ETV Bharat / state

Shitala Satam 2023 : શીતળા સાતમના તહેવારની ધાર્મિક આસ્થા સાથે જૂનાગઢના ભક્તોએ કરી ઉજવણી

author img

By ETV Bharat Gujarati Team

Published : Sep 6, 2023, 3:35 PM IST

શ્રાવણ વદ સાતમ એટલે કે આજે શીતળા સાતમનો તહેવાર ધાર્મિક આસ્થા અને વિશ્વાસ સાથે મનાવવામાં આવી રહ્યો છે. જુનાગઢના પ્રાચીન શીતળા માતા મંદિરે વહેલી સવારે મહિલાઓ અને તેના નાના બાળકો દર્શન માટે આવી પહોંચ્યા હતા. શીતળા માતા પ્રત્યેક પરિવારને તમામ શારીરિક, માનસિક અને આર્થિક વિપત્તિ સામે રક્ષણ પૂરું પાડે તેવી આસ્થા સાથે સાતમનો તહેવાર મનાવવાની પરંપરા શરૂ થઈ હતી. જે આજે આધુનિક યુગમાં પણ ખૂબ જ ધાર્મિક આસ્થા અને પરંપરા સાથે ઉજવવામાં આવી રહી છે.

Shitala Satam 2023
Shitala Satam 2023

શીતળા સાતમના તહેવારની ધાર્મિક આસ્થા સાથે જૂનાગઢની મહિલાઓએ કરી ઉજવણી

જૂનાગઢ : આદિ અનાદિ કાળથી શ્રાવણ વદ સાતમના દિવસે શીતળા સાતમનો તહેવાર ઉજવવાની ધાર્મિક પરંપરા ચાલી આવે છે. જે આજે પણ યથાવત જોવા મળી રહી છે. શીતળા સાતમના તહેવાર નિમિત્તે પ્રત્યેક મહિલાઓ પોતાના પરિવારના બાળકોનું શારીરિક રક્ષણ થાય તે માટે શીતળા માતાનું પૂજન કરીને તેની કૃપા દ્રષ્ટિ તેમના પરિવાર પર સદાય જળવાઈ રહે તેવી આસ્થા સાથે શીતળા સાતમનો તહેવાર મનાવી રહી છે.

સનાતન સંસ્કૃતિ : વર્ષો પહેલા જ્યારે શીતળા નામના રોગ સામે કોઈ તબીબી ઉપચાર પદ્ધતિ અને દવાઓ જોવા મળતી ન હતી. તેવા સમયે શીતળા નામના રોગ સામે શીતળા માતા રક્ષણ આપતી હોવાની ધાર્મિક માન્યતા અનુસાર શીતળા સાતમના તહેવારની ઉજવણી કરવાની શરૂઆત કરવામાં આવી હતી. જેનો ઉલ્લેખ સનાતન હિંદુ ધર્મ સંસ્કૃતિમાં જોવા મળે છે. આજે આધુનિક યુગમાં શીતળાનો રોગ સંપૂર્ણપણે નાબૂદ થયો છે. તેમ છતાં ધાર્મિક માન્યતા અને શીતળા માતા પ્રત્યે અનન્ય આસ્થાને કારણે શીતળા સાતમનો તહેવાર મનાવવામાં આવી રહ્યો છે.

શીતળા સાતમ
શીતળા સાતમ

શીતળા સાતમ : શીતળા સાતમના તહેવાર પૂર્વે રાંધણ છઠના દિવસે મહિલાઓ ઘરમાં રાંધેલો ખોરાક શીતળા માતાને અર્પણ કરવાની પરંપરા વર્ષોથી ચાલી આવે છે. જેમાં મહિલાઓ દ્વારા ઘરમાં મીઠાઈ બનાવવામાં આવે છે. ઘઉંની કુલર, શ્રીફળ અને મીઠાઈ જે ઘરમાં બનાવવામાં આવે છે. તે શીતળા માતાને પ્રસાદી રૂપે અર્પણ કરવાની વિશેષ ધાર્મિક પરંપરા છે. ત્યારબાદ શીતળા માતાને ધરેલો પ્રસાદ ઘરના તમામ સદસ્યો આરોગે છે. માતાજીના પ્રસાદ અને મીઠાઈ પ્રત્યેક ઘરમાં આજે પણ બનતી જોવા મળે છે. શીતળા માતાને અર્પણ કરાયેલા ખોરાક પ્રસાદ રૂપ બની જાય છે. તેને આરોગવાથી સમગ્ર વર્ષ દરમિયાન પરિવારનું આરોગ્ય જળવાઈ રહે છે તેવી ધાર્મિક માન્યતા સાથે શીતળા સાતમના તહેવારની ઉજવણી થઈ રહી છે.

રાંધણ છઠના દિવસે શીતળા માતાનો પ્રસાદ બનાવ્યા બાદ ઘરમાં રહેલા તમામ સગડી અને ચૂલાને પૂજા કરીને ઠારવામાં આવે છે. જે 48 કલાક સુધી બંધ જોવા મળે છે. ત્યારબાદ કૃષ્ણ જન્મોત્સવ બાદ ઠારેલા સગડી અને ચૂલા પર શ્રીહરીના જન્મોત્સવનો પ્રસાદ બનાવીને ફરીથી ચુલા શરૂ કરવામાં આવે છે. શીતળા સાતમના દિવસે પ્રાતઃકાળમાં પ્રત્યેક સૌભાગ્યવતી સ્ત્રીઓ સ્નાન કરી આદ્યશક્તિ શીતળા માતાની પૂજા કરવા માટે શીતળા મંદિરે જાય છે. ત્યાં શીતળા માતાની ધાર્મિક વિધિ વિધાન સાથે પૂજા કરે છે. -- ગિરજાશંકર (પંડિત, શીતળા મંદિર)

ધાર્મિક માન્યતા : આજના દિવસે શીતળા માતાની કથા સાંભળવી અને અન્ય મહિલાઓને સંભળાવવી તેને પણ ધર્મની સાથે પુણ્યનું કામ માનવામાં આવે છે. સૌરાષ્ટ્રમાં શીતળા સાતમને ટાઢી સાતમ તરીકે પણ ઓળખવામાં આવે છે. સાતમના દિવસે સ્ત્રીઓ શીતળા માતા પાસે પોતાના બાળકોની રક્ષા થાય તે માટે ખોળો પાથરીને પ્રાર્થના કરે છે. શીતળા માતા સાવરણી અને સૂપડું સતત તેમની પાસે રાખે છે. આજના દિવસે શીતળા માતાના આ સાધનોની પૂજા કરવાથી પણ પ્રત્યેક પરિવારના બાળકોને આરોગ્ય સારું રહે છે, તેવી ધાર્મિક માન્યતા આજે આધુનિક યુગમાં પણ ખૂબ જ દ્રઢતાપૂર્વક પરંપરા સાથે નિભાવતી જોવા મળી રહી છે.

  1. Randhan Chhath : રાંધણ છઠનું ભોજન સાતમના દિવસે શા માટે આરોગવામાં આવે છે, જાણો તે પાછળનો મહિમા...
  2. Randhan Chhath : સંવાદિતા સાથે બનેલો ખોરાક અને મીઠાઈ, રાંધણ છઠ પર્વની સૌરાષ્ટ્રમાં ગ્રામ્ય સંસ્કૃતિમાં જળવાઈ છે લોક પરંપરા
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.