લુણાવાડા: લોકસભા ચૂંટણીનો પ્રચાર અંતિમ તબક્કામાં ચાલી રહ્યો છે, રાજયમાં 7 મી મે ના રોજ મતદાન થનાર છે ત્યારે રાજકીય પાર્ટીઓ દ્વારા ચૂંટણી પ્રચારમાં એડીચોટીનું જોર લગાવી જોરશોરમા પ્રચાર કરવામાં આવી રહ્યો છે. આજે પંચમહાલ 18 લોકસભાના કૉંગ્રેસ ઉમેદવાર ગુલાબસિંહ ચૌહાણ દ્વારા મહીસાગર જિલ્લાના મુખ્ય મથક લુણાવાડા શહેર ખાતે લોક સંપર્ક કર્યો હતો. વરધરી રોડ પરથી પદયાત્રા શરૂ કરી લુણાવાડાના બજારો તેમજ અલગ અલગ વિસ્તારોમાં જનસંપર્ક કર્યો હતો.
રાજ્યમાં અંતિમ તબક્કાના પ્રચાર પ્રસાર ચાલી રહ્યા છે, ત્યારે દરેક ઉમેદવાર પોત પોતાની રીતે પ્રચંડ પ્રચાર કરી મતદારોને રીઝવવો પ્રયાસ કરી રહ્યા છે. ત્યારે આજે રવિવારે લુણાવાડા ખાતે કૉંગ્રેસ દ્વારા પગપાળા રેલી કાઢવામાં આવી હતી. 18 પંચમહાલ લોકસભાના કૉંગ્રેસ ઉમેદવાર ગુલાબસિંહ ચૌહાણની ભવ્ય રેલી કોંગ્રેસ કાર્યાલયથી નીકળી, નગરના વિવિધ વિસ્તારો જેવા કે, દરકોલી દરવાજા, લુણેશ્વર ચોકડી, ડોક્ટર પોલન સ્કૂલ, તેમજ હાટડીયા બજારમાં ફરી હતી.
ખાસ કરીને કોંગ્રેસ દ્વારા મોંઘવારી, નોકરી, તેમજ ઓપીએસ જેવા મુદ્દાઓની પત્રિકા સાથે લોકોને તેમજ દુકાનદારોને મળી પોતાના મેનિફેસ્ટો દ્વારા આકર્ષવાનો પ્રયત્ન કરી રહી છે. ત્યારે નગરમાં ઢોલ નગારા સાથે નીકળેલી રેલીમાં ગુલાબસિંહ ચૌહાણ સહિત પૂર્વ જિલ્લા પ્રમુખ સુરેશ પટેલ તેમજ જિલ્લાના કોંગ્રેસ કાર્યકરો મોટી સંખ્યામાં રેલીમાં જોડાયા હતા. ગુલાબસિંહ ચૌહાણ સહિત કાર્યકર્તાઓએ દુકાનો તેમજ લારી ગલ્લાવાળાઓ સાથે હાથ મિલાવી પંજાને મત આપવા અનુરોધ પણ કર્યો હતો.