સુરત: સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં લંપી વાયરસે કહેર મચાવ્યો હતો. ત્યારે હવે સુરત જિલ્લાના માંગરોળ તાલુકામાં લંપી વાયરસથી પશુઓના મોત થઈ રહ્યા છે. આ પંથકમાં મુખ્યત્વે લોકો પશુ પાલન પર નિર્ભર રહે છે. ગ્રામજનો છેલ્લા એક મહિનાથી લંપી વાયરસને કાબુમાં લેવા મથામણ કરી રહ્યાં છે. દુધાળા, ગાભણ, બળદ તેમજ વાછરડાઓના પણ મોત નીપજતાં પશુપાલકોની હાલત કફોડી બની છે.
સ્થાનિક પશુ ચિકિત્સક હિમાંશુ ભાઈએ જણાવ્યું હતું કે માંગરોળ તાલુકાના પાતળદેવી અને આંબાવાડી ગામમાં ફરી બે પશુઓના મોત થયા છે. હાલ પશુઓ લંપી વાયરસથી બચે એ દિશામાં કામગીરી શરૂ છે.
દોઢ લાખ જેટલા પશુઓમાં વાયરસના લક્ષણ: પશુપાલન વિભાગ સર્વેની કામગીરી હાથ ધરી રહ્યું છે. તાલુકામાં લંપી વાયરસને લઈને સુમુલ ડેરીના વેટનરી વિભાગ દ્વારા પશુઓને વેક્સિનેશન તેમજ દવા વિતરણની કામગીરી કરવામાં આવી રહી છે. સુમૂલ ડેરી દ્વારા સુરત અને તાપી જિલ્લાના અસરગ્રસ્ત એવા વિસ્તારની મુલાકાત કરી હતી. જેમાં દોઢ લાખ જેટલા પશુઓમાં વાયરસના લક્ષણ જોવા મળ્યા હતા. જેને પગલે વેક્સીનેશનની કામગીરી કરવામાં આવી રહી છે. પશુ પાલકોને લંપી વાયરસ કાબુમાં લેવા માટે તેમજ અટકાવવા કેવા કેવા પ્રકારના પગલાં લેવા જોઈએ તે અંગે સમજણ આપી રહ્યા છે.
એક જ સોયથી પશુઓને રસીકરણ: જોકે પશુપાલકો દ્વારા વેક્સિનેશન માટે વપરાતી નિડલ (સોય) થી અન્ય પશુઓને પણ રસીકરણ કરાતું હોવાનો આક્ષેપ કરવામાં આવી રહ્યો છે. એક જ નિડલ સોયથી બીજા પશુનો રસીકરણ કરવામાં આવે તો ચેપ લાગી શકે છે.
પશુપાલકોને સહાય ચુકવવા માંગ: માંગરોળ તાલુકો બહુલ આદિવાસી વસ્તી ધરાવતો વિસ્તાર છે. અને પશુપાલનના વ્યવસાય સાથે સંકળાયેલા છે. ત્યારે લંપી વાયરસના કહેરના કારણે પશુઓના મોત નીપજતા હાહાકાર મચી ચુક્યો છે. ત્યારે પશુપાલકો પોતાના આજીવિકા સમાન પશુઓને બચાવવા મથામણ કરી રહ્યા છે. ત્યારે પશુપાલકોને સહાય ચુકવવામાં આવે તેવી માંગ સ્થાનિકો કરી રહ્યા છે.