ETV Bharat / state

જૂનાગઢમાં પ્રદેશ કોંગ્રેસ કિસાન સેલના પ્રમુખે યોજી બેઠક, ખેડૂતોને ચલો દિલ્હીનો આપ્યો નારો

author img

By

Published : Dec 22, 2020, 9:55 AM IST

farmers protes
farmers protes

છેલ્લા 26 દિવસથી દિલ્હી સરહદ પર કૃષિ સંશોધિત કાયદાના વિરોધમાં આંદોલન પર ઉતરેલા ખેડૂતોના સમર્થનમાં પ્રદેશ કોંગ્રેસ કિસાન સેલ પણ જોવા મળી રહી છે. પ્રદેશ અગ્રણી પાલ આંબલિયાએ જૂનાગઢ ખાતે કોંગી કાર્યકરોને ચલો દિલ્હીનો નારો આપીને ખેડૂતોના આંદોલનમાં સહભાગી થવા આહવાન કર્યું હતું.

  • દિલ્હીનું કિસાન આંદોલન જુનાગઢ સુધી પહોંચ્યું
  • દિલ્હી ખેડૂતો આંદોલનને જૂનાગઢના ખેડૂતો સમર્થન આપે તેવી શક્યતા
  • પ્રદેશ કિસાન કોંગ્રેસ દ્વારા કાર્યકરોને ચલો દિલ્હીનો આપ્યો નારો
    જૂનાગઢમાં પ્રદેશ કોંગ્રેસ કિસાન સેલના પ્રમુખે યોજી બેઠક


જૂનાગઢઃ દિલ્હીમાં છેલ્લા 26 દિવસથી પંજાબ, હરિયાણા સહિત અન્ય રાજ્યોના કેટલાક ખેડૂતો કૃષિ સંશોધિત કાયદાના વિરોધમાં આંદોલન પર ઊતરી આવ્યા છે. જેને હવે ધીરે-ધીરે દેશના અન્ય રાજ્યોના પક્ષોમાંથી પણ સમર્થન મળી રહ્યું છે. ત્યારે આજે પ્રદેશ કોંગ્રેસ કિસાન સેના અધ્યક્ષ પાલ આંબલિયાએ જુનાગઢ સર્કિટ હાઉસ ખાતે કોંગી કાર્યકરો સાથે એક બેઠક યોજી હતી. જેમાં કોંગી કાર્યકરોને ચલો દિલ્હીનો નારો પણ આપ્યો હતો. જે પ્રકારે આંદોલન સતત ચાલી રહ્યું છે અને તેમાં હવે ધીમે-ધીમે અન્ય રાજ્યના ખેડૂતો પણ જોડાઇ રહ્યા છે. આવી પરિસ્થિતિમાં ગુજરાતના ખેડૂતો પણ આંદોલનના સમર્થનમાં દિલ્હી સુધી કૂચ કરે તેવી કોંગી કાર્યકરોને આયોજન કરવા કાર્યક્રમ કરવા આદેશ કર્યો હતો.

પાલ આંબલિયાએ રાજ્યના કૃષિ પ્રધાન આર.સી.ફળદુને આપી ચેલેન્જ

કોંગ્રેસ અગ્રણી પાલ આંબલિયાએ રાજ્યના કૃષિ પ્રધાન આર.સી.ફળદુને ચેલેન્જ આપી હતી. કહ્યું હતું કે આર.સી.ફળદુ કોઇપણ જાહેર મંચ પર નવા સંશોધિત કાયદાના ફાયદાઓ ગણાવી આપે એ જ સ્થળે હું સંશોધિત કૃષિ કાયદાના ગેરફાયદાઓ જણાવી આપવા માટે મારી તૈયારી છે. આવી ચેલેન્જ આપ્યા બાદ પણ રાજ્યના કૃષિ પ્રધાન આર.સી.ફળદુ તેમને પ્રત્યુત્તર આપી રહ્યા નથી. ત્યારે પાલ આંબલિયાએ રાજ્ય અને કેન્દ્ર સરકાર પર ખેડૂત વિરોધી હોવાનો આક્ષેપ કરીને કેન્દ્ર સરકાર દ્વારા કૃષિ સંશોધન કાયદાને પરત લેવામાં આવે તેવી માંગ કરી હતી.

કેન્દ્ર સરકાર પર આક્ષેપ

પાલ આંબલિયાએ કેન્દ્ર સરકાર પર આક્ષેપ કર્યો હતો કે, નવા કૃષિ સંશોધિત કાયદાથી દેશનો ખેડૂત મૃતપાય બની જશે. તેમજ સહકારી સંસ્થાઓ કે જ્યાં ખેડૂતોને પોષણક્ષમ ભાવો મળી રહ્યા છે. તેમાં ખાનગી કંપનીઓનો પગપેસારો થશે. આવનારા કેટલાક વર્ષોમાં કાયદાથી રાજ્યની સહકારી સંસ્થાઓ પણ મૃતપાય બની જશે. માત્ર કંપનીઓને ફાયદો કરનારો આ કૃષિ સંશોધન બિલ કેન્દ્ર સરકાર કંપનીઓના ફાયદા માટે લાવી હોવાનો પણ પાલ આંબલિયાએ કેન્દ્ર સરકાર પર આક્ષેપ કર્યો હતો.

અત્રે ઉલ્લેખનીય છે કે 24 કલાક પહેલા પ્રદેશ ભાજપના અગ્રણી ગોરધન ઝડફિયાએ જૂનાગઢમાં પત્રકાર પરિષદનું આયોજન કરીને કેન્દ્રીય કૃષિ કાયદાના સમર્થનમાં સામે આવ્યા હતા અને કેન્દ્રીય કૃષિ કાયદાના ભરપેટ વખાણ કર્યા હતા. ત્યારે આજે પ્રદેશ કોંગ્રેસ કિસાન સેલના અધ્યક્ષ પાલભાઇ આંબલિયાએ કેન્દ્રીય કૃષિ કાયદાને ક્રૂર કાયદા ગણાવીને પરત લેવાની માગ કરી છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.