- પોરબંદર કોસ્ટ ગાર્ડ દ્વારા ભારતીય જળસીમામાંથી શંકાસ્પદ માલવાહક બોટને પૂછપરછ માટે ઓખા બંદર ખાતે લવાઇ
- ભારતની તમામ સુરક્ષા એજન્સીઓ પૂછપરછ માટે દોડી આવી
- પૂછપરછ બાદ જરૂર જણાશે તો કડક કાર્યવાહી કરાશે
દેવભૂમિ દ્વારકા : ગુજરાત અને ભારતના જુદા જુદા બંદરો પરથી અનેક માલવાહક જહાજો દેશ-વિદેશના સમુદ્ર માર્ગે માલ સામાનનો વેપાર કરી ધંધો રોજગાર મેળવે છે. વિશ્વના તમામ દેશો સાથે સંકળાયેલા ભારતના વેપારીઓ પોતાના માલવાહક જહાજમાં કાયદેસર માલ સામાન લઈ વેપાર ધંધો કરવો તેવી મંજૂરી ભારત સરકાર દ્વારા આપવામાં આવી છે, પરંતુ ક્યારેક વધુ રૂપિયા કમાવાની લાલચ તેમજ દેશદ્રોહી માનસિકતા ધરાવતા લોકો કાયદાનું ઉલ્લંઘન કરીને ગેરકાયદેસર કામ કરતા હોય છે. ત્યારે ભારતની જુદી જુદી એજન્સીઓ દ્વારા આવા લોકો સામે કડક કાર્યવાહી કરવામાં આવે છે.
13 ક્રુ મેમ્બર્સ સવાર હતા
15મી નવેમ્બરના રોજ ડીજબુલી(સોમાલિયા)થી ભારતના મુન્દ્રા બંદર તરફ આવતી સલાયાની માલવાહક બોટને પોરબંદર કોસ્ટ ગાર્ડ દ્વારા શંકાસ્પદ ગણીને ઓખા બંદર ખાતે વધુ પૂછપરછ માટે લાવવામાં આવી હતી. જેમાં 13 ક્રુ મેમ્બર સવાર હતા.
19 ઓક્ટોબરના રોજ મુન્દ્રા બંદર પરથી રાઇસ(ચોખા) ભરીને નીકળી હતી
સલાયા બંદરની ગોસે વશીલા નામની માલવાહક બોટને 13 ક્રુ મેમ્બર્સ સાથે 19 ઓક્ટોબરના રોજ મુન્દ્રા બંદર પરથી રાઇસ(ચોખા) ભરીને નીકળી હતી અને આ બોટ 2 નવેમ્બરના રોજ સોમાલિયા પહોંચી હતી. 5મી નવેમ્બરના રોજ ત્યાંથી પરત નીકળી મુન્દ્રા બંદર તરફ આવી રહી હતી. ત્યારે 14મી નવેમ્બરના રોજ ભારતીય જળસીમામાં પોરબંદર કોસ્ટ ગાર્ડની પેટ્રોલિંગ શીપ સમુદ્ર પાવક દ્વારા શંકાના આધારે સલાયાની આ બોટને ઓખા બંદર ખાતે લાવવામાં આવી હતી.
![porbandar coast guard](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/gj-01-dwk-cost-gard-porbandar-gj10027_16112020001830_1611f_00000_743.jpg)
કુલ 13 ક્રુ મેમ્બર્સમાં 2 સિક્કાના, 01 વાડીનાર અને બાકીના તમામ સલાયા બંદરના
બોટના 13 ક્રુ મેમ્બર્સની પૂછપરછ બાદ તેમજ બોટને ચેક કર્યા બાદ વધુ માહિતી મળતા આગળની કાર્યવાહી કરવામાં આવશે. બોટ પર સવાર કુલ 13 ક્રુ મેમ્બર્સમાં 2 સિક્કાના, 01 વાડીનાર અને બાકીના તમામ સલાયા બંદરના છે.
જરૂર જણાશે તો કાર્યવાહી કરવામાં આવશે
આ ક્રૂ મેમ્બર્સ ન ઓખા બંદર પર ઓખા કોસ્ટગાર્ડ, કસ્ટમ, IB, CIB, SOG દેવભૂમિ દ્વારકા અને ઓખા મરીન પોલીસ દ્વારા પુછપરછ કરવામાં આવી રહી છે. અને તપાસ બાદ યોગ્ય લાગશે તો કાર્યવાહી કરવામાં આવશે તેવુ સ્થાનિક તંત્ર દ્વારા જણાવવામાં આવ્યું હતું.