Dahod Gay Gohari : દાહોદમાં ઉજવાતો ગાય ગૌહરીનો ચમત્કારી ઉત્સવ, ધરતીપુત્રો ગાયના ધણ નીચે સૂઈ જઈને માંગે છે માફી

Dahod Gay Gohari : દાહોદમાં ઉજવાતો ગાય ગૌહરીનો ચમત્કારી ઉત્સવ, ધરતીપુત્રો ગાયના ધણ નીચે સૂઈ જઈને માંગે છે માફી
દાહોદ જિલ્લામાં વસતા આદિવાસી સમાજના લોકો નવા વર્ષના દિવસે પરંપરાગત ગાય ગૌહરીનો ઉત્સવ મનાવે છે. આદિવાસી પરિવારના લોકો આખા વર્ષમાં ખેતી દરમિયાન જીવ હત્યા કે કોઈપણ પશુધનને પોતાના દ્વારા થતી હિંસાની માફી રૂપે પોતે ગાયોના ધણ નીચે સૂઈને દંડવત પ્રણામ કરે છે. આમ પોતાના પાપનો પ્રશ્ચાતાપ કરીને પાપમાંથી મુક્ત થઈ શકાય તેવી માન્યતા અનુસાર આ તહેવાર ઉજવવામાં આવે છે.
દાહોદ : આદિવાસી બાહુલ્ય ધરાવતા દાહોદ જિલ્લામાં દીપાવલીની સવારે ઉજવવામાં આવતા નવા વર્ષનું અનેરૂ મહત્વ છે. નવા વર્ષના રોજ આદિવાસી સમાજ અનોખી રીતે ગૌરજ માથે ચડાવીને એટલે કે પારંપરિક રીતે ગાય ગૌહરી પડીને ધન્યતા અનુભવતા હોય છે. દાહોદ જિલ્લામાં દિવાળી તહેવારના આગમન સાથે ગાય ગૌહરીના તહેવારની પણ ઉજવણી કરવામાં આવે છે. પ્રકાશના ઉત્સવ દિવાળીના બીજા દિવસે આદિવાસી સમાજ ગૌધનને નવડાવીને પૂજા વિધિ કર્યા બાદ રંગરોગાન કરે છે. ત્યારબાદ ગાયોને છોડવામાં આવતી હોય છે. જ્યારે ગરબાડા, ઝાલોદ, લીમડી, ગાંગરડી સહિતના વિસ્તારમાં ગાયની પૂજા વિધિ કર્યા બાદ ગૌવંશ નીચે ગૌહરી પાડવામાં આવે છે.
ગાય ગૌહરીનો ચમત્કારી ઉત્સવ : ગૌધનને મોરપીંછ અને રંગકામથી સજાવ્યા બાદ ગોવાળો દ્વારા નગરમાં લઈ જવામાં આવતા હોય છે. વર્ષોથી ચાલતી આવતી પરંપરા અનુસાર ગાયોની પૂજા કરાય છે. જેને નિહાળવા માટે આસપાસના વિસ્તારમાંથી મોટી સંખ્યામાં લોકો પણ ઉમટી પડતા હોય છે. ફટાકડાના ધમાકા વચ્ચે ગાયોના ટોળા નીચે લોકો આડા સૂઈ જતા હોય છે. રસ્તા વચ્ચે ઊંઘેલા લોકો પરથી ગાયોનું ટોળું પસાર થઈ જતું હોય છે. લોકોની કીકીયારી વચ્ચે ગૌમાતા પર અતુટ વિશ્વાસ હોવાથી ગૌહરી પડનાર વ્યક્તિને કોઈ પણ પ્રકારની ઈજા થતી નથી. પરંતુ ગૌહરી પડનાર વ્યક્તિઓ ગૌવંશનું ટોળું તેની ઉપરથી પસાર થયા બાદ પોતે ધન્યતા અનુભવતા હોય છે.
ગાયના ધણ નીચે સૂઈ જાય છે ધરતીપુત્રો : દાહોદ જિલ્લાના ગરબાડા તાલુકામાં ગાય ગૌહરી સૌથી મોટો ઉત્સવ ઉજવાય છે. ભગવાન શ્રી કૃષ્ણના જન્મના સમયથી અહીંયા ભાઈઓ ગાય ગૌહરી પાળે છે. વર્ષ દરમિયાન પશુધન પાસેથી કોઈપણ પ્રકારનું કામ લેવામાં આવે તેની માફી માંગવામાં આવે છે. ઉપરાંત પશુધનને નવડાવી ધોવડાવી મેંદી લગાડી, કલર કરી, ઘુઘરા મોરપીંછ, મોરીંગા વગેરેથી તેમને શણગારવામાં આવે છે. નવા વર્ષના દિવસે ગૌધનની પૂજા કરી દંડવત પ્રણામ કરીને માફીના ભાગરૂપે ગાય ગૌહરી પાડવામાં આવે છે. અનેક લોકો અનેકવાર ગાય ગૌહરી પાડે છે.
ગાય ગૌહરીની પરંપરા : આદિવાસી પરિવારમાંથી આવતા કિરીટભાઇ પટેલે જણાવ્યું હતું કે, દાહોદ જિલ્લાના આદિવાસીઓમાં ઉજવવામાં આવતા સૌથી મોટા ગાય ગૌહરીના પર્વનું અનેરૂ મહત્વ પણ છે. જિલ્લામાં ધરતીપુત્રો દ્વારા વર્ષ દરમિયાન ગૌવંશ પાસેથી ખેતી સહિતના વિવિધ કામો કરાવામાં આવે છે. વર્ષ દરમિયાન ગૌવંશ સાથે બોલવા કે શ્રમકામ દરમિયાન થયેલી ભૂલોની માફી માંગવાનું પર્વ મનાવવામાં આવે છે. નવા વર્ષ એટલે કે ગાય ગૌહરીના દિવસે પશુધન પાસેથી કોઈ પણ પ્રકારનું આદિવાસીઓ દ્વારા કામકાજ કરાવામાં આવતું નથી. તેઓએ વધુમાં જણાવ્યું કે, ગાય માતાને રંગરોગાન કર્યા બાદ તેમને ઘૂઘરા, મોરીંગા બાંધીને પૂજા કરી જાહેરમાં દંડવત પ્રણામ કરીને ગૌહરી પાડતા હોય છે.
ગાય માતા પાસે માફી માગવાનું પર્વ : જિલ્લા પોલીસવડા દ્વારા ગૌહરીના પર્વના રોજ ચૂસ્ત પોલીસ બંદોબસ્ત પણ ગોઠવવામાં આવે છે. ગૌહરી પાડનાર લોકો દિવસ દરમિયાન ઘણીવાર ગૌહરી પાડતા હોય છે. નવા વર્ષના દિવસે આદિવાસી ભાઈ-બહેનો માટે માન્યતા એવી હોય છે કે, આખા વર્ષમાં પશુધન પાસેથી જે કઈ પણ કામ લીધું હોય તેની ક્ષમાયાચના રૂપે તેના ચરણોમાં પડીને માફી માંગતા હોય છે. એમ આ ગાય ગૌહરીનું આગવું મહત્વ હોય છે. ગૌહરી પાડનારાઓની સંખ્યા કરતા ગૌહરી પાડનારને નિહાળવા મહિલાઓ અને પુરુષો પણ મોટી સંખ્યામાં ઉમટતા હોય છે.
