ETV Bharat / bharat

આજે યુનિવર્સલ હેલ્થ કવરેજ ડે, જાણો શું છે મહત્વ અને આ વર્ષની થીમ

author img

By ETV Bharat Gujarati Team

Published : Dec 12, 2023, 10:13 AM IST

યુનિવર્સલ હેલ્થ કવરેજ દિવસ દર વર્ષે 12 ડિસેમ્બરના રોજ મનાવવામાં આવે છે. આરોગ્ય સંભાળ પ્રણાલીમાં સુધારો કરવા અને સામાજિક વ્યવસ્થા, ઉંમર, લિંગ, વર્ગ અથવા આર્થિક સ્થિતિને ધ્યાનમાં લીધા વિના દરેક વ્યક્તિને નાણાકીય સુરક્ષા સાથે ન્યાયપૂર્ણ અને સારી આરોગ્ય સંભાળ પૂરી પાડવાના ઉદ્દેશ્ય સાથે આ દિવસ ઉજવવામાં આવે છે. International Universal Health Coverage Day, Health for All: Time for Action, UHC Day 2023, Universal Health Coverage Day, Health Challenges in India.

આજે યુનિવર્સલ હેલ્થ કવરેજ ડે
આજે યુનિવર્સલ હેલ્થ કવરેજ ડે

હૈદરાબાદ : વિશ્વભરમાં ક્યારેક આર્થિક કારણો, ક્યારેક સારવાર અથવા ડોક્ટરોની અછત અને ક્યારેક માહિતી અથવા જાગૃતિના અભાવને કારણે લાખો લોકો સમયસર જરૂરી આરોગ્ય સેવાઓનો લાભ મેળવી શકતા નથી. વૈશ્વિક સ્તરે તબીબી અને આરોગ્ય સેવાઓના ક્ષેત્રમાં સમયાંતરે ઘણો વિકાસ થયો હોવા છતાં દરેક વ્યક્તિ માટે તમામ આવશ્યક આરોગ્ય સેવાઓ સરળતાથી પ્રાપ્ત કરવી હજુ પણ શક્ય નથી.

યુનિવર્સલ હેલ્થ કવરેજ ડે : વિશ્વના દરેક ખૂણે કોઈપણ ભેદભાવ વિના દરેક વ્યક્તિને આરોગ્યની સુવિધા પૂરી પાડવાના હેતુથી અને તેમને માત્ર આર્થિક જ નહીં પણ શક્ય તેટલી દરેક રીતે મદદ કરવાના પ્રયાસો કરવા હેતુથી વિશ્વભરમાં દર વર્ષે 12 ડિસેમ્બરના રોજ યુનિવર્સલ હેલ્થ કવરેજ ડે/સાર્વભૌમિક સ્વાસ્થ્ય કવરેજ દિવસ ઉજવવામાં આવે છે.

આ વર્ષની થીમ : સાર્વભૌમિક સ્વાસ્થ્ય કવરેજ તરફ આગળ વધવામાં આવનારા પડકારો અને અવસરો પર વિચાર કરવા અને આ દિશામાં નક્કર પગલાં લેવા સંબંધિત પ્રણાલીઓને આહ્વાન કરવા માટે આ વર્ષે આ દિવસ "સૌ માટે આરોગ્ય : કાર્યવાહી માટેનો સમય" થીમ પર મનાવવામાં આવી રહ્યો છે.

