ETV Bharat / state

જામનગરમાં આજથી દુકાનો ખુલી, દુકાનો માટે સમયમર્યાદા બપોરે 2થી રાત્રે 9 કલાકની રહેશે

author img

By

Published : Apr 26, 2020, 7:29 PM IST

જામનગર જિલ્લા કલેક્ટર રવિશંકર દ્વારા શનિવારે લોકડાઉનના સમયમાં કેટલીક દુકાનોને ખોલવા માટે છુટછાટ આપવામાં આવી છે. જે મુજબ રવિવારે જામનગરમાં બપોરથી નિયમ અનુસાર દુકાન ખોલવામાં આવી છે.

Etv Bharat
jamnagar collector

જામનગર: જામનગર જિલ્લા કલેક્ટર રવિશંકર દ્વારા શનિવારે લોકડાઉનના સમયમાં કેટલીક દુકાનોને ખોલવા માટે છુટછાટ આપવામાં આવી છે. જે મુજબ રવિવારે જામનગરમાં બપોરથી નિયમ અનુસાર દુકાન ખોલવામાં આવી છે.

લોકડાઉન હળવું કરવા અંગે પ્રથમ કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારે જાહેરનામું બહાર પાડ્યા બાદ તે અનુસંધાને જામનગર જિલ્લા કલેક્ટર રવિશંકર દ્વારા શનિવારે મોડી સાંજે લોકડાઉનના સમયમાં કેટલીક દુકાનોને ખોલવા માટે છુટછાટ આપી છે. જે મુજબ રવિવારે જામનગરમાં બપોરથી નિયમોનુસાર દુકાન ખોલવામાં આવી છે.

જામનગર જીલ્લા કલેકટર દ્વારા ફોજદારી કાર્યરીતી અધિનિયમ 1973ની કલમ 144, ગુજરાત એપેડેમીક ડિસીઝ કોવિડ-૧૯, રેગ્યુલેશન 2020, ગુજરાત પોલીસ અધિનિયમની કલમ-43 તથા નેશનલ ડીઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટની કલમ-34 અન્વયે કલેકટર દ્વારા જાહેરનામાં થકી 20 એપ્રિલ 2020થી અમુક છુટછાટો આપવામાં આવી હતી. જેમાં સત્તાની રૂએ જામનગર જીલ્લાના સમગ્ર વિસ્તારો માટે જાહેર હિતને ધ્યાને લઈને પ્રજાને વધુ હાડમારી ભોગવવી ના પડે તેવા હેતુથી લોકડાઉનના સમયમાં કેટલીક દુકાનોને ખોલવા માટે છૂટછાટ આપવામાં આવતું જાહેરનામું શનિવારે સાંજે પ્રસિદ્ધ કરવામાં આવ્યું હતું.

સોશિયલ ડિસ્ટન્સ જાળવવું ફરજિયાત

જાહેરનામામાં જણાવ્યા અનુસાર જામનગર મહાનગરપાલિકા વિસ્તાર, કાલાવડ, ધ્રોલ, જામજોધપુર, સિક્કા નગરપાલિકા વિસ્તાર સિવાયના, કોરોના કન્ટેઇનમેન્ટ વિસ્તાર તરીકે જાહેર કરેલ હોય તે વિસ્તાર સિવાયના વિસ્તારમાં તમામ દુકાનો રહેણાંક સંકુલ સહિતની ગુજરાત દુકાન સંસ્થા અધિનિયમ હેઠળ નોંધાયેલ છે તે દુકાનો 50 ટકા સ્ટાફ સાથે ખુલ્લી રાખી શકાશે. તમામ કિસ્સામાં માસ્ક પહેરવાનું અને સામાજિક અંતર જાળવવાનું ફરજીયાત રહેશે. આ વિસ્તારમાં મલ્ટી બ્રાંડ અને સિંગલ બ્રાંડ મોલ ચાલુ રાખી શકાશે નહિ.

જામનગર મહાનગરપાલિકા વિસ્તાર, કાલાવડ, ધ્રોલ, જામજોધપુર, સિક્કા નગરપાલિકા વિસ્તારમાં આવેલી એકલ દુકાન અને આજુ-બાજુમાં આવેલી દુકાનો, રહેણાંક સંકુલમાં આવેલી દુકાનો સહિતની ગુજરાત દુકાન સંસ્થા અધિનિયમ હેઠળ નોંધાયેલ છે તે દુકાનો 50 ટકા સ્ટાફ સાથે ખુલ્લી રાખી શકાશે. તમામ કિસ્સામાં માસ્ક પહેરવાનું અને સામાજિક અંતર જાળવવાનું ફરજીયાત રહેશે. આ વિસ્તારમાં મલ્ટી બ્રાંડ અને સિંગલ બ્રાંડ મોલમાં આવેલ દુકાનો બંધ રાખવાની રહેશે.

