સુરત: પલસાણા તાલુકાનાં કારેલી ગામે ખેતરની રખેવાળી કરતાં દંપતીની કોઈ અજાણ્યા ઇસમોએ હત્યા કરી નાખતા ચકચાર મચી ગઈ હતી. આ દંપતી મૂળ હલધરું ગામના રહેવાસી હતા. પતિ પત્ની બંનેની એક સાથે હત્યા કોણે અને કયા કારણોસર કરી તે અંગે પોલીસ દ્વારા તપાસ ચાલી રહી છે.
દંપતી મૂળ કામરેજના હલધરુંનું વતની: મૂળ કામરેજ તાલુકાનાં હલધરું ગામના ઉમેશભાઈ બાબુભાઈ રાઠોડ (40) તથા તેની પત્ની રમીલાબહેન ઉમેશભાઈ રાઠોડ (34) છેલ્લા ઘણા સમયથી પલસાણા તાલુકાના કારેલી ગામની સીમમાં ક્રિષ્નાવેલી સોસાયટીની પાસે રેલવે ટ્રેકની બાજુમાં ગાંગપુર ગામના ભીખાભાઈ છગનભાઈ પટેલનો સરવે નં 330/ડ વાળા ખેતરમાં રહી રખેવાળી કરી રહ્યા હતા. આ બંને જાણ ગતરોજ પણ રાત્રી દરમિયાન નિત્યક્રમ મુજબ ખેતરમાં જ રોકાયા હતા.
સવારે લાશ મળી: મૃતકના પરિવારના સભ્યો અલખધામ મંદિર નજીક અન્ય ખેતરમાં રહેતા હતાં. આથી બીજા દિવસે એટલે કે, બુધવારના રોજ વહેલી સવારે તેમના પરિવારના સભ્યો ખેતરે પહોંચતાં ત્યારે તેમને પતિ-પત્નીના મૃતદેહને જોયા. આરોપી આ દંપતિની હત્યા કરી મૃતદેહ ખેતરની બહાર લગાવવામાં આવેલ સોલાર પેનલ નજીક ખુલ્લી જગ્યામાં છોડીને ગયો હતો. ઘટનાની જાણ થતાં જ પલસાણા પોલીસનો કાફલો સ્થળ પર પહોંચી ગયો હતો. સ્થળ ઉપર જઈ તપાસ કરતાં કોઈ અજાણ્યા શખ્સોએ બંનેની ઘાતકી હત્યા કરી હતી. તમને જણાવી દઈએ કે, આ બંને મૃતદેહના મોઢા ઉપર તેમજ માથાના ભાગે બોથડ પદાર્થથી ગંભીર ઈજા પહોંચાડી છે એવું લાશ જોઈને પ્રતીત થાય છે. જેને પરિણામે બંનેના સ્થળ ઉપર જ મોત નીપજ્યું હતું.
પરિવારની પૂછપરછ: હાલ પોલીસ દ્વારા પરિવારના સભ્યોને બોલાવીને પૂછપરછ શરૂ કરવામાં આવી છે. આ દંપતીની હત્યાનું કારણ શું હતું, પોલીસ હજુ જાણી શકી નથી.જો કે તપાસ દરમિયાન પરિવારની પૂછપરછ કરતાં જણાયું હતું કે, બીજી તરફ કોઈ અજાણ્યા ઇસમો તેમની સાથે મગજમારી કરી રહ્યા હતા. આ માહિતી કેસને આગળ ઉકેલવામાં કદાચ મદદ કરી શકે છે. હાલ તો પોલીસે અજાણ્યા શખ્સો વિરુદ્ધ હત્યાનો ગુનો નોધી FSL તેમજ ડોગ સ્ક્વૉડની મદદથી આગળની તપાસ શરૂ કરી છે. ઉપરાંત પલસાણા પોલીસ સાથે સુરત જિલ્લા LCB અને SOG ટીમ પણ સમગ્ર મામલે તપાસમાં જોતરાઈ છે.