યુનિવર્સલ હેલ્થ કવરેજ ડેનો ઇતિહાસ : 12 ડિસેમ્બર 2012 ના રોજ સંયુક્ત રાષ્ટ્ર દ્વારા સર્વાનુમતે એક ઐતિહાસિક ઠરાવને સમર્થન આપ્યું હતું. જેમાં તમામ દેશોને આંતરરાષ્ટ્રીય વિકાસ માટે આવશ્યક પ્રાથમિકતા તરીકે યુનિવર્સલ હેલ્થ કવરેજ તરફના પ્રયાસો વધારવા આહ્વાન કર્યું હતું. ત્યારબાદ વર્ષ 2014 માં યુનિવર્સલ હેલ્થ કવરેજ ગઠબંધન દ્વારા 12 ડિસેમ્બરના રોજ યુનિવર્સલ હેલ્થ કવરેજ ડે ઉજવવામાં આવ્યો હતો. આ પ્રસંગે #HealthforAll હેઠળ આ દિશામાં સતત વિકાસના લક્ષ્યને સંયુક્ત રાષ્ટ્ર 2030 એજન્ડાના એક મહત્વપૂર્ણ ભાગ તરીકે સામેલ કરવામાં આવ્યું હતું. આ પછી વર્ષ 2017 માં સંયુક્ત રાષ્ટ્ર દ્વારા સત્તાવાર રીતે 12 ડિસેમ્બરને આંતરરાષ્ટ્રીય સાર્વભૌમિક સ્વાસ્થ્ય કવરેજ દિવસ તરીકે નામ આપવામાં આવ્યું હતું.

સાર્વભૌમિક સ્વાસ્થ્ય કવરેજ દિવસનો હેતુ :

યુનિવર્સલ હેલ્થ કવરેજ ડેના આયોજનના મુખ્ય ઉદ્દેશ્યમાં તમામ નાગરિકો માટે તેમના આવકના સ્તર, સામાજિક સ્થિતિ, લિંગ, જાતિ અથવા ધર્મને ધ્યાનમાં લીધા વિના સમાન અને ન્યાયસંગત સુવિધાઓની ઉપલબ્ધતા માટે પ્રયત્ન કરવા, આ દિશામાં તેમને આર્થિક મદદ કરવાનો પ્રયાસ કરવા અને આ માટે તેમને વીમો ખરીદવા, સારવાર અને દવાઓના બિલ ચૂકવવામાં મદદ કરે તેવી સુવિધાઓ વિશે જાગૃત કરવા જોઈએ.

આ ઉપરાંત સામાન્ય લોકોમાં દરેક રોગ અને તેની તપાસ વિશે જાગૃતિ લાવવી તથા ચિકિત્સા સુવિધા અને સારવારની દરેક વ્યક્તિ માટેની ઉપલબ્ધતા સાથે સારવાર પછી જરૂરિયાતમંદોના પુનર્વસન, સંભાળ અને નિવારણ માટેના પ્રયાસો વગેરેનો સમાવેશ થાય છે.

નોંધનીય છે કે, દરેક વ્યક્તિ માટે આવશ્યક આરોગ્ય સેવાઓની ઉપલબ્ધતા તરફની પ્રગતિ સાથે સાર્વભૌમિક સ્વાસ્થ્ય કવરેજથી લોકોને અન્ય ઘણા વ્યક્તિગત અને સામાજિક લાભ પણ મળે છે. જેમ કે વસ્તીના સ્વાસ્થ્યમાં સુધારો, ગરીબીમાં ઘટાડો, નોકરીઓમાં વધારો અને નાણાકીય સુરક્ષા વગેરે.

યુનિવર્સલ હેલ્થ કવરેજ ડેનું મહત્વ :

યુનિવર્સલ હેલ્થ કવરેજ ડેના મહત્વ અને આ દિશામાં સતત પ્રયત્નોની જરૂરિયાત વિશે વાત કરવામાં આવે તો આરોગ્ય સંભાળની દિશામાં એવા ઘણા મુદ્દાઓ છે જેમાં સુધારણા માટે સતત પ્રયત્નોની જરૂર છે. જેમ કે ડોકટરો અને આરોગ્ય કર્મચારીઓની અછત, વિવિધ દેશોમાં આરોગ્યની વસ્તુઓ માટે બજેટમાં ઘટાડો અને આવશ્યક તબીબી સુવિધાઓની ઉપલબ્ધતાનો અભાવ વગેરે.

