પાટણઃ પાટણ જિલ્લાના રાધનપુર તાલુકાના અરજણસર ગામે વ્યાજખોરોના ત્રાસથી કંટાળી આઘેડે ઝેરી દવા પી જીંદગી ટૂંકાવી નાખતા ચકચાર મચી છે. મૃતકે સુસાઇડ નોટ લખી તેમાં 8 જેટલા વ્યાજખોરોના નામનો ઉલ્લેખ કર્યો છે . પોલીસે આ સુસાઇડ નોટ હસ્તગત કરી તપાસના ચક્રો ગતિમાન કર્યા છે. મૃતકના પુત્રે આક્ષેપ કરી જણાવ્યું હતું કે, વ્યાજખોરો મારા પિતાને જાનથી મારી નાખવાની ધમકી આપી ત્રાસ આપતા હતા. એક મહિનાનો સમય વિતવા છતાં પોલીસ દ્વારા કોઈ જ કાર્યવાહી કરવામાં આવી ન હતી.
ઉઘરાણી ચાલું રાખી હતીઃ રાધનપુર તાલુકાના અરજણસર ગામે રહેતા વિભાભાઈ રાવળ (ઉ.વ .45) એ ગામના જ કેટલાક વ્યાજખોરો પાસેથી પૈસા લીધા હતા જેમાં તેઓએ પરત પણ આપ્યા હતા . છતાં વ્યાજખોરોએ ઉંચુ વ્યાજ લઇ પૈસાની ઉઘરાણી ચાલુ રાખી હતી અને પૈસા નહીં આપો પતાવી દેવાની વાત કરી હતી.
પોલીસને જાણ કરી હતીઃ વ્યાજખોરો દ્વારા અપાતી ધમકી મામલે વિભાભાઈ રાવળે એક મહિના અગાઉ પોલીસને જાણ પણ કરી હતી . છતાં કોઇ કાર્યવાહી કરવામાં નહીં આવતા વ્યાજખોરોના ત્રાસથી કંટાળેલા વિભાભાઇ રાવળે ઝેરી દવા પી લેતા મોત નિપજ્યુ હતું. મૃતકના પુત્ર વિષ્ણુભાઇએ જણાવ્યું હતું કે, મારા પિતાએ મરતા પહેલા સુસાઇટ નોટ પણ લખી હતી. લોકોના ત્રાસ મામલે એક મહિના પહેલા પોલીસને જાણ કરી હતી છતાં કોઇ જ કાર્યવાહી કરાઇ નથી.
લોક દરબાર થયો હતોઃ વ્યાજખોરીના દૂષણને ડામી દેવા રેન્જ આઇ.જી. અને જિલ્લા પોલીસવડા દ્વારા અનેક લોક દરબારો યોજી વ્યાજ સામે જનજાગૃતિના કાર્યક્રમો કરવામાં આવ્યા હતા. જેમાં વ્યાજખોરોની ચુંગલમાં ફસાયેલા લોકોને પુરતુ રક્ષણ આપવાની ખાતરી આપવામાં આવી હતી જેને કારણે પાટણ સહિત જિલ્લામાં વ્યાજખોરો સામે અનેક ફરીયાદો નોંધાઇ હતી . આથી વ્યાજખોરીની પ્રવૃત્તિ પર રોક પણ લાગી હતી. આ કેસમાં મૃતકના પુત્રએ પોલીસને અપીલ કરી છે કે, વ્યાજખોરોને તાત્કાલિક પકડી કાયદેસરના પગલાં લેવામાં આવે. પોલીસે પણ પોતાની સ્પષ્ટતા કરી છે.
એક મહિના અગાઉ મૃતક દ્વારા વ્યાજખોરો સામે અરજી આપવામાં આવી હતી જે અંગે પોલીસ દ્વારા તપાસ કરવામાં આવી હતી ત્યારબાદ મૃતક અને વ્યાજખોરોએ અંદરો અંદર સમાધાન કરી લીધું હતું જ્યારે આજે આ બનાવ બન્યો છે ત્યારે પોલીસે આઠ વ્યક્તિઓ સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. આરોપીઓ સામે મૃતકની પત્ની દ્વારા રાધનપુર પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવી હતી.---પી.કે.પટેલ (રાધનપુર પીઆઇ)
પરિવારનો આક્ષેપઃ પોલીસ દ્વારા આરોપીઓને છાવરવામાં આવ્યા હોવા બાબતને લઈને પરિવારમાં પોલીસ સામે રોષ વ્યાપ્યો હતો. પોસ્ટમોર્ટમના કલાકો બાદ પણ પરિવાર દ્વારા મૃતકનો મૃતદેહ સ્વીકારવા તૈયાર ન હતો. સાંજના પાંચ વાગ્યા બાદ પોલીસ દ્વારા આરોપીઓ સામે કડક કાર્યવાહી કરવાની સમાજના આગેવાનોને પોલીસ દ્વારા ખાતરી આપવામાં આવતા અંતે પરિવારે મૃતદેહનો સ્વીકાર કર્યો.
આરોપીઓના નામઃ રત્નાભાઇ હીરાભાઈ રબારી, ગોવાભાઇ દેવાભાઈ રબારી, જામાભાઈ હરદાસભાઇ રબારી, રામાભાઇ વાલાભાઈ રબારી, કાબાભાઈ વાલાભાઈ રબારી, રણછોડભાઈ ચેહરા ભાઈ સુથાર, જગાભાઈ કાંતિભાઈ પરમાર, ગણપતભાઈ રામજીભાઈ પરમાર