ગુજરાત

gujarat

Hindola Utsav : ભુજના શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાનના મંદિરમાં અનાજના એક એક દાણાથી સર્જાયું ચંદ્રયાન, જુઓ શું છે વિશેષતા...

By

Published : Aug 16, 2023, 5:26 PM IST

સ્વામિનારાયણ સંપ્રદાયનો હિંડોળા ઉત્સવ ભક્તોમાં ખૂબ જ આકર્ષણ અને મહત્વ ધરાવે છે. આ ઉત્સવમાં વિવિધ પ્રકારના કલાત્મક હિંડોળા બનાવવામાં આવે છે. ત્યારે ભુજના શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાનના મંદિરમાં અનોખો ચંદ્રયાનનો હિંડોળો તૈયાર કરવામાં આવ્યો છે. 77 કિલો અનાજમાંથી તૈયાર કરવામાં આવેલ આ ચંદ્રયાનની પ્રતિકૃતી લગભગ બે માળની ઈમારત જેટલી ઊંચાઈ ધરાવે છે.

Hindola Utsav
Hindola Utsav

ભુજના શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાનના મંદિરમાં ખાસ ચંદ્રયાનનું નિર્માણ

કચ્છ :સ્વામિનારાયણ સંપ્રદાયનો પ્રખ્યાત હિંડોળા ઉત્સવ હાલમાં પુરજોશમાં ચાલી રહ્યો છે. ત્યારે શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાનના શ્રી સ્વામિનારાયણ મંદિર દરબારગઢ ચોક ખાતે તદ્દન નવીન પ્રકારના હિંડોળા સજાવવામાં આવેલ છે. ઉલ્લેખનિય છે કે, આપણા ચંદ્રયાન 3 મિશન પર અમેરિકા સહિત વિશ્વભરના રાષ્ટ્રો અને વૈજ્ઞાનિકોની જેનાં પર નજર છે. ત્યારે ચંદ્રયાન 3 મિશનની સફળતાને ઉજાગર કરવા ગાદી સંસ્થાનના સંતો-ભક્તોને ઉત્સાહ જાગ્યો હતો. તેમાંથી ચંદ્રયાન હિંડોળાનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં વાલમાંથી 16 ફૂટ ઊંચું અને 6 ફૂટ પહોળા ચંદ્રયાનની પ્રતિકૃતિ બનાવવામાં આવી છે.

ચંદ્રયાનનું નિર્માણ : 77 મા સ્વાતંત્ર્ય વર્ષ નિમિત્તે 77 કિલોગ્રામ કઠોળ વાલનો ઉપયોગ કરીને લગભગ બે માળ જેટલી ઉંચાઈ ધરાવતા યાન તૈયાર કરવામાં આવ્યા હતા. 16 ફૂટ ઊંચાઈ અને 6 ફૂટ પહોળાઈ ધરાવતા બે રોકેટ સહિત વિવિધ આકારના જુદાં જુદાં યાન અને રોકેટની કલાત્મક કલાકૃતિ ઊભી કરવામાં આવી છે. આ યાન ભક્તોનું ખાસ ધ્યાન ખેંચે છે. આ અવકાશ યાનની બીજી વિશેષતા એ છે કે, તેનું નિર્માણ અનાજના દાણાથી કરવામાં આવ્યું છે. ખૂબ જ મહેનત અને કાળજી માંગી લે તેવી કારીગરી જોઈને લોકો પણ ભાવવિભોર થઈ જાય છે. રાષ્ટ્રના ગૌરવ સમાન ચંદ્રયાનને હિંડોળા ઉત્સવ સાથે જોડવાનો વિચાર ખૂબ જ સારો અને અભિનંદનને પાત્ર છે.

આ ચંદ્રયાનની ઊંચાઈ 16 ફૂટ અને પહોળાઈ 6 ફૂટ છે. અંદર જે વસ્તુ લગાવવામાં આવી છે તે અનાજ કઠોળ છે. તેનો કુલ વજન 70 થી 80 કિલોની છે. આ ચંદ્રયાનની અંદર સજાવટ કરવા માટે એક-એક હરિભક્તો ભાઈઓ અને બહેનોએ એક એક દાણાને ભગવાનનું નામ આપી અને પ્રેમથી સજાવ્યો છે. મંદિરના સહુ સંતો-ભક્તોની લાંબા સમયની મહેનત દ્વારા તૈયાર થયેલા આ ચંદ્રયાન હિંડોળાના દર્શન કરવા યોગ્ય છે.-- સત્યપ્રકાશદાસ સ્વામી (શ્રી સ્વામિનારાયણ મંદિર ગાદી સંસ્થાન-ભુજ)

હિંડોળાની સજાવટ : મંદીરના મહંત સત્ય પ્રકાશદાસ સ્વામીએ આ અનોખા હિંડોળા અંગે માહિતી આપી હતી. તેઓએ જણાવ્યું હતું કે, શ્રી સ્વામિનારાયણ ગાદીના આચાર્ય જીતેન્દ્રિય પ્રિયદાસ સ્વામીની પ્રેરણા તથા મંદિરના બ્રહ્મનિષ્ઠ સંત મહામૂનીશ્વરદાસ સ્વામીના પ્રોત્સાહનથી આ હિંડોળાનું આયોજન કરવામાં આવ્યું છે. હાલમાં 2 માસથી હિંડોળા ચાલી રહ્યા છે. ત્યારે તેનું મહત્વ એ છે કે, ભગવાનને પ્રેમ ભક્તિની દોરીએ ઝુલાવવામાં આવે છે. એમાં વિવિધ પ્રકારના હિંડોળાની સજાવટ કરવામાં આવે છે.

હિંડોળા ઉત્સવ : ચંદ્રયાનની વિશેષતા અંગે વાતચીત કરતા તેઓએ જણાવ્યું હતું કે, હાલ મંદિરમાં ચંદ્રયાનની રચના કરવામાં આવી છે. તે ખાસ આપણા ભારત દેશના વૈજ્ઞાનિકોનો ઉત્સાહ વધારવા માટે કરવામાં આવી છે. તેમજ વૈજ્ઞાનિકોને લાગે કે દેશના લોકો પણ વૈજ્ઞાનિકોની મહેનતને ગૌરવથી મનાવી રહ્યા છે. ત્યારે ભગવાન સ્વામિનારાયણ વૈજ્ઞાનિકોને વધારે શક્તિ આપે તેવી પણ પ્રાર્થના કરવામાં આવી રહી છે. આ ચંદ્રયાનના દર્શન હરિભક્તો ત્રણ દિવસ માટે મેળવી શકશે.

  1. સાત સમંદર પાર 221 મી સ્વામિનારાયણ મહામંત્ર જયંતીની આસ્થાભેર ઉજવણી
  2. Biparjoy Cyclone : વાવાઝોડામાં અસરગ્રસ્ત વિસ્તારમાં 11000 ફૂડ પેકેટ પહોંચાડશે ભુજ સ્વામિનારાયણ મંદિર

ABOUT THE AUTHOR

...view details