72માં વન મહોત્સવ અંતર્ગત મુખ્યપ્રધાન રૂપાણીએ કલગામ ખાતે મારુતિનંદન વનનું કર્યું ઉદ્ઘાટન

author img

By

Published : Aug 15, 2021, 12:54 PM IST

72માં વન મહોત્સવ અંતર્ગત મુખ્યપ્રધાન રૂપાણીએ કલગામ ખાતે મારુતિનંદન વનનું કર્યું ઉદ્ઘાટન
72માં વન મહોત્સવ અંતર્ગત મુખ્યપ્રધાન રૂપાણીએ કલગામ ખાતે મારુતિનંદન વનનું કર્યું ઉદ્ઘાટન ()

વલસાડ જિલ્લાનું કલગામ રાયણીવાળા હનુમાન દાદા તરીકે પ્રખ્યાત છે. આ પ્રસિદ્ધ ધાર્મિક સ્થળે સામાજિક વનીકરણ વિભાગ દ્વારા સાંસ્કૃતિક વનનું નિર્માણ કરવામાં આવ્યું છે. જેનું રાજ્યના મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ લોકાર્પણ કર્યું હતું. વિજય રૂપાણીએ મારુતિનંદન વનમાં વૃક્ષારોપણ કરી વનમાં રોપવામાં આવેલા ફૂલ-ઝાડનું નિરીક્ષણ કરી 72માં વન મહોત્સવ અંતર્ગત તમામને શુભેચ્છા પાઠવી હતી.

  • કલગામ ગામે સાંસ્કૃતિક વનનું નિર્માણ
  • પ્રવાસીઓને આકર્ષવા 4 હેકટરમાં વનનું નિર્માણ
  • મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ કર્યું વનનું ઉદ્ઘાટન
  • 72માં વન મહોત્સવની શુભેચ્છા પાઠવી

વલસાડ: જિલ્લાના ઉમરગામ તાલુકાના કલગામે સામાજિક વનીકરણ વિભાગ દ્વારા સાંસ્કૃતિક વનનું નિર્માણ કરવામાં આવ્યું છે. 4 હેકટરમાં પથરાયેલા આ વનમાં 12 અલગ-અલગ વન ઉભા કરવામાં આવ્યાં છે. જેનું રાજ્યના મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ લોકાર્પણ કર્યું હતુ. દેશી-વિદેશી છોડના વાવેતર સાથે ઉભા કરેલા આ મારુતિનંદન વનમાં અલગ-અલગ 12 વન અને 2 બાળકો માટેના ઉદ્યાન તૈયાર કરવામાં આવ્યાં છે.

કલગામ વર્ષોથી ધાર્મિક સ્થળ તરીકે પ્રસિદ્ધ

વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકાનું કલગામ વર્ષોથી ધાર્મિક સ્થળ તરીકે પ્રસિદ્ધ છે. નજીકમાં નારગોલા બંદર તેના બીચ માટે જાણીતું છે, ત્યારે આ વિસ્તારને પ્રવાસનધામ તરીકે વિકસિત કરવા શનિવારે 14મી ઓગસ્ટના રોજ મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ અહીં 4 હેક્ટરમાં બનાવવામાં આવેલા મારુતિનંદન વનનું લોકાર્પણ કર્યું હતું. ગુજરાત સરકારની 72માં વન મહોત્સવની ઉજવણી નિમિતે સામાજિક વનીકરણ વિભાગ દ્વારા આ સુંદર વનનું નિર્માણ કરવામાં આવ્યું છે.

72માં વન મહોત્સવ અંતર્ગત મુખ્યપ્રધાન રૂપાણીએ કલગામ ખાતે મારુતિનંદન વનનું કર્યું ઉદ્ઘાટન

આ પણ વાંચો: વલસાડના કલગામમાં 4 હેક્ટરમાં બન્યું સાંસ્કૃતિક વન, 14 ઓગસ્ટે મુખ્યપ્રધાન કરશે ઉદ્ઘાટન

2 તબક્કામાં પૂર્ણ થશે સાંસ્કૃતિક વન

આ વનનું મુખ્યપ્રધાન વિજય રૂપાણી અને સ્થાનિક ધારાસભ્ય તેમજ રાજ્યપ્રધાન રમણલાલ પાટકર, ગણપતસિંહ વસાવા, ધારાસભ્ય કનું દેસાઈ સહિતના મહાનુભાવોના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતુ. લોકાર્પણ બાદ વિજય રૂપાણીએ વનની ખાસિયત અંગે વિગતો મેળવી વૃક્ષારોપણ કરી 72માં વન મહોત્સવની શુભેચ્છા પાઠવી હતી. મારુતિનંદન વન અંગેની વિશેષતા જોઈએ. તો આ વન 4 હેકટરમાં તૈયાર કરવામાં આવ્યું છે. જેમાં અલગ-અલગ 12 વન નિર્માણ કરવામાં આવ્યાં છે.

