- આદ્રી બંધારાથી દ્વારકા સુધીના વિસ્તારમાં ક્ષાર પ્રવેશ અટકાવવા 40 કિ.મી.ની કેનાલ
- દરિયાઇ ક્ષાર પ્રવેશ અટકાવવા 40 કિ.મી.ની સ્પ્રેડિંગ કેનાલ આશીર્વાદરૂપ થશે સાબિત
- રાજ્ય સરકાર દ્વારા 101 કરોડની બહુહેતુક યોજનાને સૈદ્ધાંતિક મંજૂરી આપવામાં આવી
ગીર સોમનાથ : જિલ્લામાં આદ્રી બંધારાથી મૂળ દ્વારકા બંધારા સુધીના સમગ્ર વિસ્તારમાં દરિયાઇ ક્ષાર પ્રવેશ અટકાવવા 40 કિ.મી.ની સ્પ્રેડિંગ કેનાલના કામો હાથ ધરાશે. રાજ્યમાં અત્યાર સુધીમાં ક્ષાર પ્રવેશ નિયંત્રણ અન્વયે સૌરાષ્ટ્રની 87,797 હેક્ટર જમીનને ફાયદો થયો છે અને ફળદ્રુપતા વધી છે.
સમગ્ર વિસ્તારમાં દરિયાઇ ક્ષાર પ્રવેશ અટકાવવાનો મુખ્ય હેતુ
મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ ગીર સોમનાથ જિલ્લાના ગામોમાં દરિયાઈ ક્ષાર પ્રવેશ નિયંત્રણ અને જમીનની વધતી ખારાશ અટકાવવા માટે રૂપિયા 101 કરોડની બહુહેતુક યોજનાને સૈદ્ધાંતિક મંજૂરી આપી છે. આ યોજના અંતર્ગત આદ્રી બંધારાથી મૂળ દ્વારિકા બંધારા સુધીના સમગ્ર વિસ્તારમાં દરિયાઇ ક્ષાર પ્રવેશ અટકાવવા 40 કિ.મી.ની સ્પ્રેડીંગ કેનાલના કામો હાથ ધરાશે.
વેરાવળ-સુત્રાપાડામાં ભૂગર્ભ જળ પીવાલાયક બનશે
આ યોજનાને પગલે જિલ્લાના વેરાવળ અને સુત્રાપાડા તાલુકાના 24 ગામોની અંદાજે 2110 હેક્ટરથી વધુ જમીનમાં દરિયાઈ ખારાશ પ્રવેશતી અટકશે. જમીન વધુ ફળદ્રુપ બનશે. આ ઉપરાંત કેનાલમાં મીઠું પાણી ભરાતાં તેનો સિંચાઇ માટે ઉપયોગ કરી શકાશે. સ્પ્રેડિંગ કેનાલના પાણીથી આસપાસના વિસ્તારોના કૂવા, તળાવોમાં ભૂગર્ભ જળના સ્તર ઊંચા આવશે અને સમગ્ર વિસ્તારમાં પીવા માટેનું મીઠું પાણી પણ મળતું થશે. વેરાવળ અને સુત્રાપાડા શહેરના લોકોને સ્પ્રેડીંગ કેનાલને પગલે ભૂગર્ભ જળ ઉંચા આવવાથી ભૂગર્ભજળ પીવાલાયક બનશે. તો વેરાવળ શહેરમાં દેવકા નદીના પુરના પાણી ઘૂસવાની સમસ્યામાંથી પણ છૂટકારો મળશે.