ETV Bharat / state

ભુજની હોસ્પિટલમાંથી ગોંડલનો ખૂંખાર આરોપી નિખીલ દોંગા ફરાર

author img

By

Published : Mar 29, 2021, 3:41 PM IST

Updated : Mar 29, 2021, 4:52 PM IST

નિખીલ દોંગા
નિખીલ દોંગા

ગોંડલ જેલમાં બેઠા બેઠા ગુનાખોરી આચરનારા ગુજસીટોક(GUJCTOC )નો નામચીન આરોપી નિખીલ ઉર્ફે નિકુંજ ઉર્ફે નિલિયો દોંગા ભુજની હોસ્પિટલમાંથી વહેલી સવારે ફરાર થઈ ગયો હતો.

  • નિખીલ દોંગા ઉર્ફે નિકુંજ ઉર્ફે નિલીયો દોંગા ભુજ હોસ્પિટલમાંથી ફરાર
  • બે સાગરિતોએ ભગાડવામાં કરી હતી મદદ
  • સમગ્ર રાજ્યની પોલીસને નાકાબંધી કરવાની અપાઇ સૂચના

કચ્છ : ગુજસીટોક(ગુજરાત કંટ્રોલ ઓફ ટેરરિઝમ એન્ડ ઓર્ગનાઈડ ક્રાઈમ) હેઠળ પણ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. જે બાદ તેની ગેંગને ઝડપી લઇને જેલ ભેગી કરવામાં આવી હતી. આ ગેંગના 11 સાગરિતો સામે ગુનો નોંધાયો હતો. છેલ્લે નિખીલ દોંગા ઉર્ફે નિકુંજ દોંગાને ભુજ પાલારા જેલ હવાલે કરાયો હતો. જેલમાંથી તેને ભુજની હોસ્પિટલમાં લઈ જવાયો હતો. ભુજની જી. કે. જનરલ હોસ્પિટલમાંથી નિખીલ દોંગા ભાગી જતાં કચ્છ પોલીસ તથા સમગ્ર રાજ્યની પોલીસમાં દોડધામ મચી છે.

આ પણ વાંચો - ગુજસીટોક કાયદાની કેટલીક જોગવાઈને હાઈકોર્ટમાં પડકારાઈ

સમગ્ર રાજ્યની પોલીસને નાકાબંધી કરવા માટેની અપાઇ સૂચના

સમગ્ર રાજ્યની પોલીસને નાકાબંધી કરવા માટે ભુજ-કચ્છ કન્ટ્રોલ રૂમ તરફથી મેસેજ મોકલવામાં આવ્યો છે. નિખીલ દોંગાને ભગાડવામાં તેના સાગરિતો ભાવીન ચંદુભાઇ ખુંટ ઉર્ફે ખલી અને ભરત રામાણીએ મદદ કરી હોવાનું સામે આવતા આ અંગે ભુજ પોલીસે અલગથી ગુનો નોંધ્યો હતો.

આ પણ વાંચો - રાજકોટ : ગુજસીકોટના આરોપીનું જિલ્લા પોલીસ વડાની હાજરીમાં રિકન્સ્ટ્રકશન કરાયું

ઉલ્લેખનીય છે કે, GUJCTOC બાબતે વિધાનસભા ગૃહમાં પ્રદીપસિંહ જાડેજાએ પ્રતિ ઉત્તર આપતાં જણાવ્યું હતું કે, જ્યારથી ગુજરાત રાજ્યમાં GUJCTOC કાયદો લાગૂ કરવામાં આવ્યો છે, ત્યારથી અત્યાર સુધીમાં 2,039 ફરિયાદ દાખલ કરવામાં આવી છે, જ્યારે 709 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. 12.51 લાખ ચોરસ મીટર જમીન મૂળ માલિકને આપવાની પ્રક્રિયા કરવામાં આવી રહી છે, એટલે કુલ 125 હેક્ટર જમીન એટલે કે કુલ 773 વીઘા જમીન પરત મૂળ માલિકને આપવામાં આવશે. આ ઉપરાંત મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ જણાવ્યું હતું કે, ડોક્યુમેન્ટ સાથે જે તે વ્યક્તિએ કલેક્ટરને અરજી કરવાની હોય છે અને આ અરજીમાં રજૂ કરેલા પુરાવાના આધારે કલેક્ટર 15થી 21 દિવસમાં આ કેસ બાબતે પોલીસ કેસ કરવો કે, નહીં તે અંગેનો નિર્ણય કરે છે અને પોલીસને જાણ કર્યા બાદ 7 દિવસની અંદર કેસ દાખલ થાય છે અને 6 મહિનાની અંદર સ્પેશિયલ કોર્ટ દ્વારા તે અંગેનો નિર્ણય કરવામાં આવે છે.

