જિલ્લા કક્ષાની હોસ્પિટલોના નિર્માણ અને હાલની હોસ્પિટલોને મજબૂત કરવા માટે રૂ.57 કરોડની જોગવાઈ કરાઈ છે. એમ્બ્યુલન્સ સેવાઓની ક્ષમતા વધારવા માટે રાજ્યમાં 198 નવી એમ્બ્યુલન્સ ગોઠવવા માટે રૂ. 55 કરોડની જોગવાઈ કરાઈ છે. જેના કારણે નાગરિકોને હવે આરોગ્યલક્ષ સેવાનો લાભ મળી રહેશે. પાંચ નવી નર્સિંગ કૉલેજ શરૂ કરવામાં આવશે. આ સાથે ડાંગ અને અરવલ્લીમાં મેડિકલ કૉલેજ શરૂ કરાશે.

પાણી પુરવઠો: નલ સે યોજના અંર્તર્ગત 100 ટકા કામગીરી પૂરી કરી દેવામાં આવશે. જ્યારે ગટરના રીસાયકલ પાણીના ઉપયોગ માટે ખાસ પ્રોજેક્ટ શરૂ કરાશે. પાણી પુરવઠા વિભાગનું 6 હજાર કરોડનું બજેટ નક્કી કરાયું છે. અંબાજીથી ઉમરગામ સુધી પાણીની પાઈપલાઈન ઊભી કરીને સુવિધા આપવામાં આવશે. આ ઉપરાંત તાપી કરજણ લીંક કરવા માટે સરકારે 130 કરોડનું બજેટ ફાળવી દીધું છે. જોકે, આ લાઈન નંખાતા વડોદરાથી લઈને સુરત સુધીના ગ્રામ્ય વિસ્તારને ફાયદો થઈ રહેશે. બીજી તરફ દક્ષિણ ગુજરાતની નદીઓ પર ચેકડેમ અને બેરેજ તૈયાર કરવાનું સરકારી આયોજન છે. જે માટે 103 કરોડ રૂપિયા નક્કી કરાયા છે. ખારી, પુષ્પાવતી, મેશ્વો અને રૂપેણ નદી પર ચેકડેમ તૈયાર કરાશે. જે માટે 55 કરોડ રૂપિયાનું બજેટ નક્કી કરવામાં આવ્યું છે. જ્યારે સરદાર સરોવર ડેમ માટે 5950 કરોડ રૂપિયા નક્કી કરવામાં આવ્યા છે. જેમાં ડેમનો વિકાસ કરવામાં આવશે.

સ્પોર્ટસ: જુદી જુદી રમત ગમત અંતર્ગત ખેલાડીઓના પ્રોત્સાહન માટે સરકારે બજેટમાં ખાસ રકમ ફાળવી દીધી છે. આ માટે 320 કરોડ રૂપિયાનું બજેટ નક્કી કરવામાં આવ્યું છે. તાલુકા કક્ષાએ એક અને જિલ્લા કક્ષાએ અતિ આધુનિક સ્પોર્ટ્સ સંકુલ તૈયાર થશે. જેથી ગ્રામ્ય વિસ્તારમાંથી પણ ખેલાડીઓને મોટી તક મળી રહેશે.

Last Updated :Feb 24, 2023, 5:04 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.