ગુજરાત

gujarat

Bhavnagar News : મફતનગરની પિંજણમાં એકનું મૃત્યુ થતાં મામલો ગરમાયો, મેવાણીએ આવીને સરકાર પર કર્યા પ્રહાર

By

Published : May 30, 2023, 6:30 PM IST

ભાવનગરના મફતનગરના વિવાદમાં એક વ્યક્તિનું મૃત્યુ નિપજ્યું છે જેને મામલો ગરમાયો છે. વૃદ્ધનું મૃત્યુ થતા જીજ્ઞેશ મેવાણી હોસ્પિટલ દોડી આવી કમિશનર સામે ગુનો નોંધવા માંગ કરી છે. આ સાથે અધિકારીઓ ભ્રષ્ટાચાર આચરતા હોવાના આક્ષેપ કર્યા છે. જો કે કમિશનરે વળતો જવાબ પણ આપ્યો છે.

Bhavnagar News  : મફતનગરની પિંજણમાં એકનું મૃત્યુ થતાં મામલો ગરમાયો, મેવાણીએ આવીને સરકાર પર કર્યા પ્રહાર
Bhavnagar News : મફતનગરની પિંજણમાં એકનું મૃત્યુ થતાં મામલો ગરમાયો, મેવાણીએ આવીને સરકાર પર કર્યા પ્રહાર

મફતનગરની પિંજણમાં એકનું મૃત્યુ થતાં મામલો ગરમાયો

ભાવનગર :14 નાળા પાસે મફતનગરને મહાનગરપાલિકાએ નોટિસ આપ્યા બાદ ગઈકાલે મોટી સંખ્યામાં ધસી આવેલા ટોળામાં એક શખ્સનું મૃત્યુ થયું હતું. જેને લઈને રાજકારણ ગરમાયુ છે. કોંગ્રેસના વડગામના ધારાસભ્ય જીગ્નેશ મેવાણી ભાવનગર સર ટી હોસ્પિટલ મૃતકના પરિવારજનોને મળવા પહોંચ્યા હતા. કમિશનર સામે ગુનો ન નોંધાય ત્યાં સુધી મૃતદેહ નહીં સ્વીકારવાની જાહેરાત કરી દીધી છે. આ સાથે અન્ય અધિકારીઓ સામે પણ ભ્રષ્ટાચારના આક્ષેપો કર્યા છે. જોકે, સમગ્ર મામલે કમિશનરે પણ વળતો જવાબ આપ્યો છે.

વૃદ્ધનું મૃત્યુ :ભાવનગર 14 નાળા મફતનગરમાં મહાનગરપાલિકાના છ પ્લોટના પગલે 260 મુજબ નોટિસો આપવામાં આવી છે, ત્યારે 29 તારીખના રોજ મોટી સંખ્યામાં સ્થાનિકો મહાનગરપાલિકાની કચેરીએ ધસી આવ્યા હતા. કમિશનર સાથે વાર્તાલાપ દરમિયાન ઝૂપડપટ્ટી વસાહત સમયે આગેવાનોની હાજરીમાં યુસુફભાઈ અહેમદભાઈ ડેરૈયા નામના વૃદ્ધની મહાનગરપાલિકામાં તબિયત લથડતા ભાવનગર સર ટી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જ્યાં સારવાર દરમિયાન તેમને મૃત જાહેર કરવામાં આવ્યા હતા. યુસુફભાઈના પુત્રે મૃત્યુનું કારણ કમિશનરને ગણાવી દીધા હતા, ત્યારબાદ બીજા દિવસે કોંગ્રેસના વડગામના ધારાસભ્ય જીગ્નેશ મેવાણી ભાવનગર સર ટી હોસ્પિટલ પહોંચ્યા છે.

ગાંધીનગરમાં બેઠેલી ભાજપની સરકાર મહારાજા કૃષ્ણકુમારસિંહજીના વારસાને ભૂસવા બેઠી હોય તેમ અમાનવીય વર્તન કરી રહી છે. કોળી પટેલ, મુસ્લિમ સમાજ અને અન્ય બીજા ગરીબ લોકો 45 વર્ષથી ઝૂંપડપટ્ટીમાં વસવાતો કરી રહ્યા છે તેને ખસેડવા માંગે છે. મહાનગરપાલિકાએ ત્યાં જ ટેક્સ ઉઘરાવે છે. પાણીની લાઈન પણ આપેલી છે, ગટર વ્યવસ્થા છે અને મધ્યમ વર્ગના હોવા છતાં પણ આ લોકોને હટાવવા પ્રયત્ન થઈ રહ્યો છે. જોકે 1480 પહેલાની જે નોટિસ છે. તેને લઈને મારી પાસે માહિતી છે. તેમાં કોઈ કાર્યવાહી થઈ નથી. ટીડીઓ અને એસ્ટેટ અધિકારીના નજીકના સગાઓ રિયલ એસ્ટેટમાં બિલ્ડર તરીકે કામ કરી રહ્યા છે. TDOના એક સરકારી અધિકારી અને બિલ્ડર માફિયાના દ્વારા બોગસ દસ્તાવેજ બનાવી સરકારી આવાસોમાં પણ મકાનો મેળવી લીધા છે. હું ફરિયાદી બનવા માટે તૈયાર છું. કોર્ટના આદેશ મુજબ વૈકલ્પિક વ્યવસ્થા ન હોય ત્યાં સુધી ઝૂંપડપટ્ટી વાસીઓને હટાવી શકતા નથી. - જીજ્ઞેશ મેવાણી (નેતા અને ધારાસભ્ય,ગુજરાત)

