ETV Bharat / city

જામનગર: ખેડૂતની કરોડોની જમીન બોગસ દસ્તાવેજોના આધારે ત્રણ શખ્સોએ પચાવી પાડી

author img

By

Published : Feb 16, 2021, 10:31 AM IST

જામનગર નજીક રૂપિયા 1.66 કરોડની જમીન પચાવી પાડવાનું કાવતરૂ સામે આવ્યું છે. બોગસ સંસ્થા બનાવીને બીનખેતી કરાવ્યા વગર જ પ્લોટનું વેચાણ કરી નાખ્યું હોવાનું બહાર આવ્યું છે. ત્રણ શખ્સો અને સંસ્થાના હોદેદારો વિરૂધ્ધ લેન્ડ ગ્રેબિંગ એકટ હેઠળ પોલીસ ફરિયાદ નોંધવામાં આવી છે.

લેન્ડ ગ્રેબિંગ એકટ હેઠળ નોંધાઇ ફરિયાદ
લેન્ડ ગ્રેબિંગ એકટ હેઠળ નોંધાઇ ફરિયાદ

  • જામનગર નજીક રૂપિયા 1.66 કરોડની જમીન પચાવી પાડવાનું કાવતરૂ
  • સંસ્થા બનાવી અને બીનખેતી કરાવ્યા વગર જ પ્લોટનું વેચાણ
  • ત્રણ શખ્સો અને સંસ્થાના હોદેદારો વિરૂધ્ધ નોંધાઈ પોલીસ ફરિયાદ
  • લેન્ડ ગ્રેબિંગ એકટ હેઠળ નોંધાઇ ફરિયાદ

જામનગર: શહેરમાં હવાઈ ચોક વિસ્તારમાં રહેતા ખેડૂત યુવાનના પિતાની રૂપિયા 1.66 કરોડની કિંમતની જમીન પચાવી પાડવા બોગસ કુલમુખત્યારનામું બનાવી બનાવટી સંસ્થાએ ગેરકાયદેસર વેચાણ કરાર બનાવી પચાવી પાડવાની ફરિયાદના આધારે પોલીસે વધુ એકનો જમીન પચાવી પાડવાના કાવતરામાં ત્રણ શખ્સો વિરૂદ્ધ ગુન્હો નોંધી તપાસ હાથ ધરી હતી.

અગાઉ પણ અનેક લોકોની જમીન હડપી લીધી હતી

અનેક લોકોની જમીનો ભૂ-માફિયાઓ પચાવી પાડવાની ઘટનાઓ બનતી રહે છે. જામનગર સહિત સમગ્ર રાજ્યમાં ભૂ-માફિયાઓને ડામવા માટે કડક કાયદાઓ રાજ્ય સરકારે બનાવ્યા છે અને આ કાયદામાં કડક જોગવાઈ હોવાથી ગુનાખોરી ડામવામાં મહત્વનો ભાગ ભજવે છે. જામનગર શહેર નજીક અગાઉ પણ કિંમતી જમીનો પચાવી પાડવાના અનેક બનાવો બન્યા છે. આ દરમિયાન જામનગરમાં લેન્ડ ગ્રેબિંગના કાયદા હેઠળ ગુનાઓ નોંધાવાની શરૂઆત થઈ ચૂકી છે. ત્યારે વધુ એક ફરિયાદ નોંધાઇ છે.

જમીનનો ગેરકાયદેસર બનાવ્યો વેચાણ કરાર

વિગતો મુજબ, જામનગરના હવાઈચોક નજીક વાંઢાના ડેલા વિસ્તારમાં રહેતા ઈકબાલ અલ્લારખા શેખ નામના યુવાનના પિતા અલ્લારખા હાજી શેખના વારસાગત ભોગવટાની ખેતીનો સર્વે નં.1323 પૈકી 1 ની 6 એકર, 34 ગુઠા રૂપિયા 1,66,32,594 ની કિંમતની જમીન પચાવી પાડવા માટે રાણશી કરશન રાજાણી અને નરશી ગોપા કાલસરિયા નામના બે શખ્સોએ કિશોરસિંહ મહેન્દ્રસિંહ જાડેજા અને મૃતક નકા મૈયા ચારણના નામે ખરો દસ્તાવેજ કરાવેલો હતો અને આ પ્રકરણમાં હરેશ લક્ષ્મીદાસ પારેખના નામનું કુલમુખત્યારનામું આપી નાગેશ્વરનગર નોન ટ્રેન્ડીંગ કોર્પોરેશન નામની સંસ્થા ઉભી કરી અલારખા શેખના જમીનનો ગેરકાયદેસર વેચાણ કરાર બનાવી કબ્જો કરી લીધો હતો.

હજુ પણ ભુમાફિયા સક્રિય,જમીન હડપી લેવાના ષડ્યંત્રો....

કરોડોની કિંમતી જમીન પચાવી પાડવા માટે નોન ટ્રેન્ડીંગ કોર્પોરેશનના વહીવટદારોએ બિનખેતી કરાવ્યા વગર જ પ્લોટીંગ અને નકશો બનાવી વેચાણ કરી નાખ્યું હતું. આ ઘટનાની જાણ થતા ઈકબાલ શેખે આ મામલે રાણશી કરશન રાજાણી, નરશી ગોપા કાલસરિયા, હરેશ લક્ષ્મીદાસ પારેખ અને નાગેશ્વરનગર નોન ટ્રેન્ડીંગ કોર્પોરેશનના હોદેદારો વિરૂદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી હતી. જેના આધારે જિલ્લા પોલીસ વડા દિપન ભદ્રનની સૂચનાથી ASP નીતેશ પાંડેય તથા સ્ટાફે લેન્ડ ગ્રેબિંગ એકટ હેઠળ ગુન્હો નોંધી આરોપીઓની શોધખોળ માટે ચક્રો ગતિમાન કર્યા હતાં.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.