ETV Bharat / state

Dakor News: ડાકોરમાં બે માસ સુધી હિંડોળા ઉત્સવ, ભગવાનને રોજ અવનવા શણગાર, જાણો કેમ છે તેનું મહત્વ

author img

By

Published : Aug 6, 2023, 4:07 PM IST

વૈષ્ણવ સંપ્રદાયમાં હિંડોળાનું વિશેષ મહત્વ રહેલું છે. ભગવાનને ભાવપૂર્વક લાડ લડાવી હિંડોળે ઝુલાવાય છે. દરવર્ષે યાત્રાધામ ડાકોર ખાતે હિંડોળા ઉત્સવ દરમિયાન એક મહિના સુધી રાજાધિરાજને હિંડોળે ઝુલાવવામાં આવે છે. ત્યારે આ વર્ષે અધિક માસ હોવાથી સતત બે માસ સુધી રાજાધિરાજ હિંડોળે ઝુલશે.

Etv Bharat
Etv Bharat

બે માસ સુધી રાજાધિરાજ હિંડોળે ઝુલશે

ખેડા: હિંડોળા ઉત્સવનો ડાકોર ખાતે પ્રારંભ થયો હોઈ મંદિરમાં રોજ સાંજે અવનવા તેમજ કળાત્મક હિંડોળામાં ભગવાનને ઝુલાવવામાં આવી રહ્યા છે. આ વર્ષે બે માસ રાજાધિરાજ હિંડોળે ઝુલશે. દર વર્ષે ડાકોર મંદિર ખાતે હિંડોળા ઉત્સવ દરમિયાન એક માસ સુધી ભગવાન રણછોડરાયજીને વિશેષ શણગાર સાથે ભાવપૂર્વક લાડ લડાવી હિંડોળે ઝુલાવાય છે. આ વર્ષે અધિક માસ હોવાથી સતત બે મહિના ભાવિકો હિંડોળે ઝુલતા ઠાકોરજીના દર્શન કરી શકશે.

હિંડોળે ઝૂલતા ભગવાનના દર્શન કરીને ધન્ચતા અનુભવી
હિંડોળે ઝૂલતા ભગવાનના દર્શન કરીને ધન્ચતા અનુભવી

ભગવાનને વિશેષ શણગાર: ડાકોર ખાતે હિંડોળા ઉત્સવ દરમ્યાન રોજે રોજ અનેકવિધ પ્રકારે સુંદર, નયનરમ્ય અને આકર્ષક હિંડોળા શણગારી ભગવાનને ઝૂલે ઝુલાવવામાં આવે છે. મંદિરમાં ફૂલ, પવિત્રા, નાગરવેલના પાન, સૂકામેવા, શાકભાજી, ફળફળાદી જેવા અવનવા વિવિધ કળાત્મક હિંડોળા બનાવાય છે. તેમજ ઠાકોરજીને સોનાના આભૂષણોથી અવનવા શણગાર કરવામાં આવે છે.

ઠાકોરજીને સોનાના આભૂષણોથી અવનવા શણગાર
ઠાકોરજીને સોનાના આભૂષણોથી અવનવા શણગાર

હિંડોળા ઉત્સવનું વિશેષ મહત્વ: ચાતુર્માસમાં ભગવાનના હિંડોળાનો વિશેષ મહિમા રહેલો છે. હિંડોળા ઉત્સવ અંતર્ગત ભાવિકો દ્વારા ભગવાન રણછોડરાયજીને ભાવપૂર્વક લાડથી હિંડોળે ઝુલાવવામાં આવે છે. ભગવાન શ્રીકૃષ્ણ દ્વારા રાધા અને ગોપીઓ સાથે વર્ષાઋતુની લીલાઓ કરવામાં આવી હતી. જે પ્રાચીન સમયમાં વ્રજમાં શ્રીકૃષ્ણ ભગવાને શરુ કરી હતી. તે દિવ્ય હિંડોળા ઉત્સવની પરંપરા વૈષ્ણવ સંપ્રદાયોમાં ઉત્સાહ અને ભક્તિપૂર્વક ઉજવાય છે. હિંડોળા ઉત્સવ દરમ્યાન રોજ મોટી સંખ્યામાં ભાવિકો દર્શન માટે મંદિરમાં ઉમટે છે. જ્યાં હિંડોળે ઝૂલતા ભગવાનના દર્શન કરીને ધન્ચતા અનુભવે છે.

અષાઢ-શ્રાવણ માસમાં વરસાદની શરૂઆત થાય ત્યારે બગીચામાં હિંડોળો બાંધવામાં આવતો અને કૃષ્ણ ભગવાનને ઝુલાવવામાં આવતા. જે ભગવાનની લીલાને હિંડોળા ઉત્સવ તરીકે ઉજવવામાં આવે છે. વૈષ્ણવ સંપ્રદાયમાં તેનું વિશેષ મહત્વ છે. હાલ રણછોડરાયજી મંદિરમાં હિંડોળા ઉત્સવ ચાલી રહ્યો છે. હાલ અધિક માસ છે ભાવિક વૈષ્ણવોને આનો ડબલ લાભ મળી રહ્યો છે. - સંજય સેવક,પૂજારી

અહીં અમે દર વર્ષે શ્રાવણ આવતા હોઈએ છે. પરંતુ આ વર્ષે મહિમા વધારે છે. પુરૂષોત્તમ માસ ચાલી રહ્યો છે. નદીમાં નહાવાનું પણ વધારે મહત્વ છે. આ સાથે અમને અહીં હિંડોળાના પણ દર્શન થયા, જે બહુ મનમોહક છે દર્શન કરી ખૂબ પ્રસન્નતા થઈ. - કપીલાબેન, ભાવિક

  1. રાધા-કૃષ્ણના વર્ષા ઋતુની લીલાઓનું પ્રતિક એટલે 'હિંડોળા'
  2. ભગવાન કૃષ્ણનો હિંડોળા ઉત્સવ, જાણો શું છે મહત્વ
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.