ETV Bharat / state

Morbi Bridge Collapse : મોરબી બ્રિજ દુર્ઘટના મુદ્દે હાઇકોર્ટે રાજ્ય સરકારની કાઢી ઝાટકણી, રાજ્યના બ્રિજની સ્થિતિ અંગે કર્યા સવાલો

author img

By

Published : Feb 20, 2023, 7:29 PM IST

Updated : Feb 20, 2023, 8:00 PM IST

મોરબી બ્રિજ દુર્ઘટના મુદ્દે ગુજરાત હાઇકોર્ટ દ્વારા વધુ સુનાવણી હાથ ધરાઈ હતી. રાજ્યમાં આવેલા વિવિધ બ્રિજની શું સ્થિતિને લઈને હાઇકોર્ટે સવાલ કર્યા હતા. ચોમાસા પહેલા તમામ બ્રિજને રીપેરીંગ કરવા માટે હાઇકોર્ટે આદેશ આપ્યા છે. ઉપરાંત મ્યુનિસિપલની વિસ્તારમાં જો બ્રિજ તૂટે તો કોની જવાબદારી તેને લઈને રાજ્ય સરકારની ઝાટકણી કાઢી હતી.

High Court
High Court

અમદાવાદ: મોરબી બ્રિજ દુર્ઘટના મુદ્દે ગુજરાત હાઇકોર્ટ દ્વારા જે સુઓમોટો કરવામાં આવી છે તેમાં આજે વધુ સુનાવણી હાથ ધરાઈ હતી. આજની સુનાવણીમાં ફરી એકવાર હાઇકોર્ટ દ્વારા રાજ્ય સરકારની ઝાટકણી કાઢવામાં આવી હતી. આ સાથે રાજ્યમાં આવેલા વિવિધ બ્રિજની શું સ્થિતિ છે તેવા પણ હાઇકોર્ટે સવાલ કર્યા હતા. ચોમાસા પહેલા તમામ બ્રિજોને રીપેરીંગ કરવા માટે હાઇકોર્ટે આદેશ આપ્યા છે.

રાજ્યમાં આવેલા બ્રિજની સ્થિતિ: મોરબીમાં આવેલા ઝૂલતા પુલની દુર્ઘટનામાં ઓક્ટોબર મહિનામાં 135થી વધુ લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો હતો. ગુજરાત હાઇકોર્ટમાં મોરબી બ્રિજ દુર્ઘટના મુદ્દે વધુ એક વાર સુનાવણી હાથ ધરાઈ હતી. આજની સુનાવણીમાં સરકાર દ્વારા રાજ્યમાં આવેલા બ્રિજની સ્થિતિ અંગેની રજૂઆત કરવામાં આવી હતી. બ્રિજની સ્થિતિને લઈને સમગ્ર મામલે હાઇકોર્ટ રાજ્ય સરકારને અનેક સવાલો કર્યા હતા.

બ્રિજ તૂટે તો કોની જવાબદારી: સરકારના એડવોકેટ જનરલ દ્વારા રજૂઆત કરવામાં આવી હતી કે રાજ્યમાં આવેલા વિવિધ બ્રિજમાંથી ઘણાનું સમારકામ બાકી છે તો ઘણા બધા બ્રિજોનું સમારકામ ચાલી રહ્યું છે. આ સમગ્ર મામલે હાઇકોર્ટ સરકારને સવાલ કર્યા હતા કે આવા પ્રકારના બ્રિજનું સમારકામ બાદ ખુલ્લો મુકવામાં આવે છે ત્યારે કેવા પ્રકારના માપદંડો હોય છે ક્યાં માપદંડોને આધારે તેમને ખુલ્લા મુકવામાં આવે છે? જે પણ બ્રિજનું સમારકામ થઈ જાય છે તે અંગેના બ્રિજનો પાછળથી રિપોર્ટ લેવામાં આવે છે કે કેમ ? કેબલ બ્રિજને કોની મંજૂરી વગર ખુલ્લો મૂકી દેવામાં આવ્યો હતો ? મ્યુનિસિપલની વિસ્તારમાં જો બ્રિજ તૂટે તો કોની જવાબદારી બને છે? આ સાથે જ હાઇકોર્ટે એ પણ સવાલ કર્યો હતો કે શહેરી વિસ્તારોમાં જો આવા પ્રકારની દુર્ઘટના બને છે આ અંગે જવાબદારી કોની?

આ પણ વાંચો: Morbi Bridge Collapse: મુખ્ય આરોપી જયસુખ પટેલ જેલહવાલે, પૂછપરછમાં બહાર આવેલી માહિતી અંગે પોલીસ મૌન

યુનિફોર્મ પોલિસી બનાવવાની જરૂરિયાત: આ સવાલ પર એડવોકેટ જનરલની રજૂઆત હતી કે, અર્બન ડેવલોપમેન્ટ ડિપાર્ટમેન્ટ દ્વારા આ બાબતે નીતિ બનાવી રહ્યું છે.આ સાથે જ અત્યારની જે નીતિઓ છે તે વર્ષ 1990ની નીતિઓ છે. આ નીતિ ગ્રામ્ય વિસ્તારને અન્ય જગ્યાના જે બ્રિજ છે તેમને લાગુ પડે છે. સાથે જ શહેરી વિસ્તારમાં આવેલા બ્રિજ અંગેની નીતિ હાલ બનાવાઈ રહી છે. એક અઠવાડિયાની અંદર કોર્ટને નીતિ અંગે જાણ કરવામાં આવશે. એક યુનિફોર્મ પોલિસી બનાવવાની જરૂરિયાત હાલના તબક્કે છે જે અંગે હાલ કામ થઈ રહ્યું છે.

આ પણ વાંચો: Morbi Bridge Collapse: મોરબી નગરપાલિકાના સભ્યોને ઝટકો, તાત્કાલિક સુનાવણીની માગને HCએ ફગાવી

સરકારે આપેલા વળતર પ્રત્યે અસંતોષ: આ સમગ્ર મામલે મોરબી દુર્ઘટનામાં મૃતકો પરિવારજનો એ પણ હાઇકોર્ટમાં રજૂઆત કરી હતી. મૃતકોના પરિજનો દ્વારા હાઇકોર્ટમાં સોગંદનામુ રજૂ કરવામાં આવ્યું હતું. મૃતકોના પરિવારોએ સરકારે આપેલા વળતર પ્રત્યે અસંતોષ વ્યક્ત કર્યો હતો. પરિવારજનો દ્વારા જે એફિડેવિટ રજૂ કરવામાં આવી છે તેમાં જણાવ્યું હતું કે વર્ષ 1990માં દિલ્હીમાં ઉપહાર સિનેમામાં બનેલા અગ્નિકાંડમાં સરકાર દ્વારા કરોડોનું વળતર આપવામાં આવ્યું હતું. જ્યારે હાલ અમને સરકાર માત્ર દસ લાખ જ આપી રહી છે. તે સમયે કરોડોનું વળતર આપવામાં આવ્યું હતું જ્યારે હાલ માત્ર 10 લાખ જ કેમ આપવામાં આવી રહ્યું છે? આ મામલે વધુ સુનાવણી આવતીકાલે હાથ ધરાશે.

Last Updated : Feb 20, 2023, 8:00 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.