ETV Bharat / state

Budget 2023: 24મીએ રજૂ થનારા બજેટ પર સૌની નજર, લીલા લહેર કે પછી વધશે બોજો!

author img

By

Published : Feb 16, 2023, 4:40 PM IST

રાજ્ય સરકાર વિધાનસભા ગૃહમાં 24મીએ બજેટ રજૂ કરશે. ત્યારે હવે સૌની નજર આ બજેટ પર છે. જોકે, આ અંગેની તૈયારી પણ સરકારના તમામ વિભાગોએ પૂર્ણ કરી દીધી છે. ત્યારે આવો જોઈએ શું હશે તેમાં ખાસ.

Budget 2023: 24મીએ રજૂ થનારા બજેટ પર સૌની નજર, લીલા લહેર કે પછી વધશે બોજો!
Budget 2023: 24મીએ રજૂ થનારા બજેટ પર સૌની નજર, લીલા લહેર કે પછી વધશે બોજો!

કૃષિ વિભાગમાં અનેક નવી જોગવાઈની થશે જાહેરાત

ગાંધીનગરઃ રાજ્ય સરકારના તમામ વિભાગ દ્વારા બજેટ 2023-24ની તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે. નાણા પ્રધાન કનુ દેસાઈએ પણ છેલ્લા 20 દિવસથી સતત પોતાના કાર્યાલયમાં બજેટને લઈને અલગઅલગ વિભાગોના અધિકારીઓ અને પ્રધાનો સાથે બેઠક કરી છે. સાથે જ મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ સાથે પણ બેઠક પૂર્ણ થઈ છે.

આ પણ વાંચોઃ Halwa Ceremony: સુરત મનપાના બજેટ સેશનમાં પહેલી વખત હલવા સેરેમની, વિપક્ષની ગેરહાજરી

બજેટના કવરમાં દેખાશે ભાતીગળ સંસ્કૃતિઃ ગુજરાત સરકાર વિધાનસભા ગૃહમાં 24 ફેબ્રુઆરીએ બજેટ રજૂ કરશે. આ બજેટ આવનારા 25 વર્ષના સુવર્ણ વર્ષના પાયાનું બજેટ હશે. જ્યારે ગત વર્ષે બજેટ બૂકમા નાણાં પ્રધાન બજેટના કવરમાં મોરપીંછની કલાકૃતિ દર્શાવી હતી. ત્યારે આ વર્ષે ક્ચ્છ અથવા તો ગુજરાતની ભાતીગળ સંસ્કૃતિની ઝલક બજેટના કવર પેજમાં રાખવામાં આવશે.

બજેટમાં હશે કેવા પ્રકારની જોગવાઈઃ ગુજરાત વિધાનસભા ગૃહમાં 24 ફેબ્રુઆરીએ બજેટ રજૂ કરવામાં આવશે. ત્યારે તમામ વિભાગો દ્વારા બજેટમાં નવી યોજનાઓને લઈને વધુમાં વધુ રકમની ફાળવણી થાય તેવી રજૂઆત કરવામાં આવી છે. કૃષિ વિભાગની મળતી માહિતી મુજબ, કૃષિ વિભાગ દ્વારા લગભગ 500 કરોડ રૂપિયાની અલગઅલગ ખેડૂતલક્ષી યોજનાઓ બંધ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. ત્યારે કઈ યોજનાઓ બંધ કરવામાં આવી છે. તેની સત્તાવાર માહિતી કૃષિ વિભાગે આપી નથી. જ્યારે ગુજરાતના સામાન્ય નાગરિકને અસર કરતી સરકારના નિગમ GSRTCની વાત કરીએ તો, નવા બજેટમાં 2012 બસો ખરીદવાની જોગવાઈ વિભાગે કરી છે. આમાં 730 બસો ઈનહાઉસ અને 1282 બસો રેડી બિલ્ટ ખરીદવાનું આયોજન વિભાગે કર્યું છે.

કૃષિ વિભાગમાં અનેક નવી જોગવાઈની થશે જાહેરાતઃ કૃષિ વિભાગ દ્વારા અનેક કરોડો રૂપિયાની જોગવાઈ રદ કરીને જૂની જોગવાઈઓમાં વધારો કરવાનું આ બજેટમાં આયોજન કરવામાં આવ્યું છે, જેમાં ખેડૂતોને ઉપયોગી એવું રોટોવેટર માટે સહાયમાં વધારો કરવામાં આવશે. અત્યાર સુધીમાં રાજ્ય સરકાર દ્વારા આ બજેટમાં રોટોવેટર માટે 70 કરોડ રૂપિયાની નવી જોગવાઈ કરાશે. જ્યારે પાક સંગ્રહ માટે ખેડૂતોને ગોડાઉન બનવવા 75,000 રૂપિયાની સહાય અપાય છે. તેમાં સુધારોવધારો કરીને સહાય 1 લાખ રૂપિયા કરવાની વિચારણા કરવામાં આવી છે. તો વર્ષ 2022-23માં 1,04,806 અરજી ખેડૂતોએ કરી હતી, જેમાં ડિસેમ્બર 2022 સુધીમાં 39,281 અરજીઓ સરકારે મંજૂર કરી છે. ટ્રેક્ટર ખરીદી સહાય યોજનામાં વધારો કરવામાં આવશે.

