વડોદરા : વડોદરા મહાનગરપાલિકાના મેયર પદેથી કેયૂર રોકડીયાના રાજીનામાં બાદ આજે સામાન્ય સભા મળી મળી હતી. આ સામાન્ય સભામાં સર્વાનુમતે મેયરનું રાજીનામુ સ્વીકારવામાં આવ્યું હતું. સાથે હવે મેયર પદની ટર્મ પુરી થવામાં 6 મહિનાનો સમય બચ્યો છે. ત્યારે વડોદરા મહાનગરપાલિકાના નવા મેયર પદ માટે સામાન્ય સભામાં નીલેશ રાઠોડના નામની જાહેરાત કરવામાં આવી છે. વડોદરા મહાનગરના પ્રથમ નાગરિક તરીકે નીલેશ રાઠોડે પદભાર સંભાળ્યો હતો.
શા માટે રાજીનામું આપ્યું હતું : વડોદરા મહાનગરપાલિકાના મેયર પદેથી કેયૂર રોકડીયાએ રાજીનામુ આપ્યું હતું. કારણ કે ગત વિધાનસભાની ચૂંટણીમાં કેયૂર રોકડીયા શહેરની સયાજીગંજ વિધાનસભા બેઠક પરથી ભાજપ પક્ષ તરફથી ચૂંટણી લડી વિજેતા બન્યા હતા. ભાજપની એક વ્યક્તિ એક હોદ્દાની નીતિને ધ્યાનમાં રાખી કેયૂર રોકડીયા દ્વારા મેયર પદેથી રાજીનામુ આપવામાં આવ્યું હતું. રાજીનામાં બાદ આજે સામાન્ય સભામાં તેઓનું રાજીનામુ સ્વીકારવામાં આવ્યું હતું. અને નવા મેયરની જાહેરાત કરવામાં આવી હતી.
આ પણ વાંચો Vadodara News: બાબુજી ઝરા ધીરે ચલો...ડામર રોડમાં પગરખા ચોંટી જશે
વડોદરાના નવા મેયરની પ્રોફાઈલ : વડોદરા મહાનગરને નવા મેયર તરીકે નીલેશ રાઠોડના નામની જાહેરાત કરવામાં આવી છે ત્યારે તેઓ શહેરના વોર્ડ નંબર 17માં કોર્પોરેટર તરીકે સેવા આપી રહ્યા છે. તેઓ કોર્પોરેટર તરીકે સતત ત્રીજી ટર્મથી ચૂંટતા આવ્યા છે. હાલમાં માંજલપુરના ધારાસભ્ય યોગેશ પટેલના અંગત હોવાનું માનવામાં આવે છે. તેઓ પાલિકામાં પૂર્વ શાસક પક્ષ નેતા તરીકેની ભૂમિકા પણ નિભાવી ચુક્યા છે. સાથે તેઓ હાલમાં સ્ટેન્ડિંગ કમિટીના હાલના સભ્ય તરીકે કામગીરી કરી રહ્યા છે. નીલેશ રાઠોડ એક સામાન્ય પરિવારમાંથી આવે છે અને અગાઉ યુવા મોરચા તરીકે જવાબદારી નિભાવી છે. આખરે તેઓના નામનું મેન્ડેટ શહેર ભાજપ પ્રમુખ ડો.વિજય શાહ દ્વારા લઈ આવવામાં આવ્યું હતું અને તેઓની જાહેરાત સામાન્ય સભામાં કરવામાં આવી હતી.
નીલેશ રાઠોડની પ્રતિક્રિયા : આ અંગે નીલેશ રાઠોડે જણાવ્યું હતું કે મને મેયર પદની જવાબદારી મળી છે તેને હું નિભાવીશ. વડોદરા શહેરના વિકાસને આગળ વધારીશ અને નાનામાં નાના નાગરિકને સવલતો મળી રહે તેવો પ્રયાસ કરીશ. રખડતા ઢોરને લઈ તમામ શહેરની સમસ્યા છે. આ સમસ્યાને લઈ વડોદરા મહાનગરપાલિકા દ્વારા કામગીરી કરવામાં આવી રહી છે.