ETV Bharat / state

Protest for Bridge: કાર્યવાહી કરો છો કે પછી અમે હાઈકોર્ટ જઈએ, હાટકેશ્વર બ્રિજ મામલે વિપક્ષે આપી AMCને ચિમકી

author img

By

Published : Mar 2, 2023, 8:13 PM IST

અમદાવાદ હાટકેશ્વર બ્રિજ કૌભાંડ મામલે કૉર્પોરેશનની ઑફિસમાં વિપક્ષે વિરોધ કર્યો હતો. સાથે જ આ મામલે યોગ્ય કાર્યવાહી કરવાની માગ કરી હતી. તેમ જ વિપક્ષે કહ્યું હતું કે, તમે કાર્યવાહી કરો છો કે પછી અમે હાઈકોર્ટ જઈએ.

Protest for Bridge: કાર્યવાહી કરો છો કે પછી અમે હાઈકોર્ટ જઈએ, હાટકેશ્વર બ્રિજ મામલે વિપક્ષે આપી AMCને ચિમકી
Protest for Bridge: કાર્યવાહી કરો છો કે પછી અમે હાઈકોર્ટ જઈએ, હાટકેશ્વર બ્રિજ મામલે વિપક્ષે આપી AMCને ચિમકી

વિપક્ષની અનેક માગ

અમદાવાદઃ અમદાવાદ મ્યુનિસિપલ કૉર્પોરેશને હાટકેશ્વર ખાતે તૈયાર કરેલો છત્રપતિ શિવાજી મહારાજ ઑવરબ્રિજ માત્ર 3 વર્ષમાં જ બિસ્માર હાલતમાં આવી ગયો છે. ત્યારે આ અંગે કૉંગ્રેસે કૉર્પોરેશન સામે બાંયો ચડાવી છે. આજે કૉંગ્રેસના સભ્યો મેયર કિરીટ પરમારને આવેદનપત્ર આપવા પહોંચ્યા હતા.

આ પણ વાંચોઃ Bridge Scam: હાટકેશ્વર બ્રિજ કૌભાંડમાં AMC અને BJP અધિકારીને બચાવવામાં લાગી છે, વિપક્ષનો આક્ષેપ

કોન્ટ્રાક્ટરને સસ્પેન્ડ કરવા માગઃ કૉંગ્રેસે આવેદન આપતા જણાવ્યું હતું કે, હિતેશ કોન્ટ્રાક્ટરને તાત્કાલિકપણે સસ્પેન્ડ કરવામાં આવે અને અજય ઈન્ફ્રાસ્ટ્રક્ચરને બ્લેકલિસ્ટ કરવામાં આવે. જો તેને બ્લેક લિસ્ટ કરવામાં નહીં આવે તો આગામી સમયમાં ગુજરાત હાઈકોર્ટમાં કૉંગ્રેસ દ્વારા PIL દાખલ કરવામાં આવશે તેવી ચિમકી પણ આપી છે.

વિપક્ષે ચડાવી બાંયોઃ શહેરમાં બનાવવામાં આવતા બ્રિજનું સરેરાશ આયુષ્ય 20 વર્ષનું હોય છે, પરંતુ શહેરના હાટકેશ્વર વિસ્તારમાં તૈયાર કરવામાં આવેલો છત્રપતિ મહારાજ ઓવરબ્રિજ માત્ર 5 વર્ષની અંદર બિસ્માર હાલતમાં જોવા મળી રહ્યો છે. આ બ્રિજનો રિપોર્ટ સામે આવતા જ ચારેબાજૂ ચર્ચાએ જોર પકડ્યું છે. આ રિપોર્ટમાં બ્રિજ બનાવવામાં હલકી ગુણવત્તાવાળું મટિરિયલ ઉપયોગમાં લેવાયું હોવાનું ઉલ્લેખ કરાયો છે, જેના પગલે અમદાવાદ મ્યુનિસિપલ કૉર્પોરેશનના વિપક્ષ દ્વારા પણ ભારે વિરોધ કરવામાં આવ્યો છે.