આરોગ્ય સુવિધાનો અભાવ :

ફક્ત ભારત દેશની જ વાત કરીએ તો વિવિધ સરકારી અને બિનસરકારી આંકડાઓ અનુસાર હાલ દેશમાં ડોકટર, નર્સ અને આરોગ્ય કર્મચારીઓની સંખ્યા જરૂરિયાત મુજબ નથી. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશનના ધોરણો અનુસાર દર 1,000 લોકો માટે એક ડોક્ટર હોવો જોઈએ, પરંતુ ભારતમાં દર 1,445 લોકો માટે માત્ર એક ડોક્ટર ઉપલબ્ધ છે. આ ઉપરાંત 60 ટકા ગ્રામીણ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રોમાં માત્ર એક જ ડોક્ટર ઉપલબ્ધ છે. જ્યારે લગભગ 5 ટકા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રોમાં એક પણ ડોક્ટર નથી. દેશમાં નર્સોની પણ ભારે અછત છે.

આ ઉપરાંત વિવિધ કારણોસર છેલ્લા વર્ષોમાં રોગ અને દર્દીઓ બંનેની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે. છેલ્લા કેટલાક વર્ષોમાં હૃદય રોગ અને ડાયાબિટીસ જેવા શ્વાસના રોગ, કેન્સર અને અન્ય કેટલાક જટિલ બિમારીના કેસ સતત વધી રહ્યા છે. જેની અસર બિમારીના કારણે થતા મૃત્યુ દર ઉપર પણ થઈ રહી છે.

સત્તાવાર આંકડાઓ અનુસાર છેલ્લા કેટલાક વર્ષોમાં 30 વર્ષથી વધુ અને 70 વર્ષથી ઓછી ઉંમરના લોકોમાં સ્વાસ્થ્ય કારણોસર મૃત્યુનું જોખમ પહેલાની સરખામણીમાં વધ્યું છે. પરંતુ એ ચિંતાનો વિષય છે કે વિવિધ કારણોસર વિશ્વની ઓછામાં ઓછી અડધી વસ્તી હજુ પણ આવશ્યક આરોગ્ય સેવાઓનો લાભ મેળવી શકતી નથી.

વહીવટી તંત્રની કામગીરી : ઉલ્લેખનીય છે કે આ દિશામાં પ્રયાસોના ભાગરૂપે ભારત સરકાર દ્વારા રાષ્ટ્રીય ગ્રામીણ સ્વાસ્થ્ય મિશન, રાષ્ટ્રીય સ્વાસ્થ્ય મિશન, જનની સુરક્ષા યોજના, મિશન ઇન્દ્રધનુષ, રાષ્ટ્રીય સ્વાસ્થ્ય નીતિ 2017, આરોગ્ય વીમા યોજના., કર્મચારી રાજ્ય વીમા યોજના, કેન્દ્ર સરકારની આરોગ્ય યોજના (CGHS), આયુષ્માન ભારત-રાષ્ટ્રીય સ્વાસ્થ્ય સુરક્ષા મિશન અને પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના વગેરે જેવી અનેક પ્રકારની યોજનાઓ ચલાવવામાં આવી રહી છે.

આંતરરાષ્ટ્રીય સહયોગ : આવી અન્ય ઘણી યોજનાઓ દ્વારા નાગરિકોને નાણાકીય સુરક્ષા અને આવશ્યક આરોગ્ય સુવિધા પૂરી પાડવા અને આરોગ્ય સંભાળ સેવાઓ સુધારવાના પ્રયાસો કરવામાં આવે છે. આ ઉપરાંત વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન અને દેશ-વિદેશમાં અનેક આંતરરાષ્ટ્રીય અને રાષ્ટ્રીય આરોગ્ય સંસ્થાઓ દ્વારા આ દિશામાં સતત પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.

  1. ભારતમાં ચાઈનીઝ ન્યુમોનિયાની દસ્તક ! જાણો શું છે માયકોપ્લાઝ્મા ન્યુમોનિયાના લક્ષણ
  2. શિયાળામાં પીવો વરિયાળીની ચા, ફાયદા જાણીને ચોકી જશો
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.