ગુજરાત

gujarat

Sabarmati Pollution: સાબરમતી નદીમાં પ્રદૂષણ મામલે 39 કંપનીને ક્લોઝર નોટિસ, વિધાનસભામાં ગાજ્યો મુદ્દો

By

Published : Mar 20, 2023, 6:43 PM IST

અમદાવાદ શહેર અને આસપાસના વિસ્તારોમાંથી કેમિકલયુક્ત પાણી છોડવાના કારણે સાબરમતી નદીમાં પ્રદૂષણનું ખૂબ જ ઊંચુ પ્રમાણ રહે છે. ત્યારે સરકાર દ્વારા એક્શન લેવાના નામે 39 કંપનીને ક્લોઝર નોટિસ ફટકારી સંતોષ માનવામાં આવ્યો છે. આ મુદ્દે એએમસીને 77 નોટિસ પાઠવાઇ હોવાનું પણ સામે આવ્યું છે. આ માહિતી વિધાનસભામાં સામે આવી છે.

Pollution in Sabarmati : સાબરમતી નદીમાં પ્રદૂષણ મામલે 39 કંપનીને ક્લોઝર નોટિસ, વિધાનસભામાં ગાજ્યો મુદ્દો
Pollution in Sabarmati : સાબરમતી નદીમાં પ્રદૂષણ મામલે 39 કંપનીને ક્લોઝર નોટિસ, વિધાનસભામાં ગાજ્યો મુદ્દો

ગાંધીનગર: ગુજરાત વિધાનસભાના બજેટ સત્ર 2023ની આજની કાર્યવાહીમાં જાણવા મળે છે કે સાબરમતી નદી પ્રદૂષિત કરી રહેલા એકમોમાંથી છેલ્લાં બે વર્ષમાં ફક્ત 39 કંપનીને ક્લોઝર નોટિસ ફટકારવામાં આવી છે. અમદાવાદ મધ્યેથી વહેતી સાબરમતી નદીમાં જળ પ્રદૂષણની વાત કરીએ તો છેક ગુજરાત હાઇકોર્ટ સુધી આ મામલો પહોંચેલો છે જેમાં સરકાર અને પ્રદૂષણ નિયંત્રણ બોર્ડને કડક પગલાં લેવા આદેશો થયેલાં છે. જોકે કાગળ પર કાર્યવાહી અને જળ પ્રદૂષણમાં સુધારની સ્થિતિ વચ્ચેનો મોટો ફરક દેખાતો હોય છે. ઉલ્લેખનીય છે કે સાબરમતી નદી દેશમાં બીજાનંબરની સૌથી વધુ પ્રદૂષિત નદી છે.

39 કંપનીને નોટિસ :અમદાવાદની સાબરમતી નદીને પ્રદૂષણ મુક્ત કરવા માટે સરકાર દ્વારા કરોડો રૂપિયાનો ખર્ચ કરવામાં આવે છે. સાથે જ ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ દ્વારા પણ અનેક કામગીરી કરવામાં આવે છે. તેમ છતાં પણ છેલ્લા બે વર્ષમાં 31 ડિસેમ્બર 2022 ની પરિસ્થિતિમાં અનેક કંપનીઓ દ્વારા સાબરમતી નદીમાં કેમિકલયુક્ત ગંદુ પાણી છોડવામાં આવતી હોવાની ફરિયાદો સામે આવી છે, જેમાં સરકાર દ્વારા 39 કંપનીને ક્લોઝર નોટિસ પાઠવામાં આવી છે.

