પાટણ: હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીના અંગ્રેજી અનુસ્નાતક વિભાગના પ્રોફેસર ડૉ.આદેશ પાલ સામે ગુજરાત યુનિવર્સિટીમાં તેમના કુલપતિ તરીકેના કાર્યકાળ દરમિયાનની કામગીરી સંદર્ભે લોકાયુક્ત કચેરીમાં થયેલી ફરિયાદને આધારે રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા આદેશ પાલ વિરૂદ્ધ શિક્ષાત્મક પગલાં ભરવા હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીને પત્ર લખવામાં આવ્યો છે. જે સંદર્ભે મંગળવારે યુનિવર્સિટીની કારોબારીની બેઠક મળી હતી. આ બેઠકમાં રાજ્ય સરકારના ઉચ્ચ શિક્ષણ કમિશ્નર ડૉ.નાગરાજન અને ટેકનિકલ ડાયરેક્ટરના પ્રતિનિધિ જી.વી.પટેલ ખાસ ઉપસ્થિત રહ્યા હતા.
બેઠકમાં ડૉ.આદેશ પાલના મુદ્દા અંગે ચર્ચા કરવામાં આવી હતી, પરંતુ આ સમગ્ર પ્રકરણને લઇને હાઈકોર્ટમાં કેસ ચાલતો હોવાથી કારોબારીની બેઠકમાં આ મુદ્દો મુલતવી રાખવામાં આવ્યો હતો. ઉત્તર ગુજરાત યુનિવર્સિટીમાં ફરજ બજાવનારા આદેશ પાલને હાલ પૂરતું જીવનદાન મળ્યું છે, ત્યારે આગામી દિવસોમાં હાઈકોર્ટનો ચુકાદો અને ત્યાર બાદ થનારા નિર્ણય ઉપર સૌ કોઈની મીટ મંડાયેલી છે.