આ પણ વાંચો - બિચ્છુ ગેંગના મુખ્ય સૂત્રધાર અસલમ બોડિયાની ક્રાઈમ બ્રાન્ચે કરી ધરપકડ

શું છે GUJCTOC કાયદો...?

ગાંધીનગર: વર્ષ 2003માં રાજ્યના તાત્કાલિન મુખ્યપ્રધાન અને વર્તમાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વિધાનસભા ગૃહમાં ગુજરાત કંટ્રોલ ઓફ ટેરરિઝમ એન્ડ ઓર્ગેનાઇઝ્ડ ક્રાઇમ એક્ટ બિલ પાસ કર્યું હતું. પરંતુ આ બિલને 3 થી વધુ વખત રાષ્ટ્પતિ દ્વારા ના મંજૂર કરવામાં આવ્યું હતું. આજે 16 વર્ષ બાદ દેશના રાષ્ટ્રપતિએ બિલ પર મંજૂરીની મહોર લગાવી છે. જે કાયદો હવે 1 ડિસેમ્બરના રોજ ગુજરાતમાં લાગુ થશે. જેની જાહેરાત રાજયકક્ષાના ગૃહપ્રધાન પ્રદીપસિંહ જાડેજાએ કરી હતી.

ગૃહપ્રધાને વધુમાં જણાવ્યું છે કે, ગુજરાત જેવા સરહદી રાજ્યમાં આતંકવાદ સહિત સંગઠિત ગુનાખોરીના નિયંત્રણ માટે ગુજરાત આતંકવાદી કૃત્ય અને સંગઠિત ગુના નિયંત્રણ કાયદાનો રાજ્યમાં 1લી ડિસેમ્બર 2019થી અમલ કરાશે. રાજ્યની સુરક્ષામાં વધારો થાય અને પોલીસ કર્મીઓને પૂરતું બળ મળે એ આશયથી ગુજરાત સરકારે ગુજસીટોક કાયદાને વિધાનસભામાં પસાર કરીને રાષ્ટ્રપતિની મંજૂરી માટે મોકલ્યો હતો. જેને તાજેતરમાં રાષ્ટ્રપતિએ મંજૂરી આપતા હવેથી આ કાયદાનો અમલ આગામી 1લી ડિસેમ્બર 2019થી કરવાનો રાજ્ય સરકારે મહત્વનો નિર્ણય કર્યો છે.

સંગઠીત ગુના ખોરી કે, જેને કોઇ રાષ્ટ્રીય સિમાઓ લાગુ પડતી નથી. તેને નિવારવા માટે ગુજરાતને આગવો કાયદો મળી રહે તે જરૂરી હતું. જેનો 1લી ડિસેમ્બરથી અમલ થતા સોપારી આપવી (કોન્ટ્રાક્ટ કિલિંગ), ધાક ધમકીથી પૈસા પડાવવા, પ્રતિબંધિત માલની દાણચોરી કરવી, ગેરકાયદે કેફી દ્રવ્યોનો વેપાર કરવો, ખંડણી માટે અપહરણ કરવા, રક્ષણ માટે નાણાં વસુલવા, નાણાંકીય લાભો મેળવવા માટે લોકોને છેતરવાના આશયથી પોન્ઝિ સ્કીમ (કપટયુક્ત યોજના) અથવા મલ્ટી લેવલ માર્કેટિંગ સ્કિમ ચલાવવા જેવા ગુનાઓ નિયંત્રીત થશે.આ ઉપરાંત કોઇપણ સ્વરૂપે થતાં સાયબર ગુનાઓ પ્રત્યે નિયંત્રણની સાથે સાથે સરહદની પેલે પાર ત્રાસવાદી સંગઠનો દ્વારા નાર્કો ત્રાસવાદને જે ઉત્તેજન આપવામાં આવે છે. તેનું પણ નિયંત્રણ થશે. સંગઠિત ગુનાખોર સિન્ડીકેટ તેમની ગુનાહિત પ્રવૃત્તિઓમાં ટેકનોલોજીનો જે ઉપયોગ કરીને સંદેશાવ્યવહારનો ઉપયોગ કરે છે, તે સંદર્ભેની તપાસમાં તથા પુરાવો એકત્રિત કરવામાં પણ કાયદાનું પીઠબળ મળવાથી સફળતા મળશે.

