જુનાગઢ : જામવાળા રેંજના આણંદપુર અને પેઢાવાળા ગામ વચ્ચે ગત શુક્રવાર 18 તારીખના દિવસે કોહવાયેલી હાલતમાં સિંહનો મૃતદેહ મળ્યો હતો. જેને પગલે વન વિભાગ તપાસમાં જોતરાયું હતું. સિંહનું મોત શંકાસ્પદ હોવાને કારણે વન વિભાગે ખૂબ જ ગુપ્ત રાહે તપાસ શરૂ કરી હતી. જેમાં પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં સિંહનું મોત વીજ કરંટ લાગવાથી થયું હોવાનું સામે આવતા વન વિભાગ પણ ચોકી ગયું હતું. સમગ્ર મામલામાં આરોપીને પકડવા માટે તપાસ શરૂ કરી હતી.
શું હતો બનાવ ? આણંદપુર ગામના જીતુ પરમાર અને વરસિંગ પરમાર નામના બે ખેડૂતે તેમના કૃષિ પાકને વન્ય પ્રાણીઓથી બચાવવા માટે ખેતરને ફરતે વીજ કરંટ ગોઠવ્યો હતો. જેમાં સિંહ સપડાઈ જતા તેનું વીજ કરંટ લાગતા ખેતરમાં જ મોત થયું હતું. સિંહનું મોત થતા મામલો ખૂબ ગંભીર બનશે તેને ધ્યાને રાખીને બંને આરોપીએ સિંહના મૃતદેહને વોકળામાં ફેંકી દઈને સમગ્ર ઘટનાને અકસ્માતમાં ખપાવવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ વન વિભાગની તપાસમાં સિંહનું મોત કોઈ અકસ્માત નહીં, પરંતુ વીજ કરંટથી થયું હોવાનું સામે આવ્યું હતું.
ખેડૂતોની અટકાયત : આ કેસની તપાસ દરમિયાન વન વિભાગને મળેલી પૂર્વ બાતમીના આધારે આણંદપુર ગામના જીતુ પરમાર અને વરસિગ પરમાર નામના બે વ્યક્તિની આજે અટકાયત કરવામાં આવી છે. બંને શખ્સને કોર્ટમાં રજૂ કરતા કોડીનાર કોર્ટે બંને આરોપીને જુનાગઢ જેલ હવાલે કરવાનો હુકમ કર્યો છે.
સિંહના મોતના કેસ : સિંહના વીજ કરંટ લાગવાથી મોતના મામલે ગીર પૂર્વ અને ખાસ કરીને ધારી અને આસપાસના વિસ્તારમાં અનેક બનાવો બન્યા છે. જેમાં સિંહના મોતનું કારણ ખેતરની ફરતે લગાડવામાં આવેલા વીજ કરંટ સાથેના કેબલ હોવાનું સામે આવ્યું છે. મોટાભાગના કિસ્સામાં ખેડૂત આરોપી પકડાઈ ચૂક્યા છે. ત્યારે આજે ગીર પશ્ચિમના જામવાળા રેંજમાં વીજ કરંટથી સિંહના મોતનો મામલો પ્રકાશમાં આવ્યો છે. જેને લઈને વન વિભાગ પણ ચોકી ગયું છે.
પોલીસ કાર્યવાહી : બંને સિંહની હત્યામાં સામેલ બંને આરોપી હાલ જુનાગઢ જેલમાં પહોંચી ગયા છે. પરંતુ આ પ્રકારે ગીર પશ્ચિમમાં ફરી એક વખત અકુદરતી રીતે સિંહના મોતના મામલે સિંહ પ્રેમીઓમાં ચોક્કસ ચિંતાઓ ઊભી થઈ હશે. આ સમગ્ર મામલામાં વન વિભાગે ખૂબ જ ઝડપથી તપાસ કરીને બંને આરોપીને પકડી પાડ્યા છે.