જામનગર : અરબી સમુદ્રમાંથી ઊભું થયેલ બિપરજોય વાવાઝોડું જામનગરના દરિયાકાંઠે પણ ટકરાવાનું છે. બિપરજોય વાવાઝોડું સંભવિત 15મી જૂને જામનગરના દરિયાકાંઠે ટકરાવાની શક્યતા છે. ત્યારે સાવચેતીના પગલાં લેતાં જામનગર વહીવટીતંત્ર તમામ પરિસ્થિતિના અનુમાન રાખીને સાબદું બન્યું છે. સાથે વાવાઝોડામાં ફસાતા લોકોને બચાવવા માટે એનડીઆરએફની ટુકડી જામનગર બોલાવી લેવામાં આવી છે. તેમાં એનડીઆરએફની એક ખાસ ટુકડી જામનગર ખાતે આવી પહોંચી છે.
એનડીઆરએફની એક ટીમ આવી પહોંચી : જામનગરના એસએસબી ગ્રાઉન્ડ ખાતે આજે વહેલી સવારે એનડીઆરએફની એક ખાસ ટુકડી આવી પહોંચી છે. આ ટીમ બચાવ કાર્યમાં ઉપયોગી તમામ પ્રકારના સાધનો પણ તેમની સાથે લઇને આવી છે. મહત્વનું છે કે હવામાન વિભાગની આગાહી મુજબ આગામી 15મી જૂનના રોજ બિપરજોય વાવાઝોડું સંભવિત જામનગરના દરિયાકાંઠે ત્રાટકી શકે છે.
બીજી ટુકડી પણ બોલાવાઇ છે : બિપરજોય વાવાઝોડાના આગમન બાદ ઊભી થનારી કોઈપણ આપદા કે મુસીબતમાં પહોંચી વળવા કે કોઈપણ પ્રકારના રેસ્ક્યુ કરવા માટે એક ખાસ એનડીઆરએફ ટીમ આજે જામનગર ખાતે આવી પહોંચી છે. જરૂર પડ્યે બીજી ટુકડી પણ આવી પહોંચશે તેમ NDRF ટીમના અધિકારી દ્વારા જણાવવામાં આવ્યું હતું. ખાસ કરીને મોટી દુર્ઘટનાઓ અને રેસ્ક્યુ સમયે NDRF ના જાબાજ જવાનો હંમેશા પોતાનો જીવ જોખમમાં મૂકીને તૈયાર રહેતા હોય છે, ત્યારે તમામ આધુનિક સાધનો સાથે એનડીઆરએફ ટીમનું જામનગરમાં થયું છે અને કોઈપણ આપદાને પહોંચી વળવા માટે હાલ તેમને સ્ટેન્ડ બાય રાખવામાં આવી છે.
એનડીઆરએફ ટીમ રાત્રે અઢી વાગ્યે જામનગર ખાતે આવી પહોંચી હતી. એક ટીમમાં 25 જવાનોનો સમાવેશ થયેલો છે. આધુનિક સાધનો સાથે ટીમ જામનગર ખાતે આવી પહોંચી છે. અહીં જિલ્લા વહીવટી તંત્રના આદેશ મુજબ કામ કરવામાં આવશે. જોકે બીજી ટીમ પણ જામનગર ખાતે આવી રહી છે. ખાસ કરીને ટીમ સાથે તાલીમ પ્રાપ્ત જવાનો છે અને આધુનિક સાધનો છે જેના કારણે લોકોના બચાવમાં ઝડપ થશે. જો વાવાઝોડાના કારણે વીજળી ગુલ થાય તો પેટ્રોલથી ચાલતા સાધનો પણ સાથે લાવવામાં આવ્યા છે અને વૃક્ષોનું કટીંગ કરે તે માટેના સાધનો પણ સાથે રાખ્યા છે. કારણ કે વાવાઝોડાના કારણે વૃક્ષો પડી જતાં રસ્તાઓ બ્લોક થવાની શક્યતા છે. ભરત મૌર્ય(એનડીઆરએફ ઇન્સ્પેક્ટર)
કલમ 144 લાગુ કરવામાં આવી : સંભવિત બિપોરજોય વાવાઝોડાની અસર જામનગરના દરિયા કિનારે પણ દેખાઇ રહી છે. દરિયામાં ઊંચા ઊંચા મોજાં જોવા મળી રહ્જોયાં છે. આ સાથે દરિયામાં ભારે કરંટ પણ છે. જામનગર જિલ્લા વહીવટી તંત્ર દ્વારા કલમ 144 લાગુ કરવામાં આવી છે જે જેના કારણે લોકો એકઠાં ન થાય અને દરિયા કિનારે અવરજવર પર પ્રતિબંધ પણ ફરમાવાયો છે.
રોઝી બંદર પર સાવચેતીના પગલાં : જામનગરના રોઝી બંદર પર પણ બિપરજોય વાવાઝોડાની સાવચેતીરુપે લોકોની અવરજવર રોકવા પોલીસ ગોઠવી દેવામાં આવી છે. બીજીતરફ હવામાન ખાતાની સૂંચનાઓના તમામ અપડેટ પર પણ ધ્યાન આપવામાં આવી રહ્યું છે. બિપર જોય વાવાઝોડું ધીમેધીમે આગળ વધી રહ્યું છે ત્યારે જામનગર ઉપરાંત કચ્છ અને સૌરાષ્ટ્રના અન્ય જિલ્લાઓના દરિયાકાંઠે સૌથી વધુ અસર થવાની સંભાવના છે.