બ્રિજનો 3 વર્ષ ઉપયોગ થયોઃ વિપક્ષ નેતા શહેઝાદખાન પઠાણે જણાવ્યું હતું કે, હાટકેશ્વરમાં 40 કરોડ રૂપિયાના ખર્ચે તૈયાર કરવામાં આવેલો બ્રિજ 5 વર્ષમાં તૂટી ગયો છે. આમાંથી 2 વર્ષ તો કોરોના કાળના કારણે બંધ રહ્યો હતો. આ બ્રિજનો માત્ર 3 વર્ષ જ ઉપયોગ કરવામાં આવ્યો છે. હાલ આ બ્રિજની હાલત ખૂબ જ ગંભીર જોવા મળી રહી છે. ત્યારે જનતાના ટેક્સના પૈસાના કરોડો રૂપિયાનું કૌભાંડ ભારતીય જનતા પાર્ટીના શાસનમાં કરવામાં આવ્યો છે.

વિપક્ષે કર્યો વિરોધ
વિપક્ષે કર્યો વિરોધ

ઓક્ટોબર રિપોર્ટ સામે આવ્યો હતોઃ વધુમાં તેમણે જણાવ્યું હતું કે, આ બ્રિજનો રિપોર્ટ અમદાવાદ મ્યુનિસિપલ કૉર્પોરેશન પાસે ઓક્ટોબર મહિનામાં જ આવી ગયો હતો, પરંતુ ગુજરાત વિધાનસભાની ચૂંટણી હોવાને કારણે તે રિપોર્ટ બહાર લાવવામાં આવ્યો નહતો. જ્યારે રિપોર્ટ બહાર આવ્યો છતાં પણ તે બ્રિજ બનાવનારા કોન્ટ્રાક્ટરને બ્લેક લિસ્ટ જાહેર કરવામાં આવતા નથી. આ જ કોન્ટ્રાક્ટરને વર્ષ 2011-12માં 2.50 કરોડ રૂપિયાની પેનન્ટી લગાવવામાં આવી હતી, પરંતુ ભાજપે તેને બચાવવાનો પ્રયત્ન કર્યો હતો. ત્યારે ફરી એક વાર આવા જ બ્રિજ પર કૌભાંડ સામે આવ્યું છે. છતાં મેયર પોતાની ચૂપી તોડવા તૈયાર નથી અને આવા કોન્ટ્રાક્ટરને આડકતરી રીતે બચાવવાનો પ્રયાસ કરી રહ્યા છે.

કૉંગ્રેસ PIL દાખલ કરી શકે છેઃ તેમણે ઉંમેર્યું હતું કે, જો કૉર્પોરેશન, કૉર્પોરેશનના કમિશનર અને મેયરની ઑફિસની બહાર વિરોધ કરવામાં આવ્યો હતો. છતાં એક પણ અધિકારી કે નેતા પોતાની ચુપ્પી તોડવા તૈયાર નથી. કૉંગ્રેસ પક્ષની માત્ર એક જ માગ છે કે, આ કોન્ટ્રાક્ટર અને અધિકારીઓ સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે. જો આગામી દિવસમાં કાર્યવાહી કરવામાં નહીંં આવે તો કૉંગ્રેસ પક્ષ ગુજરાત હાઈકોર્ટમાં હાટકેશ્વર બ્રિજ મુદ્દે PIL દાખલ કરશે.

આ પણ વાંચોઃ AMC Tax Income: કરદાતાઓએ ભર્યો 128 કરોડનો ટેક્સ, AMCએ કરી હતી લાલઆંખ

હજી રિપોર્ટ આવવાના બાકીઃ અમદાવાદના મેયર કિરીટ પરમારે જણાવ્યું હતું કે, કૉર્પોરેશનના વિપક્ષ કૉંગ્રેસ દ્વારા નિયમ પ્રમાણે આવેદન આપવાનો કાર્યક્રમ કરવામાં આવ્યો હતો. વિપક્ષ હોવાના કારણે દરેક કામમાં તેમનો વિરોધ કરવો અને આવેદન આપવું તે તેમની રૂટીન પ્રક્રિયા છે. બ્રિજની જે ઘટના સામે આવી છે. તેના અલગ અલગ રિપોર્ટ મગાવવામાં આવ્યા છે. જોકે, હજી કેટલાક રિપોર્ટ આવવાના બાકી છે, જે આગામી દિવસોમાં આવશે ત્યારબાદ નક્કી કરવામાં આવશે કે, આ બ્રિજની આગામી કાર્યવાહી કરવામાં આવશે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.