ઈ-કોમર્સ કંપનીઓ આ વસ્તુનું કરી શકશે વેચાણ

ઈ-કોમર્સ કંપનીઓ ફક્ત આવશ્યક ચીજ વસ્તુઓનું વેચાણ કરી શકશે. આ સાથે કલેકટરે જણાવ્યું હતું કે, જામનગર જિલ્લામાં ચાલુ રહેતી દુકાનો વગેરે માટે સમયમર્યાદાનો નિર્ધાર કરેલ છે. જે મુજબ જામનગર જિલ્લામાં દૂધ,શાકભાજી,ફળ-ફળાદીની લારીઓ/દુકાનો, અનાજ કરિયાણાની દુકાનો/પ્રોવિઝન સ્ટોર્સએ સવારે ૬.૦૦ કલાકથી બપોરના ૧૩.૦૦ કલાક સુધી, અનાજ કરીયાણા તેમજ આવશ્યક ચીજ-વસ્તુઓ(એફ.એમ.સી.જી.) જેવી કે, સાબુ, ટુથપેસ્ટ વગેરેના હોલસેલના વેપારીઓને છુટક વિક્રેતાઓને વેચાણ માટે સવારે ૬.૦૦ કલાકથી સાંજના ૧૮.૦૦ કલાક સુધી જ ચીજ-વસ્તુઓ ખરીદવા કે વેચાણ કરવાનું રહેશે. જ્યારે આજથી શરૂ થતી દુકાનોનો સમય બપોરે ૨:૦૦ વાગ્યાથી રાત્રે ૯:૦૦ વાગ્યા સુધીનો રહેશે. પેટ્રોલ પંપ, દુધની ડેરીઓ તથા દુધનું વિતરણ કરતા વિક્રેતાઓ, કેરોસીનની દુકાનો, એલ.પી.જી. ગેસનું વિતરણ કરતી એજન્સીઓ, ફુડ પાર્સલની સેવાઓને સમયમર્યાદામાંથી મુક્તિ અપાઇ છે.

આજથી શરૂ થતી દુકાનોમાં કલેકટરે સ્પષ્ટતા કરતાં જણાવ્યું હતું કે, સાઈકલની દુકાનો, ઇલેક્ટ્રોનિક્સ, ઇલેક્ટ્રિકલ વસ્તુઓની દુકાનો, બુક સ્ટોલ, હાર્ડવેર, કટલેરી, કપડાની દુકાન, હોઝીયરી, કડીયાકામ, પ્લમ્બિંગ માટેની દુકાનો, વાસણની દુકાન, ટ્રાન્સપોર્ટેશનને લગત વે-બ્રિજ, ટ્રાન્સપોર્ટેશન માટેના સ્પેરપાર્ટની દુકાન, ટાયર વગેરેની દુકાનો, વાહનોના શો-રૂમ, ફરસાણ, મીઠાઇની દુકાનો( માત્ર વેચાણ માટે) ખોલી શકાશે. પરંતુ આ દરેક પ્રકારની દુકાનો કે જે કોઈપણ બજાર સંકુલમાં અથવા તો કોમ્પલેક્ષમાં આવેલ હશે તો તે બંધ રાખવાની રહેશે. તદુપરાંત સિનેમાહોલ, સ્પોર્ટસ સંકુલ, સુપરમાર્કેટ, મોટી બજારો કે જ્યાં સંક્રમણ વધુમાં વધુ લોકોને લાગી શકે છે તે બંધ રહેશે.

GIDCની દુકાનો ચાલુ રહેશે

જી.આઇ.ડી.સી.માં દરેક દુકાનો ચાલુ રહેશે. જીઆઇડીસીમાં સંકુલમાંથી જ જે લોકો ખરીદી કરે છે ત્યાં ભીડ થવાની શક્યતા નહિવત્ હોવાથી સોશિયલ ડિસ્ટન્સીંગનું પાલન થાય તે રીતે દરેક દુકાનો ચાલુ રહેશે. જી.આઇ.ડી.સી. વિસ્તારમાં કોઈ સમય મર્યાદા લાગુ કરાઈ નથી.

અનેક શ્રમિકો કે જે ખેત મજુરો છે કે જેઓ ઇન્ડસ્ટ્રીયલ શ્રમિકો પણ છે તેમને ખાસ કહેવાનું કે, તેઓ તેમના વતનમાં જઈ શકશે કે નહીં તે માટેના પ્રશ્નો તેમને થઈ રહ્યા છે ત્યારે કલેકટરશ્રીએ સ્પષ્ટતા કરી હતી કે, ૩ મે સુધી દરેક વ્યક્તિ જે જગ્યા ઉપર છે ત્યાં જ રહે. ૩ મે સુધી જામનગર જિલ્લામાંથી બહાર જઈ શકવાની પરવાનગી મળશે નહીં, માત્ર મેડિકલ ઈમરજન્સી માટે જ જિલ્લા બહાર જવાની પરવાનગી આપવામાં આવશે.

આટલી દુકાનો રહેશે બંધ

જાહેરનામામાં જણાવ્યા અનુસાર હેર કટિંગ સલૂન, વાણંદની દુકાનો, ચાની દુકાનો/લારીઓ, રેસ્ટોરન્ટ અને હોટેલો, તમાકુ/ પાનમાવા/સિગરેટ/બીડી વેચતી દુકાનો/ગલ્લા, રેસ્ટોરંટ, હોટલમાં આવેલ રેસ્ટોરંટ અને હોટલો બંધ રાખવાના રહેશે. જિલ્લામાં આવેલ તમામ રેસ્ટોરન્ટ, હોટલમાં આવેલ રેસ્ટોરન્ટ તેમજ ભોજનાલય બંધ રાખી ડાયનિંગની સુવિધા આપવાની રહેશે નહીં પરંતુ પાર્સલ સેવા ઉપલબ્ધ કરી શકાશે.

શોપના માલિકને કોઈપણ પ્રકારની મંજૂરી કે પાસ લેવાના રહેશે નહીં પરંતુ તેઓને ગુમાસ્તા ધારા હેઠળ આપવામાં આવેલા લાઇસન્સની નકલ તેમજ ફોટો આઇડેન્ટીટી કાર્ડ સાથે રાખવાનું રહેશે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.