ઈટીવી ભારતની ચૂંટણી ચોપાલમાં મતદારોના મંતવ્યો ભાવનગરઃ લોકસભા ચૂંટણી 2024માં ભાવનગર લોકસભા બેઠક પર રસાકસી ભર્યો જંગ જામવાનો છે. ભાજપે લાંબી રાહ જોવડાવ્યા બાદ આ બેઠક પરથી ઉમેદવાર તરીકે નીમુબેન બાંભણીયા પર પસંદગી ઉતારી છે. જ્યારે કૉંગ્રેસ અને આમ આદમી પાર્ટીએ ગઠબંધન કરીને આમ આદમી પાર્ટીના ઉમેશ મકવાણાને તક 'ટિકિટ' આપી છે. આ ઉમેદવારો ચૂંટણી જીતવા એડીચોટીનું જોર લગાવશે પણ ઈટીવી ભારતે મતદારો પાસેથી ખાસ વાતચીત કરીને તેમની આશા, અપેક્ષા, આકાંશા, અભિગમ, અવલોકન અને અનુમાન જાણ્યા છે.
ખેડૂત અને હીરાના વેપારીઓની સમસ્યાઓ દૂર થવી જોઈએ નિર્મળનગરના હીરાના વેપારીઓનો લોકમતઃ ઈટીવી ભારતે ભાવનગરના નિર્મળનગર વિસ્તારમાં આવેલા માધવ રત્ન હીરાના મુખ્ય મથક કહેવાતા સ્થળના મતદારો સાથે વાતચીત કરી છે. હીરાના વેપારીઓનો એક સૂર છે કે, ભાવનગરની વર્ષો જૂની માંગણી જેમ્સ એન્ડ જ્વેલરી પાર્ક સત્વરે સ્થપાય. જે પણ પક્ષનો ઉમેદવાર જીતે પણ તે ભાવનગરના 2 લાખ લોકોને રોજગારી પૂરી પાડતા હીરા ઉદ્યોગ માટે અત્યંત આવશ્યક એવો જેમ્સ એન્ડ જ્વેલરી પાર્ક માટે સઘન પ્રયત્નો કરે. ભાવનગરમાં જો આ પાર્ક બનશે તો ભાવનગરના હીરા ઉદ્યોગનો વિકાસ થશે. ભાવનગરમાંથી રત્ન કલાકારોનું માઈગ્રેશન અટકશે. હીરા ઉદ્યોગના વેપારીઓ, કર્મચારીઓ અને આંગડીયા પેઢીના કર્મચારીઓને લૂંટી લેવામાં આવતી ઘટનાઓમાં ઘટાડો થશે. જેના પરિણામે હીરાના વેપારીઓને થતું નુકસાન અટકશે.
યોગ્ય ઉમેદવારને ટિકિટ મળવી જોઈએઃ વર્તમાન રાજકારણમાં ઉમેદવારોને ટિકિટ મળવા પાછળ જ્ઞાતિ-જાતિના સમીકરણ ઘણી મહત્વની ભૂમિકા ભજવતા હોય છે. ઈટીવી ભારતે આ વિષયક પ્રશ્ન કરતા એક મતદારે જ્ઞાતિ-જાતિને બદલે યોગ્યતા ધરાવતા ઉમેદવારને ટિકિટ મળવી જોઈએ તેવો અભિગમ રજૂ કર્યો હતો. આ મતદારે જ્ઞાતિવાદને બદલે સમગ્ર સમાજ એક જ હોવા પર ભાર મુક્યો હતો. ભાવનગરમાં હીરાના વેપારી અને ખેડૂતોના હિતમાં નિર્ણય લે તેવા ઉમેદવારને ટિકિટ મળવી જોઈએ. જેથી નાના મોટા સૌ કોઈને રોજગારી મળી રહે.
રામ મંદિર સિવાયના મુદ્દા પણ મહત્વનાઃ ભાવનગરના મતદારને આ ચૂંટણીમાં રામ મંદિર મુદ્દો કેવી ભૂમિકા ભજવશે તેવું પુછવામાં આવતા તેમણે જણાવ્યું કે, રામ મંદિર ચોક્કસ આ ચૂંટણીમાં મહત્વનો મુદ્દો છે. જો કે રામ મંદિર સિવાય પણ અન્ય મુદ્દા મહત્વના બની રહેશે. જેમાં ખેડૂતોને નડતી સમસ્યાઓ મુખ્ય છે. સરકારે ખેડૂતો આત્મહત્યા કરતા અટકે તેવા ખેડૂત લક્ષી નિર્ણયો કરવા જ પડશે. દેશ પર દેવું વધતું જાય છે, નાગરિકો મોંઘવારીનો માર સહન કરી રહ્યા છે. આ બધા મુદ્દા પણ રામ મંદિર સિવાય ચૂંટણીમાં અસરકર્તા બનશે.
પક્ષ પલટાથી મતદારોમાં નિરાશાઃ ઈટીવી ભારતે મતદાનની ટકાવારી ઘટવા પર પ્રશ્ન પુછતા એક મતદારે જણાવ્યું કે, વારંવાર થતા પક્ષપલટાથી મતદારોમાં એક પ્રકારનો અસંતોષ અને નિરાશા જન્મે છે. જેના પરિણામે મતદારો મતદાન પ્રત્યે ઉદાસીન બનતા જાય છે. પક્ષપલટાને લઈને કડક કાયદો બને તો પક્ષાંતરની ઘટનામાં ઘટાડો થશે અને મતદારોમાં ઉમેદવારો, પક્ષો અને સરકાર પ્રત્યે વિશ્વાસ વધશે.
ગાંધીવાદી હોવાનો માત્ર દાવોઃ ઈટીવી ભારતને વયોવૃદ્ધ મતદાતાએ ગાંધીવાદી ગણાવતા ઉમેદવારો દંભી હોવાનું જણાવ્યું હતું. આ મતદાતાએ આજે ઉમેદવારો અને રાજકીય નેતાઓ ગાંધીવાદી હોવાનો દાવો કરે છે. તેના પર સવાલો ઉઠાવ્યા હતા. આ મતદાતાએ જણાવ્યું કે, ગાંધીજીએ માત્ર પોતડી પહેરીને દેશનો વિકાસ કર્યો હતો. જ્યારે આજે નેતાઓ હાઈફાઈ લાઈફ સ્ટાઈલ જીવે છે અને પ્રજા કલ્યાણમાં ઓછું ધ્યાન આપે છે.
વીજ જોડાણમાં સમસ્યાઃ અન્ય એક ખેડૂત મતદારે ઈટીવી ભારતને પોતાનું જ ઉદાહરણ આપીને જણાવ્યું હતું કે, મેં રુપિયા ભરી દીધા હોવા છતાં મને 3 વર્ષથી વીજ જોડાણ મળ્યું નથી. સરકારે ખેડૂતોની સમસ્યા પર ધ્યાન આપવું જ રહ્યું. આમ ઈટીવી ભારતે મતદારો પાસેથી જે લોકમત મેળવ્યો તેમાં મતદારોએ પક્ષો અને ઉમેદવારને લઈને પોતાના મતો આપ્યા હતા.
- Loksabha Election 2024: ભાવનગર લોકસભા બેઠક પર આમ આદમી પાર્ટીની શું રહેશે સ્ટ્રેટેજી? ઉમેશ મકવાણા સાથે ETV BHARATની ખાસ વાતચીત
- Bhavnagar Lok Sabha Seat: ભાજપે પીઢ પૂર્વ મેયર અને કોળી સમાજના મહિલા અગ્રણી નિમુબેન બાંભણીયાને આપી ટિકિટ