આ પણ વાંચો Gujarat High Court: પ્રદૂષિત સાબરમતી નદી અંગે HC ચિંતામાં, કહ્યું - ગેરકાયદેસર કનેક્શનો તાત્કાલિક દૂર કરો

પ્રદૂષણ રોકવા પગલાં : કોંગ્રેસના વિજાપુરના ધારાસભ્ય ડોક્ટર સી જે ચાવડાએ સાબરમતી નદી પ્રદૂષિત થતી હોવાની ફરિયાદ બાબતનો પ્રશ્ન કર્યો હતો. જેમાં 31 ડિસેમ્બર 2020ની સ્થિતિએ છેલ્લા બે વર્ષમાં અમદાવાદ શહેર અને આસપાસના વિસ્તારોમાંથી કેમિકલવાળું ગંદુ પાણી સાબરમતી નદીમાં છોડવાના કારણે સાબરમતી નદી પ્રદુષિત થતી હોવાની ફરિયાદથી સરકાર વાકેફ છે અને આ બાબતે ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ દ્વારા ઉદ્યોગો તથા સ્થાનિક સત્તામંડળ સામે વર્ષ 2021માં 69 કારણદર્શક નોટિસ, 12 નોટિસ ઓફ ડાયરેક્શન અને 22 ક્લોઝર નોટિસ આપવામાં આવી છે. જ્યારે વર્ષ 2022માં 50 કારણદર્શક નોટિસ, 35 નોટિસ ઓફ ડાયરેક્શન, 2 લીગલ નોટિસ અને 17 કંપનીને ક્લોઝર નોટિસ પાઠવવામાં આવી છે.

AMCને 77 નોટિસ : ગુજરાત વિધાનસભા ગૃહમાં રજૂ થયેલ પત્રક મુજબ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનને 77 વખત ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ દ્વારા જ કારણદર્શક નોટિસ પાઠવવામાં આવી છે. અન્ય ખાનગી કંપનીઓ પણ આમાં શામેલ છે. જ્યારે પંદર વખત અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા સંચાલિત એસટીપી એમએલડી પ્લાન્ટ કે જેઓ પીરાણા વાસણા વિસ્તારમાં કાર્યરત છે, તેઓને પણ ક્લોઝર નોટિસ સરકારે આપી છે. આમ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના પાણીના પ્લાન્ટમાંથી પણ ગંદુ પાણી સાબરમતીમાં છોડાતું હોવાની વિગતો વિધાનસભા ગૃહમાં સામે આવી છે.

આ પણ વાંચો Sabarmati Second Most Polluted River: હાઈકોર્ટની ટકોર બાદ તંત્ર સામે સવાલ, નદીની બીજીબાજું દુર્દશા

પ્રધાનોએ મુલાકાત લીધી : સાબરમતીમાં પ્રદૂષણને ધ્યાનમાં લઈને રાજ્યકક્ષાના પ્રધાન મુકેશ પટેલે પણ અચાનક જ સાબરમતીના કિનારે મુલાકાત લીધી હતી. સાબરમતીમાં ગંદુ કેમિકલનું પાણી ઠાલવતા એકમો વિરુદ્ધ કડક કાર્યવાહીની સૂચના પણ ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડને આપવામાં આવી હતી ત્યારે આજે વિધાનસભા ગૃહમાં જાણવા મળ્યું કે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનને 77 જેટલી નોટિસ પાઠવવામાં આવી છે જ્યારે 39 જેટલી નોટિસ યુનિટને બંધ કરવા માટે ખાનગી અને સરકારી તંત્રને સૂચના આપવામાં આવી છે.

હાઈકોર્ટેની લાલ આંખ : નોંધનીય છે કે જાહેર હિતની અરજીની સુનાવણી દરમિયાન ફેબ્રુઆરીમાં ગુજરાત હાઈકોર્ટે સાબરમતી નદીમાં વધી રહેલા પ્રદૂષણને અંગે તંત્રની આકરી ઝાટકણી કાઢી હતી. પ્રદૂષિત પાણી નહીં ચલાવી લેવાય તે અંગે સરકાર યોગ્ય કાર્યવાહી કરે તેવી ટકોર કરી હતી. મહત્વનું છે કે, સેન્ટ્રલ પોલ્યુશન કંટ્રોલ બોર્ડના રિપોર્ટ અનુસાર, સાબરમતી નદી દેશની બીજા નંબરની સૌથી વધુ પ્રદૂષિત નદી બની છે. સાબરમતી નદી 292 મિલિગ્રામ પ્રતિલિટરના બીઓડી સાથે બીજા ક્રમે આવી છે.

ABOUT THE AUTHOR

...view details