મહીસાગરઃ જિલ્લાના મુખ્ય માર્ગો તેમજ બજારોમાં તાડગોટી એટલે કે તાડફળીનું ધૂમ વેચાણ થતું જોવા મળી રહ્યું છે. તાડફળી ગરમીમાં ઠંડક આપતું ફળ છે. લોકો પણ ઉનાળાની કાળઝાળ ગરમીમાં રાહત અને ઠંડક માટે લોકો આ ફળ આરોગી રહ્યા છે. તાડફળીની ખરીદીમાં રીતસરનો ધસારો જોવા મળી રહ્યો છે.
ઠેર ઠેર વેચાણઃ મહીસાગર અને પંચમહાલ જિલ્લાના કેટલાક ગ્રામ્ય વિસ્તારોમાં તાડના વૃક્ષો પર ઉનાળામાં ફળ લાગવાની સિઝન ચાલી રહી છે. તાડના ઝાડ પર લાગતા ફળને તાડગોટી કે તાડફળી કહેવામાં આવે છે. સ્થાનિક વેપારીઓ દ્વારા ગોધરા પંથકમાંથી પણ તાડફળી મંગાવવામાં આવે છે. મહીસાગર જિલ્લાના લુણાવાડા, બાલાસિનોર, સંતરામપુર અને વિરપુર નગરોમાં સવારથી જ લારીઓમાં તાડફળી વેચાવાની શરુઆત થઈ જાય છે.
ઉત્તમ ઔષધઃ આયુર્વેદમાં પણ તાડફળીનું ખૂબ જ મહત્વ વર્ણવામાં આવ્યું છે. આ ફળ સ્વાદમાં મલાઈ જેવું મીઠુ લાગે છે. તેમાં 90 ટકા પાણીનો ભાગ હોવાથી તરસ પણ છીપાવે છે. તદ્ઉપરાંત શરીરને ગરમી સામે રક્ષણ આપનાર આ ફળ રક્તદોષ, પિત્તદોષ, મૂત્રદોષ અને ડાયાબીટીસના પ્રતિકારમાં ખૂબ જ ઉપયોગી છે. તાળફળીમાં કેલ્શિયમ પૂરતા પ્રમાણમાં હોય છે જેથી તેને ખાવાથી હાડકા મજબૂત બને છે. તેમજ પુષ્કળ પ્રમાણમાં મિનરલ્સ હોવાથી શરીરને ઊર્જા મળી રહે છે. તાડફળીમાં સોડિયમ, તાંબુ, કાર્બોહાઈડ્રેટ, ચરબી, સુગર, પ્રોટીન અને વિટામીન B6 જેવા ઘણા પોષકતત્વો હોય છે. જે આપણા શરીર માટે ખૂબજ ઉપયોગી અને ફાયદાકારક હોય છે. આ ફળ ફાઈબરયુક્ત હોવાથી પેટ દર્દ, કબજિયાતમાં ફાયદો કરે અને લીવરને પણ સુરક્ષિત રાખે છે. ગર્ભવતી મહિલાને હંમેશા કબજિયાત કે પેટના દુખાવાની ફરિયાદ રહેતી હોય તેને તાડફળી આ તકલીફમાંથી છુટકારો અપાવે છે.
અમે પાવાગઢથી તાડફળી લાવીને વેચીએ છીએ. ઉનાળામાં ગ્રાહકો હોંશે હોંશે તાડફળી ખરીદે છે અને આરોગે છે. તાડફળીથી શરીરના રોગો, પથરી નષ્ટ થાય છે. આ ફળથી શરીર માટે ઠંડક રહે છે. અત્યારે તાડફળી 40 રુપિયાની 250 ગ્રામ ભાવે વેચાય છે... શૈલેષ વાઘેલા(તાડફળી વેચનાર, મહીસાગર)
અત્યારે ગરમીની સિઝન છે. જેમાં આ તાડફળી ખાવાથી શરીરમાં ખૂબજ ઠંડક રહે છે. આ ઉપરાંત આપણાં શરીરમાં રહેલા રોગો દૂર થાય છે. પથરી થવાની શક્યતા રહેતી નથી...ભાવેશભાઈ(તાડફળી ખરીદનાર, મહીસાગર)