ETV Bharat / state

અંબુજાની બંધ માઇન્‍સમાં યુવકના શંકાસ્પદ મોતની તપાસ માગતાં 10 ગામના લોકો

author img

By

Published : Mar 16, 2021, 1:38 PM IST

અંબુજાની બંધ માઇન્‍સમાં યુવકના શંકાસ્પદ મોતની તપાસ માગતાં 10 ગામના લોકો
અંબુજાની બંધ માઇન્‍સમાં યુવકના શંકાસ્પદ મોતની તપાસ માગતાં 10 ગામના લોકો

ગીર સોમનાથ જિલ્લાના આણંદપરા ગામના યુવકનો મૃતદેહ અંબુજા સીમેન્ટ કંપનીની બંધ માઇન્સમાંથી મળ્યો હતો.આ મામલે પોલીસ તપાસમાં મોતનું કારણ અકસ્માત જણાવાયું હતું. પરંતુ પરિવારજનોને યુવકની હત્યા થઈ હોવાની શંકા છે. જેને પગલે 10 ગામના લોકો તટસ્થ તપાસની માગ સાથે કલેક્ટર ઓફિસ પહોંચ્યાં હતાં.

  • અંબુજા સીમેન્ટ કંપનીની બંધ માઈન્સમાં બન્યો બનાવ
  • 11 તારીખે યુવકનો મૃતદેહ શંકાસ્પદ હાલતમાં મળ્યો
  • તટસ્થ તપાસની માગણી સાથે પરિવાર અને 10 ગામના લોકોની માગણી

ગીર સોમનાથઃ જિલ્લાના સૂત્રાપાડાના આણંદપરા ગામના યુવકનો મૃતદેહ શંકાસ્‍પદ હાલતમાં અંબુજા સીમેન્ટ કંપનીની બંધ માઇન્સમાંથી મળ્યો હતો. આ સંદર્ભે પોલીસ તપાસમાં યુવકનું અકસ્‍માતે મોત થયું હોવાનું સામે આવ્યું હતું. પરંતુ યુવકની હત્યા થઈ હોવાની આશંકા સાથે મૃતક યુવકના પરિવારજનો ઉપરાંત સૂત્રાપાડા પંથકના 10 ગામના લોકો જિલ્‍લા સેવાસદનમાં રજૂઆત માટે પહોંચ્યાં હતાં. તેઓએ પોલીસ વડા અને જિલ્લા કલેક્ટર દ્વારા તટસ્થ તપાસ કરાવવાની માગણી કરી આવેદનપત્ર આપ્યું હતું. સાથે ન્‍યાય નહીં મળે તો ગ્રામજનો ઉગ્ર આંંદોલન કરશે તેવી ચીમકી ઉચ્‍ચારી છે.

પરિવારજનોને યુવકની હત્યા થઈ હોવાની શંકા છે
પરિવારજનોને યુવકની હત્યા થઈ હોવાની શંકા છે
આ પણ વાંચોઃ ગીર સોમનાથ જિલ્લામાં 200 જેટલા મરઘાના શંકાસ્પદ મોત

