'કુમકુમ કેરા પગલે માડી...' ગરબાના તાલ પર ખૈલેયાઓ ઝૂમી શકશે મનમૂકીને...?
અમદાવાદઃ કોરોનાનો કહેર રાજ્યમાં યથાવત છે અને સાથે જ તહેવારોની પણ શરૂઆત થઇ ચૂકી છે. ત્યારે ગુજરાતીઓમાં અતિ પ્રિય એવો નવરાત્રી ઉત્સવ જેની તૈયારીઓ પાંચથી છ મહિના અગાઉ શરૂ થઈ જતી હોય છે. દર વર્ષે લાખો લોકો પાર્ટી પ્લોટમાં અને શેરી ગરબાઓમાં ગરબે ઘૂમતા હોય છે. પરંતુ આ વર્ષે કોરોના મહામારીમાં નવરાત્રી થાય તેવી શક્યતાઓ પણ ઘણી ઓછી જોવા મળી રહી છે. જેના લીધે આયોજકોમાં પણ ચિંતાનો માહોલ સર્જાયો છે. નવરાત્રી મહોત્સવ સાથે જોડાયેલા તમામ આયોજકોએ રાહત પેકેજની માંગ છે. સોમવારના રોજ ગરબા આયોજકો ભેગા થઈને મુખ્યપ્રધાન વિજય રૂપાણીને આ અંગે રજૂઆત કરવા ગયા હતા. ત્યારે મુખ્યપ્રધાનની 30 ઓગસ્ટ પછી રાજ્યમાં કેવા પ્રકારની પરિસ્થિતિ છે તે પછી નિર્ણય લેવા અંગે જણાવ્યું હતું. પરંતુ હવે તો એવા જ એંધાણ છે કે ગરબા રસિયાઓ આ વખતે ગરબે નહિ ઘૂમી શકે. આજે મંગળવારે ગરબા આયોજકોની મિટિંગ હતી જેમાં નવરાત્રી સાથે જોડાયેલા તમામ લોકો હાજર રહ્યા હતા અને હવે આગામી કેવા પ્રકારનું આયોજન કરવું તે અંગે વિચારણા કરી હતી.