ETV Bharat / state

Surat Suicide News : આશાસ્પદ વિદ્યાર્થીએ તાપી નદીમાં મોતની છલાંગ લગાવી, પરિવારને કર્યો છેલ્લો મેસેજ

author img

By

Published : Aug 12, 2023, 11:01 PM IST

સુરતના કતારગામના આશાસ્પદ યુવકે પરીક્ષામાં નાપાસ થતા મોતને વહાલું કર્યું છે. યુવકે તાપી નદીના પુલ પરથી મોતની છલાંગ મારતા પહેલા પરિવારજનોને છેલ્લો મેસેજ કર્યો હતો. વ્હાલસોયા દિકરાએ આત્મહત્યા કરી લેતા પરિવારમાં શોકની લાગણી પ્રસરી ગઈ છે. આ મામલે પોલીસે તપાસ હાથ ધરી છે.

Surat Suicide News
Surat Suicide News

આશાસ્પદ વિદ્યાર્થીએ તાપી નદીમાં મોતની છલાંગ લગાવી, પરિવારને કર્યો છેલ્લો મેસેજ

સુરત : કતારગામનાં કેમિકલ એન્જીનિયરીંગના આશાસ્પદ વિદ્યાર્થીએ પરીક્ષામાં નાપાસ થતા જીવન ટૂંકાવ્યું છે. પરદેશ જવા માટે માસ્ટર ડિગ્રીની પરીક્ષામાં નાપાસ થતા અબ્રામા તાપી નદીના પુલ ઉપરથી મોતની છલાંગ લગાવી આત્મહત્યા કરી હતી. યુવકે પિતાના ફોન પર મેસેજ કરી જણાવ્યું હતું કે, પપ્પા મને માફ કરી દો. હું પરીક્ષામાં નાપાસ થઇ ગયો છું અને ધંધામાં પણ નાપાસ થઇ ગયો છું. હવે જીવવાની ઇચ્છા નથી. અબ્રામા રેલવે પુલ ઉપરથી પડી જાવ છું. મેસેજ આવતા પરિવારજનોના પગ તળેથી જમીન ખસી ગઈ હતી. મૃતકની લાશ અબ્રામાથી મળી આવી હતી.

આશાસ્પદ યુવક : પોલીસમાંથી પ્રાપ્ત સત્તાવાર માહિતી અનુસાર 49 વર્ષીય સુરેશભાઇ તળસીભાઈ કળથીયા કતારગામના સુમન સાર્થક આવાસ એપાર્ટમેન્ટમાં રહે છે. મૂળ ભાવનગરના ઉમરાળાના વતની હીરા ઘસવાનું મજૂરી કામ કરી પોતાના પરિવારનું ગુજરાન ચલાવતા હતા. તેમના પરિવારમાં બે પુત્રો પૈકી 23 વર્ષીય નાનો પુત્ર ધવલ કળથીયા કોલેજમાં કેમિકલ એન્જિનિયરિંગની માસ્ટર ડિગ્રીની તૈયારી માટે દોઢ વર્ષથી ગજેરા સ્કૂલ પાસે આવેલા ટ્યુશન ક્લાસીસમાં જતો હતો.

છેલ્લા શબ્દો : પરિવારજનો આરામ કરતા હતા. તે વખતે બપોરે ધવલ ટ્યુશન જાવ છું તેમ કહી પોતાની મોટરસાયકલ લઈને ઘરેથી નીકળ્યો હતો. જોકે મોડી સાંજે સુરેશભાઈ નાઈટ શીપમાં હીરા ઘસવા નીકળી ગયા હતા. જે દરમિયાન પરિવારજનોના ફોન ઉપર ધવલનો આત્મહત્યાનો મેસેજ આવ્યો હતો. ધવલના મેસેજમાં જણાવ્યા અનુસાર તેણે પરીક્ષામાં નાપાસ થવાથી આત્મહત્યાનો નિર્ણય કર્યો હતો. તેણે જણાવ્યું હતું કે, પપ્પા મને માફ કરજો. હું પરીક્ષામાં નાપાસ થઈ ગયેલ છું. ધંધામાં પણ નાપાસ થઈ ગયો હોય હવે જીવવાની ઈચ્છા નથી. મેં ઘણી વખત ભૂલ કરી છે. હું અબ્રામા રેલવે પુલ ઉપરથી પડી જાવ છું. મારી બાઇક પુલ પાસે છે.

ઘટનાની જાણ થતાં જ અમારી ટીમ સ્થળ પર પહોંચી ગઈ હતી. યુવકના મૃતદેહનો કબજો લીધો હતો. મૃતક યુવકના પિતાએ સમગ્ર મામલે કામરેજ પોલીસ મથકે ફરિયાદ આપી છે. હાલ આગળની તજવીજ હાથ ધરવામાં આવી છે.-- નરેશભાઈ (બીટ જમાદાર,અબ્રામા)

મોતની છલાંગ આ મેસેજ જોતા જ પરિવારજનોના પગ તળેથી જમીન ખસી ગઈ હતી. પરિવારના લાડકવાયા દિકરા ધવલના મેસેજના પગલે પરિવારજનોમાં હડકમ મચી ગયો હતો. અન્ય સભ્યોનો પણ જીવ અધ્ધર થઈ ગયો હતો. તેઓ મેસેજમાં જણાવેલ અબ્રામા તાપી નદીના બ્રિજ ઉપર દોડી આવ્યા હતા. ત્યાં ધવલની બાઈક મળી આવી હતી. આ બનાવની જાણ કામરેજ પોલીસને કરતા પોલીસ ઘટનાસ્થળે દોડી ગઈ હતી. નદીમાંથી યુવકના મૃતદેહને શોધી બહાર કાઢવામાં આવ્યો હતો.

પરિવાર શોકમાં ગરકાવ પોલીસ નિવેદનમાં પરિવારે જણાવ્યું હતું કે, ધવલ વિદેશમાં જવા કેમિકલ એન્જિનિયરિંગ ડિગ્રી માટે તૈયારી કરી રહ્યો હતો. ઉપરાંત દોઢ વર્ષથી ગજેરા સ્કૂલ પાસે ટ્યુશન ક્લાસીસમાં પણ જતો હતો. પરંતુ પરીક્ષામાં નાપાસ થવાના પગલે ધવલને ખોટું લાગી આવતા માનસિક તણાવમાં આવી ગયો હતો. ત્યારે હાલ આશાસ્પદ વિદ્યાર્થીએ આ પગલું ભરી તાપી નદીના પુલ ઉપરથી મોતની છલાંગ લગાવી હતી. યુવાને આત્મહત્યા કરી લેતા પરિવારજનોમાં ઘેરા શોકની લાગણી ફરી વળી હતી. સમગ્ર મામલે કામરેજ પોલીસે અકસ્માતનો ગુનો દાખલ કરી આગળની તજવીજ હાથ ધરી હતી.

  1. Surat News : સુરતમાં 12 વર્ષની કિશોરીએ આત્મહત્યા કરતા પરિવારમાં શોકનો માહોલ
  2. Surat News : સુરતમાં ખાખી પાછળ ધબકતું હૃદય, નિરાધાર બાળકીની પોલીસ કર્મીઓ કરી રહ્યા છે સંભાળ
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.