ETV Bharat / state

વલસાડના કલગામમાં 4 હેક્ટરમાં બન્યું સાંસ્કૃતિક વન, 14 ઓગસ્ટે મુખ્યપ્રધાન કરશે ઉદ્ઘાટન

author img

By

Published : Aug 10, 2021, 6:31 PM IST

વલસાડના કલગામમાં 4 હેક્ટરમાં બન્યું સાંસ્કૃતિક વન, 14 ઓગસ્ટે મુખ્યપ્રધાન કરશે ઉદ્ઘાટન
વલસાડના કલગામમાં 4 હેક્ટરમાં બન્યું સાંસ્કૃતિક વન, 14 ઓગસ્ટે મુખ્યપ્રધાન કરશે ઉદ્ઘાટન

વલસાડ જિલ્લાનું કલગામ રાયણીવાળા હનુમાન દાદા તરીકે પ્રખ્યાત છે. આ પ્રસિદ્ધ ધાર્મિક સ્થળે સામાજિક વનીકરણ વિભાગ દ્વારા સાંસ્કૃતિક વનનું નિર્માણ કરવામાં આવ્યું છે. ત્યારે 14 ઓગસ્ટે મુખ્યપ્રધાન વિજય રૂપાણી આ સાંસ્કૃતિક વનનું ઉદ્ઘાટન કરવા આવશે. તો આવો જાણીએ પ્રવાસીઓમાં આકર્ષણનું કેન્દ્ર બનનારા સાંસ્કૃતિક વન અંગે.

  • વલસાડના કલગામમાં બનાવવામાં આવ્યું સાંસ્કૃતિક વન (Cultural Forest)
  • પ્રવાસીઓને આકર્ષવા 4 હેકટરમાં વનનું નિર્માણ કરાયું
  • 14 ઓગસ્ટે મુખ્યપ્રધાન વિજય રૂપાણી (CM Vijay Rupani) ઉદ્ઘાટન કરશે
  • એક વનમાં 12 વન સહિત બાળકો માટે વિવિધ આકર્ષણ રહેશે

કલગામ (વલસાડ):- જિલ્લાના ઉમરગામ તાલુકાના કલગામ ગામમાં સામાજિક વનીકરણ વિભાગ દ્વારા સાંસ્કૃતિક વનનું નિર્માણ કરવામાં આવ્યું છે. 4 હેક્ટરમાં પથરાયેલા આ વનમાં 12 અલગ અલગ વન ઉભા કરવામાં આવ્યા છે. આમાં દેશી-વિદેશી ઝાડ-છોડનું વાવેતર પણ કરવામાં આવ્યું છે. એટલે કે વલસાડ જિલ્લાના લોકો માટે આ ફરવા માટેનું નવું નઝરાણું છે.

આ પણ વાંચો- વડોદરા પોલીસ તાલીમ શાળા લાલબાગ ખાતે DGP અને તેમના પત્નીના હસ્તે ઘોડિયાઘરનું ઉદ્ઘાટન

રાજ્ય સરકારને નવી પહેલ કરી

વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકાનું કલગામ ગામ વર્ષોથી ધાર્મિક સ્થળ તરીકે પ્રસિદ્ધ છે. નજીકમાં નારગોલ બંદર તેના બીચ માટે જાણીતું છે ત્યારે આ વિસ્તારને પ્રવાસનધામ તરીકે વિકસિત કરવા રાજ્ય સરકારે નવી પહેલ કરી છે. કલગામ ગામમાં સામાજિક વનીકરણ વિભાગ દ્વારા કરોડોના ખર્ચે સાંસ્કૃતિક વનનું નિર્માણ કરવામાં આવ્યું છે. 14 ઓગસ્ટે ગુજરાતના મુખ્યપ્રધાન વિજય રૂપાણી આ વનનું ઉદ્ઘાટન કરશે. ત્યારે આ વન અંગે સામાજિક વન વિભાગના અધિકારીઓએ જણાવ્યું હતું કે, આ વન 4 હેક્ટરમાં આકાર પામશે અને તે 2 તબક્કામાં તે પૂર્ણ કરવામાં અવશે. વનની વિશેષતા એ છે કે, અહીં પ્રવાસીઓ માટે અલગ અલગ 12 વન નિર્માણ કરવામાં આવ્યાં છે.

આ પણ વાંચો- મુખ્યપ્રધાન રૂપાણીએ રાજ્યનાં પ્રથમ એમેઝોન ડિજિટલ સેન્ટરનો કર્યો પ્રારંભ

12 વનના અલગ અલગ નામ

આ 12 વનના નામની વાત કરીએ તો, નવગ્રહ વન, રાશિવન, નક્ષત્ર વન, સંજીવની વન, સિંદૂરીવન, કિસ્કિનધાવન, પંચવટી વન, બુલબુલિયાવન, ગાર્ડન ઓફ કલર, ગાર્ડન ઓફ ફ્રેગરન્સ, ચિરંજીવી વન, યોગા ગાર્ડન એ ઉપરાંત બાળકો માટે અહીં વિશેષ બટરફ્લાય ગાર્ડન, બાલ વાટિકાનું પણ નિર્માણ કરવામાં આવ્યું છે. પ્રવાસીઓને ધ્યાનમાં રાખી અહીં વન કુટીર પણ ઉભી કરવામાં આવી છે.

તમામ ગાર્ડનમાં દેશ-વિદેશી ફૂલછોડ રખાયા

તો તમામ ગાર્ડનમાં દેશી-વિદેશી રંગેબેરંગી ફૂલછોડ સાથે દેશી વૃક્ષો જેવા કે પીપળો, આંબો, બીલી, ફણસ, આસોપાલવ, શરૂ જેવા વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું છે. નક્ષત્ર ગાર્ડન અને રાશિ ગાર્ડનમાં રાશિ મુજબના વૃક્ષો અને ફુલઝાડનું વાવેતર કરવામાં આવ્યું છે.

અહીં આવનારા પ્રવાસીઓ પ્રકૃતિને જોવાનો લ્હાવો ઉઠાવી શકશે

ઉલ્લેખનીય છે કે, કલગામ હનુમાન મંદિર ધાર્મિક સ્થળ તરીકે પ્રસિદ્ધ છે. અહીં નજીકમાં નારગોલ બંદરનો રળિયામણો બીચ પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર હોવાથી તેને ધ્યાનમાં રાખી આ વિસ્તારને પ્રવાસન સ્થળ તરીકે વિકસાવવા આ વનનું નિર્માણ કરવામાં આવ્યું છે, જેમાં પ્રવાસીઓ હરવા-ફરવા ઉપરાંત પ્રકૃતિને નજીકથી જોવાનો લ્હાવો ઉઠાવી શકશે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.