ETV Bharat / bharat

Electoral Bond Scheme : SBI ની 29 અધિકૃત શાખામાંથી ઈલેક્ટોરલ બોન્ડ ઈશ્યૂ થશે, જુઓ કેન્દ્ર સરકારનો નિર્ણય

author img

By ETV Bharat Gujarati Team

Published : Nov 4, 2023, 7:57 PM IST

કેન્દ્ર સરકારે 6 નવેમ્બર, 2023 થી 20 નવેમ્બર, 2023 સુધી ચૂંટણી બોન્ડ જારી કરવા સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાને અધિકાર આપ્યો છે. SBI ની 29 અધિકૃત શાખાઓ દ્વારા ચૂંટણી બોન્ડ જારી કરવા અને કેશ આઉટ કરી શકાશે. જાણો સમગ્ર વિગત આ અહેવાલમાં...

Electoral Bond Scheme
Electoral Bond Scheme

નવી દિલ્હી : કેન્દ્ર સરકારે સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાની 29 અધિકૃત શાખા પરથી ઈલેક્ટોરલ બોન્ડ ઇશ્યૂ કરવાનો અને કેશ આઉટ કરવાનો અધિકાર આપ્યો છે. જે અનુસાર 6 નવેમ્બર, 2023 થી 20 નવેમ્બર, 2023 સુધી 29 અધિકૃત શાખા પરથી ચૂંટણી બોન્ડ ઈશ્યૂ કરી શકાશે. સુપ્રીમ કોર્ટની એક બેચ દ્વારા આ નિર્ણયને અનામત રાખ્યાના થોડા દિવસો બાદ જ આ જાહેરાત કરવામાં આવી છે. આ અરજી રાજકીય ફંડિંગના સ્ત્રોત તરીકે કેન્દ્રની ચૂંટણી બોન્ડ યોજનાની માન્યતાને પડકારતી અરજી છે.

સરકારનો નિર્ણય : કેન્દ્ર સરકાર દ્વારા જાહેર કરાયેલા એક નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, ચૂંટણી બોન્ડ ઇશ્યૂ થયાની તારીખથી 15 કેલેન્ડર દિવસ સુધી માન્ય રહેશે. જો નક્કી માન્યતા અવધિની સમાપ્તિ પછી ચૂંટણી બોન્ડ જમા કરવામાં આવશે તો ચુકવણી કરનાર કોઈપણ રાજકીય પક્ષને કોઈ ચુકવણી કરવામાં આવશે નહીં. ઉપરાંત લાયક રાજકીય પક્ષ દ્વારા પોતાના ખાતામાં જમા કરાયેલ ચૂંટણી બોન્ડ તે જ દિવસે જમા કરવામાં આવશે.

કોર્ટે શું કહ્યું ? એક નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, ઈલેક્ટોરલ બોન્ડ યોજનાની જોગવાઈઓ મુજબ ઈલેક્ટોરલ બોન્ડ એવી કોઈપણ વ્યક્તિ ખરીદી શકે છે જે ભારતનો નાગરિક હોય અથવા ભારત દેશમાં રહેતા અથવા સ્થાપિત હોય. કોઈપણ વ્યક્તિ વ્યક્તિગત હોવાને કારણે એકલા અથવા અન્ય વ્યક્તિઓ સાથે સંયુક્ત રીતે ચૂંટણી બોન્ડ ખરીદી શકે છે. માત્ર એવા રાજકીય પક્ષો જે લોક પ્રતિનિધિત્વ અધિનિયમ, 1951 (1951 નો 43) ની કલમ 29A હેઠળ નોંધાયેલા છે અને જેમણે લોકસભા અથવા વિધાનસભાની છેલ્લી સામાન્ય ચૂંટણીમાં થયેલા મતદાનમાં ઓછામાં ઓછા એક ટકા મત મેળવ્યા હોય તે રાજ્યના ચૂંટણી બોન્ડ મેળવવા પાત્ર થશે.

કોર્ટનો ચુકાદો અનામત : પાત્ર રાજકીય પક્ષ દ્વારા ચૂંટણી બોન્ડ માત્ર અધિકૃત બેંકના બેંક ખાતાના માધ્યમથી જ કેશઆઉટ કરવામાં આવશે. 2 નવેમ્બરના રોજ ભારતના મુખ્ય ન્યાયાધીશ ડી.વાય. ચંદ્રચુડ, ન્યાયમૂર્તિ સંજીવ ખન્ના, બી.આર. ગવઈ, જે.બી. પારડીવાલા અને મનોજ મિશ્રાની આગેવાની હેઠળની ખંડપીઠે રાજકીય ફંડિંગના સ્ત્રોત તરીકે ચૂંટણી બોન્ડ યોજનાની માન્યતાને પડકારતી અરજી પર પોતાનો ચુકાદો અનામત રાખ્યો હતો.

સુનાવણીના છેલ્લા દિવસે શું થયું ? સુનાવણીના છેલ્લા દિવસે જસ્ટિસ ખન્નાએ કેન્દ્ર સરકારનું પ્રતિનિધિત્વ કરતા સોલિસિટર જનરલ તુષાર મહેતાને પૂછ્યું હતું કે, મતદારોને દાતાઓની ઓળખ અંગે જાણવા માટેની મંજૂરી કેમ આપવામાં આવતી નથી. જસ્ટિસ ખન્નાએ સૂચન કર્યું કે, આ માહિતીને જાહેર કરી દેવી જોઈએ ? કોઈપણ રીતે આ અંગે બધા જાણે છે અને તેમાં માત્ર મતદાર વંચિત છે અને તુષાર મહેતાની દલીલ કે મતદારને ખબર નહીં હોય તે સ્વીકારવું થોડું મુશ્કેલ છે. અરજીકર્તાઓએ સુપ્રીમ કોર્ટમાં દાવો કર્યો છે કે, આ યોજના ભ્રષ્ટાચારને પ્રોત્સાહન આપે છે અને નાગરિકોને એ જાણવાનો અધિકાર છે કે રાજકીય પક્ષોને કોણ ફંડ આપી રહ્યું છે.

સુપ્રીમ કોર્ટનું સૂચન : સુપ્રીમ કોર્ટે ચૂંટણી બોન્ડ યોજના લાગુ કરતી વખતે ધ્યાનમાં રાખવાની બાબતોની રૂપરેખા તૈયાર કરી હતી. ચૂંટણી પ્રક્રિયામાં રોકડ ઘટાડવી, અધિકૃત બેંકિંગ ચેનલને પ્રોત્સાહિત કરવી, પારદર્શિતાની આવશ્યકતા અને આ યોજનાને લાંચ અને બદલાની ભાવનાને કાયદેસર બનાવવી જોઈએ નહીં. સર્વોચ્ચ અદાલતે ભારપૂર્વક જણાવ્યું હતું કે, કેન્દ્ર વધુ એક સિસ્ટમ ડિઝાઇન કરી શકે છે જેમાં આ સિસ્ટમની ખામીઓ ન હોય અને આ સિસ્ટમ પણ અપારદર્શકતા પર ભાર ન મૂકે.

  1. SC on Inactive Mobile Number: નિષ્ક્રિય મોબાઈલ નંબર સંદર્ભે ટ્રાઈનું સોગંદનામુ, 90 દિવસ સુધી નવા ગ્રાહકને બંધ નંબર ફાળવાતો નથી
  2. Adani-Hindenburg Row: અદાણી-હિંડનબર્ગ કેસ પર લેખ લખવા બદલ બે પત્રકારોને રાહત
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.