સૌરાષ્ટ્રના જૂનાગઢ, અમરેલી, ગીર-સોમનાથ અને ભાવનગરના ઘણા તાલુકાઓમાં સિંહના વસવાટને કારણે ખેડૂતોને મોટો ફાયદો થયો છે. તેમજ સિંહ વસવાટ વાળા વિસ્તારોમાં નીલગાય અને ભુંડની સંખ્યા પણ કાબુમાં રહે છે. અભ્યારણ્ય બહાર ખેડૂતો સાથે વસવાટ કરતા સિંહોનો મુખ્ય ખોરાક નીલગાય અને ભુંડ હોવાથી ખેડૂતોને પાક બચાવવા માટે રાત્રીના સમયે ઉજાગરા કરવા પડતા નથી.
ભારતની શાન ગણાતા એશિયાઈનું સિંહનું ચોટીલા વિસ્તારમાં આગમન થયાની વાતને સુરેન્દ્રનગર વનવિભાગ દ્વારા સમર્થન આપવામાં આવ્યું છે. ઢેઢુકી ગામમાં સિંહ હોવાની વાતને વનવિભાગ દ્વારા સમર્થન આપવામાં આવ્યું છે. તેમજ જસદણ અને ચોટીલા સહિતના વિસ્તારોમાં હાલ સિંહ જોવા મળ્યા છે. આથી ગ્રામજનોના હિતાર્થે વનવિભાગ દ્વારા એક યાદી બહાર પાડવામાં આવી છે. જેમાં સિંહને પજવવો કે, છંછેડવો નહીં તેમજ પરેશાન કરવો નહીં, લોકોનું ટોળુ લઇને સિંહ જોવા જવું નહીં, ગામમાં ખુલ્લામાં માલ ઢોર બાંધવા નહીં તેમજ સિંહ મારણ કર્યું હોય તેવા કિસ્સામાં અફવાઓ ફેલાવવી નહીં વગેરે બાબતે સજાગતા રાખવાનુ જણાવાયું છે.
ચોટીલા, વિંછીયા અને જસદણ ગામની બોડૅર પર સિંહની હરકત જોવા મળી છે. હાલમાં બે સિંહ હોવાનુ જાણવા મળ્યું છે તેમજ વન વિભાગ દ્રારા સિંહની મુમેન્ટ પર નજર રાખવામાં આવી રહી છે.