ETV Bharat / state

લોકડાઉન દરમિયાન સિવિલ હોસ્પિટલના ઓર્થો તબીબો દ્વારા 13 વર્ષીય મુકેશને અસહ્ય પીડામાંથી 'અનલોક' કરાયો

author img

By

Published : Jul 17, 2020, 10:17 AM IST

અમરેલીના રાજુલામાં રહેતા 13 વર્ષીય મુકેશ એક દિવસ સ્કુલમાં રમતા-રમતા પડી ગયો હતો ત્યારે તેને મગજના ભાગમાં આંતિરક ગંભીર ઇજા થઇ હતી. જેનો અનુભવ તેને બે-ત્રણ મહિના પછી થયો. એકાએક અસહ્ય પીડા થતા તેના પિતા મહુવા ખાતે વિવિધ હોસ્પિટલમાં સારવાર માટે પહોંચ્યા હતા. ત્યાંના તબીબોએ ભાવનગરની હોસ્પિટલનો સંદર્ભ આપ્યો. ભાવનગરના તબીબોએ કહ્યું અમદાવાદ સિવિલમાં જશો તો જ આ પીડાનું નિરાકરણ આવી શકશે.

ahmedabad
અમદાવાદ

અમદાવાદ : લોકડાઉનનો સમયગાળામાં લોકો કોરોનાથી ભયભીત થયેલા છે. એવામાં અમરેલીના રાજુલામાં રહેતા 13 વર્ષીય મુકેશને મગજના ભાગમાં આંતિરક ગંભીર ઇજા પહોંચી હતી. ત્યારે મુકેશના પિતા તેને લઇને મહુવા હોસ્પિટલમાં સારવાર અર્થ લાવ્યા હતા. પરંતુ અહીંના તબીબોએ મુકેશને ભાવનગરની હોસ્પિટલ લઇ જવા કહ્યું હતું. ભાવનગર આવ્યા બાદ ત્યાંના તબીબોએ અમદાવાદ સિવિલ વિશે જણાવ્યું હતું. તેથી મે મહિનામાં મુકેશના પિતા અમદાવાદ સિવિલ હોસ્પિટલ ખાતે એક આશા બાંધી આવી પહોંચ્યા.

સિવિલ હોસ્પિટલના ઓર્થો તબીબો દ્વારા 13 વર્ષીય મુકેશને અસહ્ય પીડામાંથી 'અનલોક' કરાયો

જ્યારે અમદાવાદ સિવિલના ઓર્થો સર્જન દ્વારા પણ તેમને નિરાશ કરવામાં ન આવ્યા. મુકેશને હાથ-પગથી કામ કરવામાં તકલીફ પડી રહી હતી. શરીરનો જમણો ભાગ કામ ન કરી રહ્યો હોય તેવું મુકેશને અનુભવાઇ રહ્યું હતુ. જેના કારણોસર સિવિલના સુપ્રિન્ટેન્ડેન્ટ અને ઓર્થો સ્પાઈન સર્જન ડૉ. જે.પી.મોદી અને તેમની ટીમ દ્વારા મુકેશની સર્જરી હાથ ધરવામાં આવી. આવી જટીલ સર્જરીમાં ક્યાંય પણ ગફલત થઇ જાય તો ધાતકી સાબિત થતી હોય છે. જેને ધ્યાને રાખી સતત 3 કલાક ચાલેલી સર્જરી દરમિયાન અન્ય વિભાગના તબીબી નિષ્ણાંતનો પણ અભિપ્રાય લેવામાં આવ્યો. આમ સહિયારા પ્રયાસો સાથે લોકડાઉનના કપરા સમયગાળામાં મુકેશને અસહ્ય પીડામાંથી અનલોક કરવામાં આવ્યો.

અમદાવાદ
સિવિલ હોસ્પિટલના ઓર્થો તબીબો દ્વારા 13 વર્ષીય મુકેશને અસહ્ય પીડામાંથી 'અનલોક' કરાયો
મુકેશના પિતા ધીરૂભાઇ કહે છે કે, મુકેશની તકલીફના કારણે હું ખુબ જ ચિંતિત હતો. ખાનગી હોસ્પિટલમાંથી નકારાત્મક જવાબ જ મળી રહ્યા હતા. મુકેશનું નિદાન ક્યાં થશે. તે આ બધી તકલીફમાંથી ક્યારે બહાર આવશે તેની ચિંતામાં તેમને સતાવી રહી હતી. લોકડાઉનનો સમયગાળો છે, જો કોઇ તબીબ મુકેશની સર્જરી નહીં કરે તો મુકેશને તકલીફ વધી તો નહીં જાય ને ?? આ બધા પ્રશ્નો-મુંઝવણોની વચ્ચે હું સતત જીવી રહ્યો હતો. ત્યારે સિવિલના તબીબોએ મારા બાળકની સફળતાપુર્વક સર્જરી કરીને મને તમામ પ્રકારની મુંઝવણો-ચિંતાઓ અને મુકેશને પીડામાંથી મુક્તિ અપાવી છે. આ સર્જરી વિશે સિવિલ સુપ્રિન્ટેન્ડેન્ટ અને ઓર્થો સ્પાઈન સર્જન ડૉ.જે.પી.મોદી કહે છે કે, આ બાળકને ઓક્સીપીટો સર્વાઇલકલ અસ્થિરતાની તકલીફ ઉભી થઇ હતી. જેમાં મગજના હાડકા અને ગળાના પહેલા મણકામાંથી સાંધો ખસી જાય છે. જેના કારણે શરીરના એક બાજુના ભાગમાં અસ્થિરતા જોવા મળે છે. લાંબા ગાળા સુધી આ તકલીફનું નિરાકરણ લાવવામાં ન આવે તો બાળકને શ્વાસોશ્વાસની તકલીફ ઉભી થાય સાથે-સાથે હાથ-પગને કામ કરવામાં તકલીફ પડી શકતી હોય છે. મુકેશને આ પ્રકારની તકલીફોની પ્રાથમિક તબક્કામાં અસર વર્તાઇ રહી હતી. જેથી અમારી ટીમ દ્વારા ઝડપભેર મુકેશને આ પીડામાંથી ઉગારવા સર્જરી હાથ ધરવામાં આવી. આ પ્રકારની સર્જરી જુજ પ્રમાણમાં થતી હોય છે. લોકડાઉનની પરિસ્થિતિમાં જ્યારે કોરોનાનો પ્રભાવ ટોચ પર હતો, ત્યારે આ સર્જરી કરવી પડકારજનક હતી. અમારી ટીમે આ પડકાર ઝીલી લઇ સફળતાપુર્વક ઓપરેશન પાર પાડ્યુ. અત્રે ઉલ્લેખનીય છે કે, લોકડાઉનના કપરાકાળમાં જ્યારે અન્ય ખાનગી હોસ્પિટલમાં વિવિધ પ્રકારની સર્જરીઓ બંધ હતી. ખાનગી તબીબો આવા પ્રકારની સર્જરીઓથી દુરી વર્તી રહ્યા હતા. ત્યારે આ તમામ વિષમ પરિસ્થિતિઓ વચ્ચે સિવિલના ઓર્થોપેડિક વિભાગ દ્વારા 807 જેટલી નોન-કોવિડ સર્જરીઓ સફળતાપુર્વક હાથ ધરવામાં આવી છે. જે સિવિલના તબીબોની કોરોનાકાળમાં કોરોનાગ્રસ્ત દર્દીઓ સાથે સામાન્ય દર્દીઓ પ્રત્યેની પ્રતિબધ્ધતાનું ઉત્તમ ઉદાહરણ છે.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.