આદિવાસી ખેડુતો જેઓનો એક માત્ર આધાર ખેતી જ છે. હાલમાં પડેલ વરસાદને કારણે ખેડુતોને વ્યાપક નુકસાન થયેલ છે. ત્યારે પ્રદેશમાં 10 હજારથી વધુ ખેડુતો છે. જેઓ મુખ્ય ડાંગર અને શાકભાજીની ખેતી પર નભે છે. ત્યારે દિવાળીના દિવસોમાં પડેલા ભારે કમોસમી વરસાદને કારણે 13 હજાર હેકટરમાં તૈયાર થયેલ ડાંગરના પાકને નુકસાન થતા ખેડુતો માટે વિકટ પરિસ્થિતિ પેદા થઇ છે.
જેના માટે પ્રશાસન દ્વારા જિલ્લા પંચાયતના ખેતીવાડી વિભાગના સહયોગ દ્વારા ખેડુતોના પાક નુકસાની માટે સર્વે કરવાનુ કાર્ય હાથ ધરવામા આવ્યુ હતું. સેલવાસના બાલદેવી વિસ્તારમાં શાળા પરિસરમાં ખેતીવાડી વિભાગના કર્મચારીઓ, ગામના ગામસેવક દ્વારા ખેડુતોના જરૂરી પુરાવાઓ લઇ ફોર્મ ભરવામાં આવી રહ્યા છે. ત્યારબાદ ખેતરોમા જઈ સર્વે કરવામાં આવશે.
આ ખેડૂતોને જે નુકસાન થયું છે તે અંગે વર્તમાન સાંસદે પણ પ્રશાસનને ખેડૂતોને યોગ્ય વળતર મળી રહે એના માટેની માગ કરી હતી. આ સર્વે કામગીરી દરમિયાન સેલવાસ પાલિકાના સભ્ય સુમનભાઈ પટેલ, ગ્રામ સેવક ખેતીવાડી વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
એક અંદાજ મુજબ આ સર્વે કેમ્પમાં 600થી વધુ ખેડૂતોના ફોર્મ ભરવામાં આવ્યાં હતાં. આ કાર્યક્રમમાં ખેડૂતો પાસેથી પ્રશાસન દ્વારા ખેતીની જમીનનો સર્વે નંબર, બેન્કખાતા નંબર, આધાર કાર્ડ નંબર, રહેઠાણનો પુરાવો, મોબાઈલ નંબર અને કેટલા ગુંઠા જમીનમાં નુકસાન થયું છે. તેની વિગતો એકઠી કરવામાં આવી હતી.