12 વનના અલગ-અલગ નામ

આ વનમાં વિવિધ 135 જાતની જુદી-જુદી વનસ્પતિઓના કુલ 27 લાખ 54 હજાર રોપાઓનું વિવિધ વન અંતર્ગત વાવેતર કરાયું છે. જેમાં, નવગ્રહ વન, રાશિવન, નક્ષત્ર વન, સંજીવની વન, સિંદૂરીવન, કિસ્કિનધાવન, પંચવટિવન, બુલબુલિયાવન, ગાર્ડન ઓફ કલર, ગાર્ડન ઓફ ફ્રેગરન્સ, ચિરંજીવી વન, યોગા ગાર્ડન એ ઉપરાંત બાળકો માટે અહીં વિશેષ બટરફલાય ગાર્ડન, બાલ વાટીકાનું પણ નિર્માણ કરવામાં આવ્યું છે. પ્રવાસીઓને ધ્યાનમાં રાખી અહીં વન કુટીર પણ ઉભી કરવામાં આવી છે.

એક વનમાં 12 વન સહિત બાળકો માટે વિવિધ આકર્ષણ

આ ગાર્ડનમાં 852 મીટર લાંબો અને 3 મીટર પહોળાઈ ધરાવતો પાથ-વે તથા 700 મીટર લંબાઈ અને 3 મીટર પહોળાઈનો સર્વિસ રોડ પણ બનાવવામાં આવ્યો છે. વનના બે ભાગોને જોડતા રામસેતુ અને લક્ષ્મણ ઝુલાનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. આ વનમાં દેશી-વિદેશી રંગ બે રંગી ફૂલછોડ સાથે દેશી વૃક્ષો જેવા કે પીપળો, આંબો, બીલી, ફણસ, આસોપાલવ, શરૂ જેવા વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું છે. નક્ષત્ર ગાર્ડન અને રાશિ ગાર્ડન માં રાશિ મુજબના વૃક્ષો અને ફુલઝાડનું વાવેતર કરવામાં આવ્યું છે.

આ પણ વાંચો: ગુજરાતમાં 50 કરોડ વૃક્ષો વાવવાનું સરકારનું રહેશે લક્ષ્ય: વિજય રૂપાણી

આદિવાસી સમાજમાં પૂજાતા વાઘદેવ, નાગદેવ, સૂર્યદેવ, મોર દેવની ખાંભીઓ ખોડી

ઉલ્લેખનીય છે કે, વર્ષ 2004થી રાજ્યના પાટનગર ગાંધીનગર ખાતેથી પુનિત વનથી શરૂ કરેલા વન અંતર્ગત રાજ્યમાં અત્યાર સુધીમાં આવા 21 વન બનાવવામાં આવ્યા છે. ભારતની વિવિધ સંસ્કૃતિઓને ધ્યાનમાં રાખી કરવામાં આવેલા વૃક્ષ વાવેતર સાથેના આ વનને સાંસ્કૃતિક વન તરીકે ઓળખવામાં આવે છે, ત્યારે કલગામ હનુમાન મંદિર ધાર્મિક સ્થળ તરીકે પ્રસિદ્ધ હોય અને નજીકમાં નારગોલા બંદરનો રળિયામણો બીચ પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર હોય તેને ધ્યાને રાખી આ વિસ્તારને પ્રવાસન સ્થળ તરીકે વિકસાવવા આ વનનું નિર્માણ કરવામાં આવ્યું છે. જેમાં પ્રવાસીઓ હરવા-ફરવા ઉપરાંત પ્રકૃતિને નજીકથી જોવાનો લ્હાવો ઉઠાવી શકશે. આ વિસ્તાર આદિવાસી વિસ્તાર હોઇ આદિવાસી સમાજમાં પૂજાતા વાઘદેવ, નાગદેવ, સૂર્યદેવ, મોર દેવની ખાંભીઓ ખોડી આદિવાસી સમાજના લોકોને આ વન તરફ આકર્ષવાનો પ્રયાસ પણ કરવામાં આવ્યો છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.