ગુજરાત

gujarat

તબીબોની જુનાગઢ થી તુલસીશ્યામ સુધી સાયક્લોથન, 'કેર નેચર સેવ નેચર'ના અભિગમ સાથે પર્યાવરણની જાગૃતિ માટે કર્યો પ્રયાસ

By ETV Bharat Gujarati Team

Published : Dec 17, 2023, 10:46 AM IST

'કેર નેચર સેવ નેચર'ના અભિગમ સાથે જુનાગઢના તબીબો દ્વારા જુનાગઢથી તુલસીશ્યામ સુધી સાયકલોથોનનું આયોજન કરવામાં આવ્યું હતું. જુનાગઢના આધાર સ્તંભ એવા સરદાર પટેલ દરવાજાથી આ સાયકલોથોનને ધારાસભ્ય દ્વારા પ્રસ્થાન કરાવવામાં આવી હતી. તુલસીશ્યામ ખાતે સમાપન થયેલા આ સાયક્લોથોન બાદ અહીં મેડિકલ કેમ્પનું પણ આયોજન કરવામાં આવ્યું હતું.

Etv Bharat
Etv Bharat

જુનાગઢ થી તુલસીશ્યામ સુધી તબીબોની સાયક્લોથન

જુનાગઢ: જુનાગઢના તબીબો દ્વારા છેલ્લાં ત્રણ વર્ષથી જુનાગઢ શહેર થી સોમનાથ દ્વારકા જેવા સ્થળો પર સાયકલોથોનનું આયોજન કરવામાં આવી રહ્યું છે, આજે ત્રીજા વર્ષે પણ જુનાગઢથી તુલસીશ્યામ સુધી સાયકલોથોનનું આયોજન કરવામાં આવ્યું હતું. જુનાગઢના આધાર સ્તંભ એવા સરદાર પટેલ દરવાજાથી આ સાયકલોથોનને ધારાસભ્ય દ્વારા રવાના કરવામાં આવી હતી. કેર નેચર સેવ નેચરના અભિગમ સાથે આયોજિત આ સાયકલોથન દરમિયાન તુલસીશ્યામ ખાતે મેડિકલ કેમ્પનું પણ આયોજન કરાયું છે

સતત ત્રીજા વર્ષે સાયકલોથોન: જૂનાગઢના તબીબો દ્વારા છેલ્લાં ત્રણ વર્ષથી સાયકલોથનનું આયોજન કરવામાં આવી રહ્યું છે, પહેલાં વર્ષે જુનાગઢ થી સોમનાથ બીજા વર્ષે જૂનાગઢથી દ્વારકા અને ત્રીજા વર્ષે આજે જુનાગઢ થી તુલસીશ્યામ સુધીની સાઇક્લોથોનનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં વોકિંગ ક્લબ અને સાયકલ એસોસિએશન જુનાગઢની સાથે જૂનાગઢના તબીબો પણ જોડાયા હતા. આજની આ સાયકલ યાત્રામાં જૂનાગઢ સહિત રાજકોટ,અમદાવાદ, ભરૂચ અને અંકલેશ્વરના તબીબો સાયકલ સાથે સેવ નેચર કેર નેચરના અભિગમ સાથે જોડાયા હતા અને પ્રત્યેક વ્યક્તિ તેમની વ્યક્તિગત શારીરિક તંદુરસ્તી પ્રત્યે સભાન અને જાગૃત બને તે માટે પણ આજની આ સાયકલોથોનનું આયોજન કરવામાં આવ્યું હતું.

પર્યાવરણ જનજાગૃતિ માટે આયોજન: લોકોમાં પર્યાવરણ પ્રત્યે વધુમાં વધુ જાગૃતિ આવે તેવા ઉમદા હેતુ સાથે આ સાયકલોથનનું આયોજન કરવામા આવ્યું હતું. સાથે-સાથે જે રીતે કુદરતી સંસાધનો ધીમે ધીમે ઓછા થઈ રહ્યા છે અને પ્રદૂષણનું સ્તર સતત વધી રહ્યું છે, ત્યારે આવા સમયે પણ લોકો સાયકલને દૈનિક જીવનનો ભાગ બનાવીને પ્રકૃતિના રક્ષણની સાથે સતત આગળ વધી રહેલા પ્રદૂષણને ઘટાડે તે માટે પણ આ સાયક્લોથન દ્વારા પ્રયાસ કરાયો છે. આ સાયકલોથોનમાં જુનાગઢ સહિત રાજકોટ અંકલેશ્વર અમદાવાદ અને ભરૂચના 200 જેટલા સાયકલીસ્ટોએ વહેલી સવારે ચાર કલાકે જુનાગઢ થી તુલસીશ્યામ તરફ પ્રયાણ કર્યુ હતું.

તબીબોના પ્રતિભાવ: જૂનાગઢના સિનિયર તબીબ કે.પી.ગઢવીએ સાઇકલોથોનને લઈને જણાવ્યું હતું કે, આધુનિક સમયમાં પ્રકૃતિનું એકમાત્ર દોહન થઈ રહ્યું છે, આવા સમયે કુદરત પ્રત્યે હવે આપણે સજાગ બનીને પ્રકૃતિને બચાવવા માટે પણ આગળ આવવું પડશે. ત્યારે આ પ્રકારના આયોજન પ્રાકૃતિક સંપદાને બચાવવા માટે પણ મહત્વના બની રહેશે. વધુમાં સાયકલોથન બાદ તુલસીશ્યામ ખાતે મેડિકલ કેમ્પનું પણ આયોજન કરવામા આવ્યું હતું. તેની પાછળનું ધ્યેય પણ નેસ વિસ્તારમાં રહેતા લોકોના આરોગ્યની કાળજી લઈ શકાય તે માટેનો છે. સામાન્ય રીતે નેસમાં રહેતા લોકો સુધી તબીબી સવલતો ખૂબ મોડી પહોંચતી હોય છે. ત્યારે સાયકલોથન પૂર્ણ થયા બાદ જંગલ વિસ્તારના નેસોમાં કેમ્પ કરીને ત્યાંના માલધારીઓને કોઈ પણ તબીબી સુવિધાઓ સાયક્લોથનમાં સામેલ થયેલા તમામ ડોક્ટરો દ્વારા બિલકુલ વિનામૂલ્યે પૂરી પાડવામાં આવશે.

  1. Talati Exam: 'સરકારના નિર્ણયથી સારા કર્મચારીઓ મળશે, પરંતુ ધો 12 પાસ કરેલા ઉમેદવારો નાસીપાસ થશે' - ઉમેદવારો
  2. રાજકારણના અજાતશત્રુ : જૂનાગઢના સૂર્યકાંત આચાર્યના જીવનની જાણી અજાણી વાતો

ABOUT THE AUTHOR

...view details