નાણાં વિભાગ સ્ટેમ્પ ડ્યૂટી ઘટાડશેઃ રાજ્ય સરકાર દ્વારા જંત્રીના ભાવમાં વધારો કરવાનો નિર્ણય કર્યો છે અને 15 એપ્રિલથી આ નિયમ લાગુ કરાશે. ત્યારે નાણા વિભાગ ગુજરાત વિધાનસભા ગૃહમાં સામાન્ય નાગરિકો અને એફોર્ડેબલ હાઉસિંગ સ્કીમમાં સ્પેમ્પ ડ્યૂટીમાં ઘટાડો કરવાનું સુધાર બિલ પણ રજૂ કરશે. ઉપરાંત મળતી માહિતી મુજબ, 1.5થી 2 ટકાનો ઘટાડો થઈ શકે છે. જ્યારે અધિયા કમિટીએ આ બાબતની ભલામણ સરકારને કરી હતી અને કેન્દ્ર સરકારનું પણ સૂચન છે. સ્ટેમ્પ ડ્યૂટી રેટ 2થી 3 ટકા વચ્ચે હોવું જોઈએ. જ્યારે ગુજરાતમાં 4 ટકા આસપાસ હોવાથી બિલ લાવવામાં આવશે.

સ્કૂલ ઑફ એક્સિલન્સમાં રકમ વધશેઃ રાજ્યના શિક્ષણ વિભાગની વાત કરીએ તો, ગત બજેટમાં સરકારી શાળાઓના હાઈટેક નાવવાની જોગવાઈ કરવામાં આવી હતી. ત્યારે આ વર્ષના બજેટમાં પણ સ્કૂલ ઑફ એક્સિલન્સમાં વધારે રકમની ફાળવણી કરવામાં આવશે. જ્યારે 18,000થી વધુ ઓરડાવો ખરાબ પરિસ્થિતિમાં છે. તેને નવા બનાવવાની જોગવાઈઓમાં વધારો ઉપરાંત જર્જરિત શાળાઓને મરામત માટેની પણ જોગવાઈ નવા વર્ષના બજેટમાં કરવામાં આવશે.

સરકારી હોસ્પિટલને હાઈટેક કરવામાં આવશેઃ રાજ્યના આરોગ્ય વિભાગની વાત કરીએ તો, સરકારી હોસ્પિટલ અને હાઈટેક કરવાની નવી જોગવાઈઓનો ઉંમેરો થઈ શકે છે. રાજ્ય સરકારની તમામ સરકારી હોસ્પિટલ, સિવિલ હોસ્પિટલ, જનરલ હોસ્પિટલને પેપરલેસ બનાવવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. પેપરલેસ માટે ખાસ જોગવાઈ કરવામાં આવશે. જ્યારે આરોગ્યની સુવિધામાં વધારો અને લોકોને દવાના બિલમાં ઘટાડો થાય તેને ધ્યાનમાં લઈને આયુર્વેદિક હોસ્પિટલનો પણ વ્યાપ વધારવાની જોગવાઈ બજેટમાં થઈ શકે છે. જ્યારે કૉર્પોરેશન તાલુકા અને જિલ્લા કક્ષાએ CHC, PHC આરોગ્ય કેન્દ્રમાં વધારો કરવામાં આવશે, જેથી લોકોને નાની બીમારીમાં મોટી હોસ્પિટલ સુધી ના જવું પડે.

દેવું વધશે કે ઘટશે?: 15 માર્ચ 2022એ ગુજરાત સરકાર દ્વારા સત્તાવાર દેવાની જાહેરાત કરવામાં આવી હતી. ગત વર્ષે રાજ્ય સરકાર પર 3,00,963 કરોડ રૂપિયાનું જાહેરદેવું હતું. જ્યારે રાજ્ય સરકાર કુલ 4,50,000 લાખ કરોડ રૂપિયાનું દેવું કરવાની લિમીટ હોવાનું નાણા પ્રધાન કનું દેસાઈએ જણાવ્યું હતું. જ્યારે દેવું વધશે કે ઘટશે આ અંગે નાણા પ્રધાન કનુ દેસાઈએ જણાવ્યું હતું કે, વિકાસના કામો કરવા માટે દેવું કરવું જરૂરી છે, પરંતુ ગુજરાતનો સૌથી મોટો પ્રોજેકટ નર્મદા કેનાલ પૂર્ણ કરવામાં આવી. જ્યારે ગુજરાતનું હાલનું દેવું છે. તે દેવું બીજા રાજ્યની સરખામણીએ જોઈએ તો ડિસિપ્લિનમાં છે અને રિઝર્વ બેન્ક ઑફ ઇન્ડિયા કાયદાકીય મર્યાદામાં પણ છે.

આ પણ વાંચોઃ Budget 2023: AMCના બજેટમાં વિપક્ષે કર્યા સુધારા, 223 કરોડના વધારા સાથે રજૂ કર્યું 9735 કરોડનું બજેટ

બજેટ બાબતે શુ કહ્યું ઋષિકેશ પટેલેઃ બજેટ અંગે રાજ્યના પ્રવક્તા પ્રધાન ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે, વર્ષ 2023-24 નાણાકીય વર્ષનું બજેટ સરકાર 24 ફેબ્રુઆરીએ રજૂ કરશે, આ બજેટ ગુજરાતના આવનારા 25 સુવર્ણ વર્ષ માટેના પાયાનું બજેટ હશે. તેમ જ લોકોને સ્પર્શ કરતું બજેટ હશે. કોઈ પણ મોટી યોજના શરૂ કરવા તેની શરૂઆત કરવામાં આવે છે. તેમ જ એક વર્ષમાં પૂરી થતી નથી, જેથી આ બજેટમાં અમુક લાંબા ગાળાની યોજના બજેટમાં જોવા મળશે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.