ઘટનામાં બહાર આવતી વિગતો
સૂત્રાપાડા પંથકના લોઢવા, સોળાજ, પાદરૂકા, મોરડીયા, બરૂલા, લાઠી, સૂત્રાપાડા, વડનગર, આજોઠા સહિતના ગામના આગેવાનો અને યુવાનોએ આવેદનપત્રમાં જણાવ્યું હતું કે, 11 માર્ચ 2021ના રોજ લોઢવા ગામના રામભાઇ ભીમભાઇ ભર્ગા (ઉ.વ.27)નો મૃતદેહ શંકાસ્‍પદ હાલતમાં મળી આવ્યો હતો. મૃતક રામભાઇ વડનગરના કેતનભાઇ ગૌસ્‍વામીના ટ્રકમાં ડ્રાઇવર તરીકે નોકરી કરતાં હતાં. તેઓ 11 તારીખે અંબુજા કંપનીની માઇન્‍સમાંથી વાહન ભરવા આવ્યાં હતાં. સુપરવાઇઝર પાસે વાહનનું વે બ્રિજ કરાવી સર્વે નં.66વાળી માઇન્‍સમાં ગયા હતાં. પરંતુ આ માઇન્‍સ બનાવની તારીખના ત્રણ દિવસ પહેલાંથી બંધ હતી. તેમ છતાં મૃતક યુવકને તે જગ્‍યાએ કેવી રીતે અને કોણે મોકલ્યાં તેની કોઇને જાણ નથી. ઘટના સ્‍થળે પરિવારજનો પહોંચ્યાં ત્‍યારે મૃતકના માથાના ભાગે તથા હાથમાં ઇજાઓ હતી. તેની બાજુમાં ટોમી પાનું અને પથ્‍થર જોવા મળ્યાં હતાં અને ટ્રક 50 મીટર દૂર એક ચઢાણવાળી જગ્‍યામાં પડેલી જોવા મળી હતી. આવા સંજોગોને લઇને મૃતકના પરિવારજનોએ રામભાઇનું કોઇ અજાણ્‍યા શખ્‍સે ઇરાદાપૂર્વક મૃત્‍યુ નિપજાવ્યું હોવાની શંકા વ્‍યકત કરી હતી.

આ પણ વાંચોઃ દેશના 5 વૈજ્ઞાનિકોના શંકાસ્પદ મોત અંગે ઘૂંટાતું રહસ્ય

યુવકના મોત અંગે ઘૂંટાતું રહસ્ય

આ મામલામાં જે બાબતો ધ્યાને લેવા જણાવવામાં આવી હતી તેમાં; જો મૃતક અકસ્‍માતે ટ્રક નીચે આવી ગયા હોય તો તે ટ્રકના ડ્રાઇવર મૃતક પોતે જ હતાં. ત્‍યારે અકસ્‍માત સમયે ટ્રક કોણે ચલાવી છે તેની કોઇ જાણકારી બહાર આવી નથી. મૃતદેહનું પોસ્ટમોર્ટમ કરાવવા જામનગર લઇ ગયા બાદ સૂત્રાપાડા પોલીસે અકસ્‍માત અંગે ગુનો દાખલ કર્યો હતો. પરંતુ સ્‍થળની સ્‍થ‍િતિ અને સ્‍થાનિક લોકોમાં હત્‍યાની ચર્ચા થઇ રહી હોવા છતાં પોલીસે અકસ્‍માતનો ગુનો કેવી રીતે દાખલ કર્યો તે સવાલ છે. આ ઘટનામાં મનુષ્‍ય વધનો ગુનો દાખલ કરી તે દિશામાં તપાસની માગ કરવામાં આવી છે. ઘટનાને ચાર દિવસ થઇ ગયા છે, છતાં પોલીસે કોઇપણ આરોપીની અટક કરી નથી કે કોઇ તટસ્‍થ તપાસ કરી નથી. માત્રને માત્ર સ્‍થાનિક લોકોના નિવેદનો લઇ અકસ્‍માતની દિશામાં જ તપાસ થઇ રહી છે. જેથી પરિવારજનોએ આ ઘટનાની તપાસ સ્‍વતંત્ર એજન્‍સીને સોપવામાં આવે તેવી માગણી કરી છે. મૃતકના મોબાઇલ લોકેશન, ગાડી માલિક તથા સુપરવાઇઝર સહિત શંકાના દાયરામાં રહેલા તમામની ઝીણવટભરી તપાસ કરવામાં આવે તો હકકીત બહાર આવશે તેવી આશા છે. આ ઘટનાની તટસ્‍થ તપાસ નહીં કરવામાં આવે તો મૃતકના પરિવારજનો અને 10થી વધુુ ગામના લોકોને ગાંધીચીંધ્યાં માર્ગે આંંદોલન કરવાની ફરજ પડશે તેવી ચીમકી ઉચ્‍ચારવામાં આવી હતી.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.