મેવાણીનો લલકાર તંત્ર અને સરકારને :ભાવનગર સર ટી હોસ્પિટલમાં જીગ્નેશ મેવાણી પહોંચતા જ કોંગ્રેસના નેતાઓ અને આગેવાન કાર્યકરો સાથે રહ્યા હતા. ત્યારે જીગ્નેશ મેવાણી સમગ્ર ઘટનાને લઈને સરકાર પર પ્રહાર કર્યા હતા. કોર્ટના આદેશનું પાલન ન થતું હોય તે પ્રમાણે વૈકલ્પિક વ્યવસ્થા વગર ગરીબોને 40 વર્ષથી રહેતા હોવા છતાં પણ ખસેડવાનો કામ ભાજપની સરકાર કરી રહ્યો હોવાનો આક્ષેપ કર્યો હતો. મૃતકને લઈને પણ જીગ્નેશ મેવાણી સરકારે અમાનવીય વર્તન દાખવી રહી હોવાનો આક્ષેપ કર્યો હતો. જીગ્નેશ મેવાણી 30 તારીખ ભાવનગરમાં વિતાવવાના છે. સવારમાં જ સર ટી હોસ્પિટલની મુલાકાત લીધી અને સાંજે પણ પુનઃ સર ટી હોસ્પિટલની મુલાકાત લેવાના છે. કમિશનર અને કલેક્ટરને પણ મળીને રજૂઆત કરવાના છે. આમ ઝુંપડપટ્ટીને લઈને રાજકારણ ગરમાયું ગયું છે.

જે વ્યક્તિનો મૃત્યુ થયું છે તેને લઈને મારી સંવેદના છે. હું તેને શ્રદ્ધાંજલિ અર્પણ કરું છું, પરંતુ મહાનગરપાલિકાના નોટિસને કારણે મૃત્યુ થયું તે કહેવું યોગ્ય નથી. આપણે અનેક જગ્યાઓ પર દબાણ દૂર કર્યા છે આ પ્રકારે કોઈ ઘટના ઘટી નથી. અહીંયા તો માત્ર નોટિસ જ આપવામાં આવી હતી. પણ અહીંયા મૃત્યુને નોટિસ સાથે જોડીને જોવું તે યોગ્ય નથી. દબાણ મામલે આગામી દિવસોમાં ડીએસપી અને કલેક્ટર સાથે ચર્ચા કર્યા બાદ નિર્ણય કરવામાં આવશે.- એન.વી. ઉપાધ્યાય (કમિશનર, ભાવનગર મહાનગરપાલિકા)

કમિશનર આકરા પાણી :ભાવનગર 14 નાળા પાસે આવેલા મહાનગરપાલિકાના 6 પ્લોટ કંસારાના કાંઠે આવેલા છે, ત્યારે આશરે 9000 ચોરસ મીટર કરતા વધુની જમીન તેની બજાર કિંમત 35થી 40 કરોડ થતી હોય ત્યારે મહાનગરપાલિકા તેને ખાલી કરાવવા માંગે છે. 40 વર્ષથી રહેતા હોવાને કારણે જમીનની માલિકી સ્થાનિકોની થાય તેવું ક્યાંય માર્ગદર્શન કે ગાઈડ લાઈન નથી તેમ કમિશનરનું સ્પષ્ટ માનવુ છે. અધિકારીઓ સામે થયેલા આક્ષેપોને પગલે પણ કમિશનરે સ્પષ્ટ જણાવ્યું હતું કે, પુરાવા આપવામાં આવે તો તથ્ય ચકાસીને પગલાં ભરવામાં આવશે, પરંતુ કોઈ પુરાવા હજુ સુધી કોઈએ આપ્યા નથી. જો કે કમિશનરે એક શખ્સના મૃત્યુના પગલે શ્રદ્ધાંજલિ પણ પાઠવી અને સ્પષ્ટતા પણ કરી છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે વધારે પડતું દબાણ થાય તો કમિશનર તાત્કાલિક ધોરણે દબાણ હટાવવાની કામગીરી કરી શકે છે.

  1. Bhavnagar News : ભાવનગરમાં સાચા ગરીબ કોણ ? સરકારી આવાસ છતાં મફતનગરો હટાવવા જતા મામલો ગરમાયો
  2. Rath Yatra 2023: ભાવનગરમાં 38મી રથયાત્રાને લઈને તૈયારીનો દોર શરૂ, સંવેદનશીલ વિસ્તારમાં પોલીસ દ્વારા ચેકિંગ
  3. Bhavnagar News : ભાવનગરના વિકાસનો 297 કરોડનો રીંગરોડ 15 વર્ષેથી જમીન પર ઉતર્યો નથી, વિપક્ષનો વાર

ABOUT THE AUTHOR

...view details