ગુજરાત કંટ્રોલ ઓફ ટેરરિઝમ એન્ડ ઓર્ગેનાઇઝ્ડ ક્રાઇમ એક્ટ (GUJCTOC)ને મંજૂરી મળતાં રાજ્યના પોલીસ અધિકારીઓને વધુ સત્તાઓ મળશે તથા ગુના નિયંત્રણ માટે વિશ્વાસ દ્રઢ બનશે. આ કાયદાની વિવિધ કલમોમાં આતંકવાદી કૃત્યો અને સંગઠિત ગુના માટે શિક્ષાની જોગવાઇ કરાઇ છે. સાથે સાથે સંગઠિત ગુના સિન્ડીકેટના સભ્યો વતી બિન હિસાબી મિલકતનો કબજો ધરાવવા માટે શિક્ષાની જોગવાઇ કરાઇ છે. ઉપરાંત ગુનાની ઇન્સાફી કાર્યવાહી માટે વિશેષ કોર્ટની રચના અને વિશેષ કોર્ટની હકુમત માટેની જોગવાઇ કરાઇ છે.વિવિધ ગુના સંબંધમાં વિશેષ કોર્ટની સત્તાની જોગવાઇ પણ છે. પબ્લિક પ્રોસિક્યુટર, વધારાના પબ્લિક પ્રોસિક્યુટર અને ખાસ પબ્લિક પ્રોસિક્યુટર નિમણૂંક કરાશે. જે આતંકવાદીને લગતા તથા સંગઠિત ગુના નિયંત્રણના કેસો જ લડશે. ઉપરાંત કાયદાકીય કાર્યવાહી કરવા માટે વિશેષ કોર્ટની રચના કરાશે. જો આવી કોર્ટ કાયદાકીય કાર્યવાહી કરી શકે તેમ ન હોય તો તે નિયમિત કોર્ટને તબદીલ કરી શકાશે. વિશેષ કોર્ટની રચના ન થાય ત્યાં સુધી આ ગુનાઓ સામે કાયદાકીય કાર્યવાહી કરવાની સત્તાઓ ડિવિઝન સેશન્સ કોર્ટ પાસે રહેશે. વિશેષ કોર્ટના હુકમ સામે અપીલની પણ જોગવાઇ કાયદામાં કરાઇ છે.આતંકવાદ તથા સંગઠિત ગુના સંદર્ભે સંદેશા વ્યવહારને આંતરીને મેળવાયેલ પુરાવા ગ્રાહ્ય રખાશે. તેમજ પુરાવા માટે ખાસ નિયમો પણ ઘડાશે.

પોલીસ અધિકારી સમક્ષ આરોપીએ કરેલ કબુલાતને પણ વિચારણામાં લેવાશે તથા સાક્ષીઓને પૂરતું રક્ષણ પણ પૂરુ પાડવામાં આવશે. સંગઠિત ગુનાની ઉપજમાંથી સંપાદિત કરેલ મિલકતને ટાંચમાં લેવા અને સરકારને હસ્તક્ષેપ થવાની જોગવાઇ કાયદામાં કરાઇ છે. મિલકતની તબદીલીઓ પણ રદબાતલ કરવાની જોગવાઇ સહિત ફોજદારી કાર્યરીતિના નિયમોમાં પણ ફેરફાર કરી શકાશે તેમજ ગુનાની ન્યાયિક નોંધ લેવાની અને તપાસ માટેની સરકારી કર્મચારીઓ પોતાની ફરજોના પાલનમાં ચૂક કરે તો શિક્ષાની જોગવાઇ, શુદ્ધ બુદ્ધિથી લીધેલા પગલાઓને રક્ષણની જોગવાઇ પણ કાયદામાં કરવામાં આવી છે.

Last Updated :Mar 29, 2021, 4:52 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.